પ્રેસ રિવ્યૂઃ કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશેઃ રૂપાણી

'દિવ્યભાસ્કર'ના અહેવાલ પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદમાં ચૂંટણીસભા સંબોધી હતી.

આ સભામાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતશે તો ગુજરાતમાં ફટાકડા ફૂટશે અને કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપ બાજુ વિકાસ અને અને સામેની બાજુ વિનાશ છે.

દિલ્હી અને ગુજરાતમાં બન્ને જગ્યાએ ભાજપની સરકાર હોય તો ગુજરાતીઓને બધી તરફથી ફાયદો છે.

તમને આ પણ વાંચવું ગમશે

'આંદોલનમાંથી અન્ય કેજરીવાલ નહીં આપુ'

'ઇકોનોમિક ટાઈમ્સ'માં પ્રકાશિત અહેવાલ મુજબ સામાજિક કાર્યકર અને ગાંધીવાદી નેતા અણ્ણા હઝારેએ એવું નિવેદન આપ્યું હતું કે હવે તેઓ તેમના આંદોલનમાંથી અરવિંદ કેજરીવાલ જેવા અન્ય નેતા નહીં આપે.

12મી ડિસેમ્બરે દિલ્હીના શહીદ સ્મારક પર લોકચર્ચા બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મારે કોઈ સંબંધ નથી અને હવે મારા આંદોલનમાંથી કેજરીવાલ જેવા અન્ય કોઈ નેતા બહાર નહીં આવવા દઉં.

અણ્ણા હઝારેએ વર્ષ 2011માં ભ્રષ્ટાચાર વિરુદ્ધનું આંદોલન શરૂ કર્યું ત્યારે અરવિંદ કેજરીવાલ તેમની સાથે જોડાયા હતા.

બાદમાં તેમણે અણ્ણાથી અલગ થઈ 'આમ આદમી પાર્ટી'ની સ્થાપના કરી હતી.

ભારતની સૌપ્રથમ સ્કોર્પિયન સબમરીન

'મુંબઈ મિરર'ના અહેવાલ પ્રમાણે સ્કોર્પિયન સીરિઝની ભારતની સૌપ્રથમ સબમરીન 'કલવરી' 14મી ડિસેમ્બરે ભારતીય નૌકાદળમાં સામેલ થશે.

આ સબમરીનનું નિર્માણ મુંબઈનાં મઝગાંવ ડોકયાર્ડમાં કરવામાં આવ્યું છે.

સબમરીનને નૌકાદળમાં સામેલ કરવાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે.

આ સબમરીન દુશ્મનને નિઃસહાય બનાવી દે તેવા હુમલાઓ કરી શકે છે.

કલવરીનો ઉમેરો ભારતની દરિયાઈ સૈન્યશક્તિમાં મહત્વપૂર્ણ વધારો કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો