વિજય રૂપાણી ગુજરાતને ઍજ્યુકેશન હબ બનાવવાની વાત કરે છે પણ ખરેખર સ્થિતિ શું છે?

    • લેેખક, રોહિત શુક્લા
    • પદ, શિક્ષણશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 4 મિનિટ

"ગુજરાતને અમે ઍજ્યુકેશન હબ બનાવવા માગીએ છીએ. 2022 સુધીમાં 10 હજાર વિદેશી વિદ્યાર્થીઓ ભણવા માટે ગુજરાતની યુનિવર્સિટીઓમાં આવે એવું સરકારનું લક્ષ્ય છે." આ શબ્દો રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના છે.

રાજકોટ યુનિવર્સિટી ખાતે આયોજિત યૂથ ફૅસ્ટિવલમાં સંબોધન વખતે તેમણે દાવો કર્યો કે રાજ્યમાં અત્યારે બે હજારથી વધારે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

બીજી તરફ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે ધોરણ આઠ સુધી નાપાસ નહીં કરવાની નીતિ હઠાવવામાં આવશે.

થોડાં વર્ષો અગાઉ નાપાસ નહીં કરવાની નીતિ જ્યારે લાગુ કરવામાં આવી હતી ત્યારે તેનો વિરોધ પણ થયો હતો.

એ જ પ્રકારે દેશભરમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર પદ્ધતિ દાખલ કરવામાં આવી. સાથે-સાથે રાજ્યની શાળાઓમાં પણ સેમેસ્ટર પદ્ધતિ દાખલ કરવામાં આવી.

સેમેસ્ટર પદ્ધતિનો પણ જોર-શોરથી વિરોધ થયો હતો.

ગુજરાતના શિક્ષણમાં નિષ્ફળ નીતિઓ

શિક્ષણતંત્રને સારી રીતે ચલાવી તેના ઉદ્દેશ્યો સિદ્ધ કરવા વાસ્તે ત્રણ ક્ષેત્રોને મજબૂત કરવા અને સંવેદનશીલ બનાવવા પડે. આ ત્રણ ક્ષેત્રો એટલે નીતિ, વહીવટ અને બજેટ.

ગુજરાત સરકાર એક લાંબા સમયથી આ ત્રણેય ક્ષેત્રે નિષ્ફળ રહી છે. તેની પાસે સુયોગ્ય નીતિ નથી તેનો પુરાવો બે રીતે મળે છે.

એક તો સેમેસ્ટર પ્રથાની નિષ્ફળતા સમજે છે પણ તેનો કોઈ ઉપાય કરી શકતી નથી.

બીજું તાજેતરમાં ધોરણ આઠ સુધી ચડાવવાની પદ્ધતિ હતી પણ તેમાં શિક્ષણની ગુણવત્તા જળવાતી નથી એમ વિચારી હવે પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે પણ લગભગ દસેક હજાર શિક્ષકોની ઘટ છે તે પૂરતી નથી.

શિક્ષણ પાછળ ખર્ચમાં ગુજરાત ક્યાં?

આર્થિક વૃદ્ધિ અને વિકાસ બે અલગ-અલગ વિભાવનાઓ છે, જીડીપીમાં વર્ષોવર્ષ થતા ટકાવારી વધારાને વૃદ્ધિ કહેવાય પણ લોકોને મળતી જીવનની ગુણવત્તાને વિકાસ કહેવાય.

જનસમૂહોના વિકાસમાં શિક્ષણ કેન્દ્રસ્થાને હોય છે અને આ સંદર્ભમાં ગુજરાતને એક વિકસિત રાજ્ય ગણવું મુશ્કેલ છે.

ભારતનાં 18 મોટાં રાજ્યોના કુલ ખર્ચમાંથી શિક્ષણ પાછળ થતા ખર્ચની ટકાવારીની રીતે જોઈએ તો વર્ષ 2017-18 અને 2018-19 માં છત્તીસગઢ પ્રથમ સ્થાને છે જ્યારે ગુજરાત 14માં સ્થાને છે.

ગુજરાતના શિક્ષણ પાછળના ખર્ચ ઉપર નજર નાખીએ તો જણાય કે વર્ષ 2019-20માં સામાન્ય શિક્ષણ પાછળના ખર્ચમાં માત્ર 1.74 ટકાનો જ વધારો થયો છે.

પ્રારંભિક શિક્ષણ પાછળના સરકારી ખર્ચમાં રૂપિયા 228 કરોડનો ઘટાડો કરાયો છે.

ખાનગી શાળાઓની સંખ્યા વધી

એક તરફ 2001થી દેશમાં સર્વ શિક્ષણ અભિયાન ચાલે છે, સાથોસાથ વર્ષ 2009થી પ્રાથમિક શિક્ષણને બંધારણીય અધિકાર આપતો આરટીઈ કાયદો પસાર થયો છે.

આથી શિક્ષણ વધુ વ્યાપક બને તે અપેક્ષિત છે પરંતુ ગુજરાતમાં આ માટે શિક્ષણને ધંધો ગણતી ખાનગી શાળાઓની સંખ્યા અને પ્રમાણ વધ્યાં છે.

સામાન્ય લોકો લાભ લઈ શકે તેવી સરકારી શાળાઓને ધીમે-ધીમે બિનપ્રભાવક બનાવાઈ રહી છે.

2004-05માં સરકારી શાળાઓની સંખ્યા 32,258 હતી તે હવે 2017-18માં વધીને માત્ર 33,788 થઈ.

આની સામે આ સમયગાળામાં ખાનગી શાળાઓની સંખ્યા 3,292થી વધીને 10,597 થઈ.

સરકારી શાળાઓની સંખ્યા માંડ અડધો ટકો વધી જ્યારે ખાનગી શાળાઓ લગભગ અઢી સો ટકા વધી છે.

બીજી બાજુ સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકોની ભરતી થતી નથી અને શાળાના ઓરડા પણ જર્જરિત હાલતમાં હોય છે.

આવી શાળાઓને જાણે કે ઈરાદાપૂર્વક ધીમા મોતે મારવામાં આવી રહી છે.

પરિણામે 2004-05 અને 2017-18 વચ્ચે સરકારી શાળાઓમાં ભણનારા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 60 લાખથી ઘટીને 55 લાખ થઈ ગઈ.

જ્યારે ખાનગી શાળાઓમાં તે લગભગ સાત લાખથી વધીને 32 લાખ થઈ.

નીચી ગુણવત્તા

શાળાઓમાં અપાતાં શિક્ષણની ગુણવત્તા અત્યંત નીચી છે.

શિક્ષણનું ખાનગીકરણ અને વેપારીકરણ થવા છતાં ધોરણ 5ના વિદ્યાર્થીને બીજા ધોરણનું પુસ્તક પણ વાંચતા ન ફાવતું હોય એવા વિદ્યાર્થીઓનું પ્રમાણ મોટું છે.

ઘણી બધી સરકારી શાળાઓમાં એક જ શિક્ષક ચાર કે પાંચ ધોરણો એકસાથે ભણાવે છે.

શાળાનું ભણતર પૂરું કરીને બારમા ધોરણ સુધી પહોંચનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ માંડ 20થી 30 ટકા જેટલું હોય છે. કૉલેજકક્ષાનું શિક્ષણ પણ સાવ બેહાલ છે.

એન્જિનિયરિંગ, ફાર્મસી, હોમિયોપેથી, ડેન્ટલ, આયુર્વેદ વગેરે ભણનારા પૈકી મોટાભાગના બેકાર રહે છે.

આવી કૉલેજો પણ બંધ થવા માંડી છે અને આ માટેનાં કારણો સમાચારપત્રોમાં ચર્ચાતાં રહ્યાં છે અને સરકાર કાંઈ તેનાથી અજાણ નથી.

ઊંચી ફી, નબળી ગુણવત્તાવાળું શિક્ષણ તથા ભણ્યા પછી નોકરીનો અભાવ એ તેનાં મુખ્ય કારણો છે.

કૉલેજ અને યુનિવર્સિટીનું સ્તર

જ્યારે રાજ્યના મુખ્ય મંત્રી વિદેશી વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસ અર્થે બોલાવવાનું આયોજન કરે છે, ત્યારે રાજ્યના વિદ્યાર્થીઓ કેટલાક અભ્યાસક્રમો માટે વિદેશ જઈ રહ્યા છે.

મેડિકલ જેવા અભ્યાસક્રમોની ફી એટલી ઓછી છે કે હવે થોડાક લાખ વિદ્યાર્થીઓ ફિલીપાઇન્સ, યુક્રેન, ચીન અને રશિયા જેવા દેશોમાં ભણવા માટે જતા રહે છે.

બીજી તરફ આર્ટ્સ, કૉમર્સ અને સાયન્સની કૉલેજો અને જૂની યુનિવર્સિટીઓની હાલત દયાજનક અને કંઈક અંશે કફોડી છે.

વળી આવી યુનિવર્સિટીઓમાં નીમાતા કુલપતિઓમાં પણ લાયકાત કરતા અન્ય યોગ્યતાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. કેટલાક તો લાયકાતને ધોરણે પણ ખરા ઊતરે તેમ નથી.

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પીડબલ્યૂડીના એક એન્જિનિયરને ગોઠવી દેવાયા છે.

ગુજરાત યુનિવર્સિટીમાંથી અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી ખુદ સરકારે જ પોતાના નીમેલા કુલપતિઓને રુખસત આપી છે.

ઘણી બધી કૉલેજોમાં આચાર્ય તરીકેના ચાર્જ પૂરતી લાયકાત ન ધરાવતાને આપી દેવાયા છે. અધ્યાપકોની પૂરતી ભરતી થતી નથી.

શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમોને માત્ર તમાશા બનતા અટકાવવા હોય અને ગુણવત્તાસભર શિક્ષણ સૌને માટે હાથવગું કરવું હોય તો ખરેખર સરકારે ખૂબ જ સ્વસ્થ ચિત્તે વિચારવું પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો