You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ કારણો, જેના લીધે ઑસ્ટ્રેલિયાની ટીમ ટી20 વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગઈ
- લેેખક, વિદ્યુત શિવરામક્રિષ્નન
- પદ, પૂર્વ ક્રિકેટર, તામિલનાડુ
- વાંચવાનો સમય: 4 મિનિટ
વર્ષ 2026ના ટી20 વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયાની ટીમ લીગ રાઉન્ડમાંથી જ બહાર ફેંકાય ગઈ છે. ટુર્નામેન્ટ શરૂ થઈ, ત્યારે કોઈને લાગતું ન હતું ઑસ્ટ્રેલિયાની ટીમના આવા હાલ થશે.
વર્ષ 2009 બાદ પહેલી વખત ગ્રૂપ સ્ટેજમાંથી જ ઑસ્ટ્રેલિયા ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ ગયું છે.
ઝિમ્બાબવે તથા શ્રીલંકાની ટીમ સામે ઑસ્ટ્રેલિયા હારી ગયું હતું. મેદાન પર ઊતરનારી ટીમ ઑસ્ટ્રેલિયાની છે એવું જાણે કે લાગતું જ ન હતું.
વર્લ્ડકપ પહેલાં જ ઑસ્ટ્રેલિયાના ટોચના ખેલાડીઓ ઈજાગ્રસ્ત હતા, જેનું નુકસાન તેમણે વેઠવું પડ્યું હતું.
ટી-20 મૅચોમાં વેધક બૉલિંગ માટે વિખ્યાત પેટ કમિન્સ તથા જૉશ હૅઝલવૂડની ગેરહાજરી કાંગારુઓને વર્તાઈ હતી.
કમિન્સ ખાસ્સો અનુભવ ધરાવે છે તથા તેઓ બૅટ ઉપરાંત બૉલથી પણ મૅચનું પાસું પલટી નાખવા માટે માહેર છે. હું મારી વાત કરું તો રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુને આઇપીએલની ટ્રૉફી સુધી પહોંચાડવામાં જૉશ હૅઝલવૂડનો સિંહફાળો હતો. આવા ખેલાડીઓની ગેરહાજરી કોઈપણ ટીમને સાલે.
આટલું ઓછું હોય તેમ, ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન મિચેલ માર્શ પહેલી બે મૅચ નહોતા રમી શક્યા. આમ ટોચના ત્રણ ખેલાડીઓની ગેરહાજરીને કારણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઑસ્ટ્રેલિયા સતત સંઘર્ષ કરતું જણાયું હતું.
ઑસ્ટ્રેલિયાની બૉસલિંગની ધાર નબળી રહી છે એ ખરું, પરંતુ મને લાગે છે કે ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅનનું નિરાશાજનક પ્રદર્શન એ ટીમના પરાજય માટેનું મુખ્ય કારણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટોચના ત્રણ ખેલાડીઓની ગેરહાજરીમાં પણ 'મૅચ જીતાડી શકે એવા' ટૅલેન્ટેડ ખેલાડીઓનો ઑસ્ટ્રેલિયામાં અભાવ નથી.
જૉશ ઇંગ્લિસ, ટ્રૅવનિસ હેડ, ટિમ ડેવિડ અને માર્ક્સસ્ટૉયનિસ જેવા ખેલાડીઓનું બૅટિંગ ઍક્શન જોવા ન મળ્યું, એ નિરાશાજનક હતું.
પીચને કારણે પડકાર
ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન તેમના કાંડાની કમાલ ન દેખાડી શક્યા હોવાનું એક કારણ એ પણ છે કે તેઓ શ્રીલંકાની ધીમી પીચોને પિછાણી ન શક્યા, ચાહે તે સિંહાલા સ્પૉર્ટ્સ ક્લબ ગ્રામઉન્ડ હોય કે પ્રેમાદાસાની પીચ.
બૉલ જે રીતે બૅટ સુધી પહોંચવો જોઈએ, એ સુધી નહોતો આવી રહ્યો. ફાસ્ટ અને બાઉન્સ થતાં બૉલ માટે ટેવાયેલા ઑસ્ટ્રેલિયાના બલ્લેબાજો માટે આ વાત મુશ્કેલીરૂપ સાબિત થઈ હતી.
શ્રીલંકાની પીચો ભેજવાળી હતી, જેના કારણે બીજો દાવ લેવો કપરો હતો, વિશેષ કરીને સવારની મૅચો દરમિયાન. મને લાગે છ કે તેઓ આ પ્રકારની પીચો માટે સજ્જ ન હતા.
બૅટ્સમૅનોનું પ્રદર્શન
જો ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅનનાં પ્રદર્શન ઉપર નજર કરીએ તો સમગ્ર સિરીઝ દરમિયાન તે સાતત્યપૂર્ણ ન હતું. અમુક ખેલાડીઓએ કેટલીક મૅચો દરમિયાન રન બનાવ્યા હતા, પરંતુ શું તેના કારણે મૅચને 'અસર' થઈ હતી કે કેમ, તે વિચારનો વિષય છે.
દાખલા તરીકે, ઇશાન કિશનના રનોએ મૅચના પરિણામ ઉપર અસર પાડી છે, આવી રીતે ઑસ્ટ્રેલિયાના બલ્લેબાજોએ 'અસરકારક' ઢબે રન નથી બનાવ્યા.
એક રીતે ઑસ્ટ્રેલિયાના તમામ ખેલાડીઓ ટીમની આ પરિસ્થિતિ માટે જવાબદાર છે. મને લાગે છે કે ટ્રાવિસ હેડના પર્ફૉર્મન્સની પણ મોટી અસર થઈ છે. આઇપીએલની ટુર્નામેન્ટમાં પાવર-પ્લે દરમિયાન 80 રન ફટકારનારો ખેલાડી, વર્લ્ડકપ દરમિયાન એવું પ્રદર્શન નથી કરી શક્યો.
ટ્રાવિસનું નબળું પ્રદર્શન અને ઈજાને કારણે ઑસ્ટ્રેલિયાને નુકસાન થયું છે. વર્લ્ડકપ માટેની ટીમની તૈયારી પણ સવાલ ઊભા કરે તેવી છે.
તાજેતરનાં વર્ષોમાં ટી20 ફૉર્મેટમાં પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન અસરકારક નથી રહ્યું. આમ છતાં પાકિસ્તાન ખાતે યજમાન દેશ સામે યોજાયેલી ટી20 સિરીઝમાં ઑસ્ટ્રેલિયાની ટીમનો વ્હાઇટવૉશ થયો હતો.
ટુર્નામેન્ટની છેલ્લી બે મૅચો દરમિયાન તેઓ માંડ 108 અને 96 રન બનાવી શક્યા હતા. આમ છતાં તેઓ આશા સાથે વર્લ્ડકપમાં ઉતર્યા હતા.
લડાયક મિજાજનો અભાવ
ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓમાં આત્મવિશ્વાસનો અભાવ સ્પષ્ટપણે વર્તાતો હતો. ઈજા તથા આ બધાં પરિબળોને કારણે ઑસ્ટ્રેલિયાએ ટુર્નામેન્ટ દરમિયાન સંઘર્ષ કરવો પડશે, એવું લાગતું હતું, પરંતુ, તેમનું પ્રદર્શન આટલું ખરાબ હશે, એવી કોઈને અપેક્ષા ન હતી.
ઑસ્ટ્રેલિયાની ટીમે તેનો લડાયક મિજાજ ગુમાવી દીધો છે, એ વાત મને સૌથી વધુ ચોંકાવે છે.
જોરદાર ટીમ ન હોવા છતાં વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટ દરમિયાન તેઓ લડાયક મિજાજ દેખાડે અ સામેની ટીમ માટે મુશ્કેલી ઊભી કરશે, એવી તેમની પાસેથી અપેક્ષા હતી.
મને યાદ છે ત્યાર સુધી વર્લ્ડકપના ઇતિહાસમાં ઑસ્ટ્રેલિયાની ટીમની આવી વલ્લે ક્યારેય નથી થઈ.
મેં ઑસ્ટ્રેલિયાની ટીમે આવી રીતે સંઘર્ષ કરતી ક્યારેય નથી જોઈ. ટીમને આટલી સરળતાથી એકતરફી રીતે હરાવી શકાય, એ વાત માન્યામાં આવે એવી નથી.
મંઝીલે ઔર ભી હૈ
ચાહે ક્રિકેટ હોય કે અન્ય કોઈ રમત, 'ઇરાદા' બહુ મોટી ભૂમિકા ભજવે છે. હાલની ભારતીય ક્રિકેટ ટીમ માટે આ વાત કહી શકાય એમ છે.
આપણે હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેઓ પહેલા બૉલથી જ ફટકાબાજી કરવાનો પ્રયાસ કરે છે. ભારતની ટીમનો દરેક ખેલાડી ઍક્શનમાં જોવા મળે છે.
લાંબા સમય પછી ઑસ્ટ્રેલિયાની ટીમે 'ઝનૂન' ગુમાવી દીધું છે એવું પહેલી વખત લાગી રહ્યું છે. જેના કારણે તેઓ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.
ઝિમ્બાબ્વે સામેની મૅચ દરમિયાન ઑસ્ટ્રેલિયાની ટીમની ફિલ્ડિંગમાં પણ ત્વરા નહોતી જોવા મળી. આપણે લાંબા સમયથી ઑસ્ટ્રેલિયાની ટીમને મેદાન ઉપર જોઈ છે. તે આક્રમક હોય છે.
તેઓ સામેવાળી ટીમની આંખમાં આંખ નાખીને લડત આપતા, પરંતુ મને નથી લાગતું કે આ ટુર્નામેન્ટ દરમિયાન એવું કંઈ આપણને જોવા મળ્યું છે.
એટલે જ હું કહું છું કે આ એ ઑસ્ટ્રેલિયા નથી. તેમનું પ્રદર્શન ઘણાંને આંચકાજનક લાગ્યું હશે. આશા રાખીએ કે આ કપરો સમય પૂરો થાય.
હાલ તો 'બધું પૂરું થઈ ગયું' હોય એવી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ એટલું બધું વિચારવાની જરૂર નથી. વર્લ્ડકપનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, છતાં અનેક બાબતો વિચારવા જેવી છે.
તેમની પાસે કૌશલ્યવાન ખેલાડીઓ છે, જેઓ પોતાના ફૉર્મમાં ચોક્કસથી પરત ફરશે. ઑસ્ટ્રેલિયાની ટીમને એકદમ અંડર ઍસ્ટિમેટ ન કરવી જોઈએ.
આ લેખ લખનાર વિદ્યુત શિવરાક્રિષ્નન તામિલનાડુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વતી રમ્યા છે. તેઓ વર્ષ 2000માં ભારતને વર્લ્ડકપ અપવાવારી અંડર-19ના સભ્ય હતા અને હાલમાં તેઓ કૉમેન્ટેટર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન