Anil Ambani : રિલાયન્સે રફાલ મામલે કૉંગ્રેસ સામે કરેલા 5000 કરોડના બદનક્ષીના કેસ પાછા ખેંચ્યા

વાંચવાનો સમય: 1 મિનિટ

અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપે રફાલ સોદામાં કથિત ગેરરીતિને મામલે કૉંગ્રેસ તથા નેશનલ હૅરલ્ડ સામે કરેલા 5000 કરોડના બદનક્ષીના કેસ પરત ખેંચી લેવાની જાહેરાત કરી છે.

રિલાયન્સ ગ્રૂપના વકીલ રસેશ પરીખે કહ્યું કે અમે એમની સામેના તમામ કેસો પરત ખેંચીએ છીએ.

આ અંગે નેશનલ હૅરલ્ડ અને અન્ય લોકોના વકીલ પી. એસ. ચાંપાનેરીએ કહ્યું કે એમના અસીલ તરફથી કેસો પરત ખેંચી લેવાની સૂચના મળી હોવાની માહિતી અમને રિલાયન્સ સમૂહના વકીલે આપી છે.

કેસો પરત ખેંચવાની કાયદાકીય પ્રક્રિયા અદાલતના ઉનાળું વેકેશન પછી હાથ ધરવામાં આવશે એમ ચાંપાનેરીએ કહ્યું છે.

કોનીકોની સામે કેસ છે?

રિલાયન્સ ગ્રૂપે રફાલ સોદામાં કથિત કૌભાંડને મામલે વિવિધ ટિપ્પણીઓ બદલ કૉંગ્રેસના વિવિધ નેતાઓ સામે કેસ કરેલા છે.

જેમાં કૉંગ્રેસ નેતાઓ સુનીલ જાખડ, પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા, ઓમેન ચાંડી, અશોક ચવાણ, અભિષેક મનુ સિઁઘવી, સંજય નિરૂપમ, શકિતસિંહ ગોહિલ અને નેશનલ હૅરલ્ડના કેટલાક પત્રકારોનો સમાવેશ થાય છે.

નેશનલ હૅરલ્ડના એડિટર જફર આગા અને વિશ્વદીપક સામે પણ બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે યુદ્ધવિમાન રફાલની ખરીદીમાં ગેરરીતિ કરવામાં આવી હોવાનો અને અનિલ અંબાણીની કંપનીને ફાયદો પહોંચાડવામાં આવ્યો હોવાનો આરોપ વિપક્ષ સરકાર પર મૂકે છે.

આ લોકસભાની ચૂંટણીમા આ મુદ્દો ખૂબ મહત્ત્વનો બન્યો હતો.

કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આક્રમક રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અને અનિલ અંબાણી પર આ મુદ્દે નામજોગ હુમલો અનેક વાર કરી ચૂક્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો