You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દૃષ્ટિકોણ: આખરે રફાલ યુદ્ધ વિમાન ડીલ આવો કોયડો કેમ બની ગઈ છે ?
- લેેખક, પ્રમોદ જોશી
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
- વાંચવાનો સમય: 4 મિનિટ
રફાલ ડીલ મામલે રક્ષા મંત્રી નિર્મલા સીતારમને ગુપ્તતાનો આધાર આપી કેટલીક બાબતો અંગે સ્પષ્ટતા આપી છે. તેમ છતાં કૉંગ્રેસ પાર્ટી આ સ્પષ્ટીકરણથી સંતુષ્ટ હોય એવું નથી લાગતું. શંકા જેટલી મજબૂત હશે, તેટલો જ વધારે તેને લાભ મળશે.
પાર્ટી માટે આ એક રાજકારણ અને રણનીતિ હોઈ શકે છે પરંતુ બાબતોના સ્પષ્ટીકરણની જવાબદારી બન્ને પર છે. શંકાનો આધાર સ્પષ્ટ હોવો જોઈએ. જેટલા સ્પષ્ટ આરોપ હોય એના જવાબો પણ એટલા જ સ્પષ્ટ હોવા જોઈએ.
માલૂમ થવું જોઈએ કે જો કૌભાંડ છે તો તે શું છે.
લોકસભામાં બુધવારે થયેલી ચર્ચામાં રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર જણાવે કે એક વિમાનની કિંમત 560 કરોડ રૂપિયાની જગ્યાએ 1600 કરોડ રૂપિયા કેમ છે? તેમને શું લાગે છે, કિંમત કેમ વધી?
રાહુલ ગાંધીએ ત્યાર બાદ એક ટ્વીટ કરીને તેમના આરોપોને ત્રણ સવાલ રૂપે રજૂ કર્યા. કિંમતમાં વધારા સિવાય તેમણે એક સવાલ પૂછ્યો કે 126ની જગ્યાએ 36 વિમાન કેમ?
એચએએલનો કૉન્ટ્રેક્ટ રદ કરીને 'એએ' (અનિલ અંબાણી)ને?
એચએએલનો કૉન્ટ્રેક્ટ રદ કરીને 'એએ' (અનિલ અંબાણી)ને કેમ આપવામાં આવ્યો? અંબાણીની કંપનીને 30,000 કરોડ રૂપિયાનો કૉન્ટ્રેક્ટ આપી દેવાયો. શું ખરેખર આવું થયું છે?
આ મામલે ટિપ્પણી કરનારાઓ કાં તો રાજકીય ટિપ્પણીકર્તા છે અથવા કોઈ પાર્ટી તરફે ઝુકાવ ધરાવનારા છે. ડિફેન્સ સંબંધિત ડીલમાં ખૂબ મોટી રકમ જોડાયેલી હોય છે અને તેનો મામૂલી અંશ પણ મોટો આંકડો બની જાય છે.
માનવામાં આવે છે કે રફાલ વિમાન બનાવનાર કંપની દસોએ ઑફસેટ પાર્ટનર પંસદ કરતી વખતે કેટલીક એવી કંપનીઓને પ્રાથમિકતા આપી હતી જેના સંબંધો સરકાર સાથે સારા હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પણ એમ કરવામાં કઈ નિર્ધારિત પ્રક્રિયાઓનું ઉલ્લંઘન થયું છે?
કિંમતોમાં વધારો કેમ થયો?
સરકારનું કહેવું છે કે ફ્લાય-અવે કન્ડિશન અને ઉપકરણોથી સજ્જ વિમાનની કિંમત યુપીએ સરકારની ડીલ કરતા ઓછી છે.
કૉંગ્રેસ આનાથી ઉલટું કહે છે. પરંતુ તે માત્ર એક જ કિંમતનો ઉલ્લેખ કરે છે, બેનો નહીં.
વિમાનની કિંમત, તેની સંખ્યા અને ખરીદ પ્રક્રિયા તથા ડીલમાં કરવામાં આવેલા ફેરફારોની તપાસ કરવાની સંસ્થાગત વ્યવસ્થા દેશમાં છે.
માત્ર આ જ નહીં પણ કોઈ પણ ડીલનાં લેખા-જોખાં રાખવામાં આવે છે.
ડીલ ગમે તેટલી ગુપ્ત હોય પણ સરકારના કોઈ વિભાગ પાસે તો તેની માહિતી હોય જ છે.
ખરીદીના લેખા-જોખાં રાખવાનું કામ સીએજીનું છે. માહિતી જો સંવેદનશીલ હોય તો તેને માસ્ક કરીને તેનું વિવરણ દેશ સમક્ષ મૂકી શકાય છે. આનું વિવરણ પણ આપવું પડશે. પરંતુ સવાલ એ છે કે ક્યારે?
સંસદના શિયાળુ સત્રમાં સીએજીનો રિપોર્ટ રજૂ થવાની આશા હતી. પણ હવે કહેવામાં આવે છે કે ચૂંટણી સુધી કદાચ એ શક્ય નહી બને.
બીજી સંસ્થાકીય તપાસ સુપ્રીમ કોર્ટમાં શક્ય છે. ગત મહિને 14 ડિસેમ્બરે કોર્ટે વિમાન ખરીદની નિર્ણય-પ્રક્રિયા, મૂલ્ય-નિર્ધારણ અને ભારતીય ઑફસેટ-પાર્ટનર ત્રણેય મામલે નિર્ણય સંભળાવ્યો.
નિર્ણયની શતાબ્દીના કારણે કેટલીક શંકા છે અને તેનું નિવારણ કોર્ટ દ્વારા શિયાળાની રજાઓ બાદ થશે.
લાંબી પ્રક્રિયા?
વિડંબના એ છે કે આપણા રક્ષા-ઉદ્યોગનો વિકાસ નથી થઈ શક્યો. આથી મોટી કિંમત ચૂકવીને વિદેશી હથિયાર ખરીદવામાં આવે છે. તેના પર વિવાદ થાય છે અને ખરીદીની પ્રક્રિયા અટકી જાય છે.
વાયુસેનાએ વર્ષ 2001માં 126 વિમાનોની જરૂર જણાવી હતી.
એક લાંબા પરીક્ષણ-પ્રક્રિયામાં વિશ્વના છ પ્રસિદ્ધ વિમાનોના પરીક્ષણ થયા.
આખરે 31 જાન્યુઆરી 2012ના રોજ ભારત સરકારે ઘોષણા કરી કે રફાલ વિમાન સૌથી ઉપયોગી છે.
આ ડીલ હેઠળ 18 તૈયાર વિમાન ફ્રાંસથી આવવાના હતા અને 108 વિમાન લાયસન્સ હેઠળ એચએએલમાં બનવાના હતા.
ઘોષણા છતાં ડીલ ન થઈ. કિંમતની સાથે સાથે ભારતીય પાર્ટનર (એટલે કે એચએએલ)નો મામલો પણ હતો.
ફ્રાંસની કંપની એચએએલમાં બનેલા વિમાનની ગુણવત્તાની જવાબદારી લેવા તૈયાર નહોતી.
વળી એચએએલમાં આ વિમાન તૈયાર કરવામાં ફ્રાંસ કરતા અઢી ગણો સમય લાગી જતો. જે વિમાનને ફ્રાંસમાં દસો 100 દિવસમાં બનાવતી તેને એચએએલમાં બનાવવામાં 257 દિવસ થતા હતા.
યુપીએ દ્વારા નિર્ણયમાં વિલંબ?
5 ફેબ્રુઆરી 2014ના રોજ તત્કાલીન રક્ષા મંત્રી એ. કે. એન્ટનીએ પત્રકારનો જણાવ્યું કે આ નાણાકિય વર્ષમાં સરકાર પાસે એટલા નાણાં નથી બચતા કે ડીલ થઈ શકે આથી તેને ટાળવામાં આવે છે.
તેમણે એમ પણ કહ્યું કે વિમાનની 'લાઇફ સાઈકલ-કોસ્ટ'ની ગણના પ્રક્રિયા પર પુનવિર્ચાર કરવામાં આવી રહ્યો છે. એટલે એનો અર્થ કે કિંમત મામલે ઘણી બાબતો હતી.
મૂલ્ય-નિર્ધારણને પણ સમજવું જરૂરી છે. મૂળભૂત કિંમત વિમાનની હોય છે તેના પર લાગેલા ઍવિયૉનિક્સ, રડાર, સેન્સર, મિસાઇલ અને અન્ય શસ્ત્રો તથા ઉપકરણોની કિંમત અલગ હોય છે. વળી તેના 40 વર્ષના રખરખાવની પણ કિંમત હોય છે.
રફાલ મામલે ઑફસેટ પાર્ટનરની વાત પણ થઈ રહી છે. એવું કઈ રીતે કહી શકાય કે એચએએલનો કૉન્ટ્રેક્ટ રદ કરીને અંબાણીને આપવામાં આવ્યો?
અંબાણીની કંપની વિમાન નથી બનાવવાની. તેનું ભારતમાં લાયસન્સ હેઠળ નિર્માણ નથી થવાનું. સરકારે 2015માં 126 વિમાનોના ટૅન્ડર પરત ખેંચી લીધા હતા.
હા જોવું એ જોઈએ કે આ ટૅન્ડરને રદ કરવાની પ્રક્રિયા યોગ્ય હતી કે નહીં. આપણે તમામ 126 વિમાન ફ્રાંસ પાસેથી ખરીદીએ તો કદાચ સસ્તા પડી શકે.
પરંતુ તેનાથી સ્વદેશીકરણની પ્રક્રિયા પર વિપરિત અસર થશે.
વળી ડીલ પૂરી સંખ્યામાં વિમોનોની નથી થઈ આથી તેના માટે એક અન્ય પ્રક્રિયા શરૂ કરવામાં આવી. જેમાં ભારતીય કંપનીઓ તેમના વિદેશી પાર્ટનર સાથે પ્રસ્તાવ આપી રહી છે.
આ સ્ટ્રૅટજિક પાર્ટનરશિપની નવી નીતિઓ હેઠળ કરવામાં આવી રહ્યું છે.
શું છે ઑફસેટ પાર્ટનર?
વિશ્વમાં 60 ટકાથી વધુ ડિફેન્સ- ટેકનૉલૉજી વિદેશી છે. યુપીએ અને એનડીએ બન્ને પર રક્ષા સામગ્રીનું સ્વદેશીકરણ કરવાનું દબાણ છે. આ માટે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
માત્ર જાહેરક્ષેત્રના આધારે આ કામ પૂર્ણ ન થઈ શકે.
રક્ષા સંબંધિત ખરીદીની નીતિમાં સ્વદેશી તત્વ વધારવા માટે ઑફસેટ નીતિને જોડવામાં આવી છે.
તેનો હેતુ જ્યારે આપણે વિદેશી સામગ્રી ખરીદીશું ત્યારે તેના બદલામાં કાં તો ટેકનૉલૉજી ટ્રાન્સફર થવી જોઈએ અથવા વિદેશી કંપની આપણા દેશ પાસેથી પણ કોઈક સામગ્રી ખરીદે.
રફાલ કંપની દસોએ ડીલની પચાસ ટકા રકમ ઑફસેટ હેઠળ ભારતમાં ખર્ચ કરવાની છે. આથી દસોએ ભારતની ઑફસેટ કંપની સાથે સમજૂતી કરી છે.
કેટલી કંપનીઓ સાથે કરાર થયા છે તેના વિશે ઘણી વાતો છે.
તેની સંખ્યા 40-50થી લઈ 70-80 હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમાં ટાટા ઍડવાન્સ સીસ્ટમ્સ લિમિટેડ, મહિન્દ્રા ઍરોસ્ટ્રક્ચર, ભારત ફોર્જ, લક્ષ્મી મશીન વર્ક્સ, ત્રિવેણી ટર્બાઇન, ગ્લાસ્ટ્રૉનિક્સ, લાર્સન ઍન્ડ ટૂબ્રોની સાથે દસો રિલાયન્સ જોઈન્ટ વેન્ચરનું નામ પણ છે. પરંતુ 30,000 કરોડ અતિશયોક્તિ છે.
સ્ટ્રૅટજિક પાર્ટનરશિપમાં યુદ્ધ વિમાનોના એન્જિન બાબતે સ્વદેશી ટેકનૉલૉજીના વિકાસની તક પણ મળશે. સ્વદેશી એન્જિન કાવેરીના વિકાસમાં અવરોધ આવી ગયો છે.
ઑફસેટ સમજૂતીમાં આ એન્જિનના ઉદ્ધારનો કાર્યક્રમ પણ સામેલ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો