ભીમા કોરેગાંવ હિંસાના એક વર્ષ બાદ પરિસ્થિતિ કેવી છે? : ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, શ્રીકાંત બંગાલે
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 2 મિનિટ

દરવર્ષની જેમ આ વર્ષે પણ દલિત સમુદાયના હજારો લોકો મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવ સ્થિત વિજય સ્તંભ (યુદ્ધ સ્મારક) પાસે એકઠા થયા છે.

અહીં એકઠા થનારા લોકો અંગ્રેજો તથા મરાઠાઓ વચ્ચે લડાયેલા ત્રીજા યુદ્ધમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી મહાર રેજિમૅન્ટને શ્રદ્ધાંજલી અર્પી રહ્યાં છે.

આ યુદ્ધમાં ઇસ્ટ ઇંડિયા કંપનીએ મરાઠાઓને પરાજય આપ્યો હતો. એ સમયે મહારાષ્ટ્રમાં મહાર સમુદાયને અછૂત માનવામાં આવતો હતો.

ગત વર્ષની હિંસાને જોતા વહીવટી તંત્ર દ્વારા ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લગભગ 6500 પોલીસ કર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

શા માટે મહત્ત્વપૂર્ણ ?

ગત વર્ષે ભીમા કોરેગાંવ યુદ્ધની 200મી વર્ષગાંઠ હતી, ત્યારે અહીં હિંસા ફાટી નીકળી હતી, જે જોતજોતામાં આજુબાજુના વિસ્તારોમાં પણ ફેલાઈ ગઈ હતી.

આ હિંસામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ ઘટનાક્રમ બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા.

હાઈકોર્ટના બે નિવૃત્ત જજ તથા ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

મનોહર 'સંભાજી' ભીડે તથા મિલિંદ એકબોટે સામે દલિતો વિરુદ્ધ ફાટી નીકળેલી હિંસાના આરોપી છે.

પોલીસની થિયરી પ્રમાણે, સુધીર ધાવલે, સોમા સેન તથા મહેશ રાઉત જેવા 'અર્બન નક્સલ'ની ઉશ્કેરણીને કારણે ભીમા કોરેગાંવ ખાતે હિંસા ફેલાઈ હતી.

કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના સામાજિક ન્યાયપ્રધાન રામદાસ અઠાવલે પેરણે ફાટા ખાતે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

અઠાવલે દલિત નેતા છે અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઇંડિયાના સુપ્રીમો પણ છે. તેમની પાર્ટી મોદી સરકારના નેતૃત્વવાળી એનડીએ (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ)ના ભાગરૂપ છે.

આ વખતે પણ હિંસાની આશંકા હોવાથી પુણેના કલેક્ટરે આસપાસના ગામડાંના લોકો સાથે બેઠકો કરી હતી.

ચાંપતો બંદોબસ્ત

દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે માટે પુણે જિલ્લા વહીવટીતંત્રે પૂરતી વ્યવસ્થા કરી છે.

મુખ્ય સ્થળે કોઈને કાર્યક્રમ યોજવાની મંજૂરી આપવામાં નથી આવી, તેમને એ સ્થળથી અડધો કિલોમીટર દૂર જ કાર્યક્રમ યોજવાની મંજૂરી અપાઈ છે.

જિલ્લાના કલેક્ટર નવલ કિશોર સાથે આ અંગે વાત થઈ હતી, તેમના કહેવા માટે તંત્ર બે મહિનાથી તૈયારી કરી રહ્યું હતું.

પાર્કિંગ માટે 11 સ્લોટ ફાળવવામાં આવ્યા છે. પાંચથી દસ લાખ લોકોની ભીડને સંભાળી શકાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે.

સ્મારક સુધી અવરજવર માટે 150 બસ કામે લગાડવામાં આવી છે. વિજય સ્તંભ જતા રસ્તાનું સમારકામ કરાવી દેવાયું છે અને આજુબાજુમાં હંગામી શૌચાલય ઊભા કરવામાં આવ્યા છે.

આજુબાજુના સાત-આઠ કિલોમીટરના વિસ્તારમાં સીસીટીવી (ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન કૅમેરા) લગાડવામાં આવ્યા છે. આ સિવાય ડ્રોન કૅમેરાથી પણ નજર રાખવામાં આવી રહી છે.

આયોજકોને હિંસક તથા ઉશ્કેરણીજનક ભાષા નહીં વાપરવા સૂચના આપવામાં આવી છે.

તેમને આચારસંહિતા આપવામાં આવી છે, જો તેનું પાલન નહીં કરવામાં આવે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો