ચંદ્રયાન-2નું પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર કેવી રીતે કામ કરશે?

વાંચવાનો સમય: 3 મિનિટ

ભારત માટે આજની રાત ઐતિહાસિક હશે, જ્યારે ચંદ્રયાન-2 ચંદ્ર પર લૅન્ડ થશે. ઈસરોના વૈજ્ઞાનિકો આ લૅન્ડિંગને લઈને ઉત્સાહિત છે. જ્યારે ભારતના કરોડો લોકો આ પળની રાહ જોઈ રહ્યાં છે.

ચંદ્રયાન વિક્રમ લૅન્ડર સાથે ચંદ્ર પર ઊતરશે જે બાદ તેમાંથી રોવર પ્રજ્ઞાન અલગ થશે. અત્યાર સુધી ચંદ્ર પર કોઈ ગયું નથી ત્યાં ચંદ્રયાન-2નું સૉફ્ટ લૅન્ડિંગ ઈસરો કરાવવા જઈ રહી છે.

રોવર પ્રજ્ઞાન ચંદ્ર અંગેની માહિતી આપણને આપશે પરંતુ આ રોવર કેવી રીતે કામ કરશે તે તમે જાણો છો?

રોવર પ્રજ્ઞાનમાં કેવી ખૂબીઓ છે તેના અંગે ઈસરોએ માહિતી આપી છે અને એક વીડિયો પણ જાહેર કર્યો છે.

રોવર પ્રજ્ઞાન છ પૈડાં ધરાવે છે અને તેમાં અનેક ખૂબીઓ છે. આ છ પૈડાં પર સોનાના રંગની ટ્રાલીનુમા બૉડી છે. આ બૉડીના સૌથી ઉપરના ભાગમાં સોલર પેનલ લાગેલી છે જે સૂર્યથી ઊર્જા લઈને રોવર પ્રજ્ઞાનને કાર્યરત રાખશે.

જ્યારે તેના એક ભાગમાં બે કૅમેરા લાગેલા છે. આ બંને નેવિગેશન કૅમેરા છે જે રોવરને ચંદ્રની ઊબડખાબડ જમીન પર રસ્તો બતાવશે.

સોલર પેનલની સાથે જ બે રિસીવ અને ટ્રાન્સમિટ ઍન્ટેના લાગેલાં છે. બંને ચંદ્રની સપાટી પરથી મળનારી તમામ જાણકારી મૅસેજ દ્વારા ઈસરોને મોકલશે. આ ટ્રાન્સમિટ ઍન્ટેનાને રોવરનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.

રોવરમાં એપીએક્સએસ છે. જે આલ્ફા પાર્ટિકલ એક્સરે સ્પેક્ટોમિટર છે. જે ત્યાં હાજર કણોની તમામ જાણકારી ધરતી પર મોકલશે અને રોવરને સુરક્ષા પણ પૂરી પાડશે.

ઈસરોએ આપેલી જાણકારી પ્રમાણે પ્રજ્ઞાન રોવરનું વજન 27 કિલોગ્રામ છે, જે 50W પાવરથી ચાલે છે. જેમાં બે પ્લેલૉડ્સ લગાવવામાં આવ્યાં છે. આ મિશનની લાઇફ 1 લૂનર ડે છે. એક લૂનર ડે એટલે કે પૃથ્વીના લગભગ 14 દિવસો બરાબર થાય છે.

રોવરના બે પૈડાં વચ્ચે રૉકર બોગી અસેમ્બલી લાગેલી છે. પૈડાં સપાટી પ્રમાણે ચાલી શકે તે માટે તે લગાવવામાં આવી છે. આ અસેમ્બલી વચ્ચેના પૈડાને છોડીને આગળ અને પાછળનાં પૈડાંને જોડે છે.

ઈસરોના એનિમેશન વીડિયોમાં જોઈ શકાય છે કે વિક્રમ લૅન્ડર પોતાના બૉક્સમાંથી રોવર પ્રજ્ઞાનને ચંદ્રની સપાટી પર ઉતારશે. સપાટી પર ઊતરતાની સાથે જ તે ચંદ્ર પર ભારતની છાપ છોડશે.

જેવું જ પ્રજ્ઞાન રોવર નીચે ઊતરી જશે, તેની સોલર પેનલો ખૂલી જશે અને તે પૂરી રીતે ચાર્જ થયેલું હશે. ચંદ્રની સપાટી પર ઊતરતાની સાથે દ તે મિશન સાથે જોડાયેલી માહિતીઓ ઈસરોને મોકલવાની શરૂ કરી દેશે.

ચંદ્ર પર રહેલા પ્રજ્ઞાનને પૃથ્વી પરથી ગાઇડ કરવામાં આવશે અને તે રીતે તે ચંદ્ર પર આગળ વધશે. ઈસરોના જણાવ્યા પ્રમાણે વિક્રમ લૅન્ડરથી પ્રજ્ઞાન રોવર માત્ર 500 મીટર જ આગળ ચાલશે. ઈસરોના જણાવ્યા પ્રમાણે રોવર એક સેન્ટીમિટર પ્રતિ સેકન્ડની સ્પીડથી ચાલશે.

ચંદ્ર પર મોકલવામાં આવેલું આ છ પૈડાંવાળા વાહનનું નામ પ્રજ્ઞાન રાખવામાં આવ્યું છે.

રોવરને સૂર્યની ઊર્જા મળતી રહી તો તે સ્વયં ચાર્જ થતું રહેશે અને ધરતીને ચંદ્રની સપાટી પરથી સંદેશાઓ મોકલતું રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો