You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીને મુલાયમસિંહ યાદવે કહ્યું, "વડા પ્રધાન તમે ફરી વડા પ્રધાન બનો."
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવે સંસદ ભવનમાં પોતાના ભાષણમાં કહ્યું કે તેઓ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી ફરીથી દેશના વડા પ્રધાન બને.
પોતાના સંબોધનમાં મુલાયમસિંહ યાદવે કહ્યું, "મારી ઇચ્છા છે કે જેટલા પણ સન્માનિત સભ્યો છે તેઓ ફરીથી ચૂંટાય. હું એ પણ જાણું છું કે અમે લોકો બહુમતીમાં આવી શકીએ એમ નથી. વડા પ્રધાન તમે ફરી વડા પ્રધાન બનો. અમે ઇચ્છીએ છીએ કે સદનમાં જેટલા પણ બેઠા છે, એ સૌ સ્વસ્થ રહે. સૌ મળીને ફરીથી સદન ચલાવે."
મુલાયમસિંહે કહ્યું, "હું વડા પ્રધાનને અભિનંદન પાઠવવા માગું છું. વડા પ્રધાનજી, તમે પણ સૌની સાથે મળીને સૌનું કામ કર્યું છે."
"એ સાચું છે કે આપણે જ્યારેજ્યારે પણ મળ્યા, કોઈ કામ માટે કહ્યું તો આપે એ જ વખતે આદેશ આપ્યો. હું તમારો અહીં આદર કરું છું, સન્માન કરું છું કે વડા પ્રધાનજીએ સૌને સાથે લઈને ચાલવાનો પૂરો પ્રયાસ કર્યો."
એ બાદ તેમણે કહ્યું, "હું કામના કરું છું કે તમે ફરીથી વડા પ્રધાન બનો."
મોદીએ કહ્યું, "આશિર્વાદ મળી ગયા"
સમાજવાદી પક્ષ ઉત્તર પ્રદેશમાં મહત્ત્વનો રાજકીય પક્ષ છે અને તે બહુજન સમાજ પક્ષ સાથે મળીને નરેન્દ્ર મોદીના ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડવા જઈ રહ્યો છે.
આવામાં મુલાયમસિંહના આ નિવેદન પર તેમના પુત્ર અખિલેશ યાદવને પ્રશ્ન પૂછવો પડે એમ છે.
આ દરમિયાન ગૃહમાં પોતાના ભાષણ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "મુલાયમસિંહે મને આશિર્વાદ આપી દીધા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી બાજુ, એક પત્રકાર પરિષદમાં કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને આ અંગે પ્રશ્ન પુછાયો તો તેમણે કહ્યું, "હું એમની વાત સાથે સંમત નથી."
મોદીએ શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોળમી લોકસભાના અંતિમ સત્રના છેલ્લા દિવસે ગૃહને કરેલા સંબોધનમાં મુલાયમસિંહ યાદવનો વિશેષ આભાર વ્યક્ત કર્યો.
મોદીએ કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન દેશે નવી સિદ્ધિઓ હાંસલ કરી. આ દરમિયાન વડા પ્રધાને કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ નિશાન તાક્યું.
મોદીએ રાહુલનું નામ લીધા વગર જ કહ્યું કે કેટલાકે સંસદમાં ભૂકંપ લાવવાની વાત કરી હતી પણ કોઈ ભૂકંપ આવ્યો નહીં.
મોદીએ કહ્યું, "ગળે મળવું અને ગળે પડવું એમાં શો ફરક હોય એ આ સંસદમાં જ જાણવા મળ્યું."
"સંસદમાં પ્રથમ વખત એ જોવા મળ્યું કે 'આંખો કી ગુસ્તાખિયાં' શું હોય છે. આ સદનમાં એવું હાસ્ય પણ સાંભળવા મળ્યું કે સારાસારા કલાકારો પણ ના કરી શકે."
નોંધનીય છે કે રાહુલે મોદીને સંસદમાં ગળે લગાવ્યા હતા અને આંખ મારવાનો તેમનો એક વીડિયો પણ સામે આવ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો