You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Kaifi Azmi : એ શાયર જે મૌલવી બનતાંબનતાં કૉમરેડ બની ગયા...
દુનિયાભરમાં જાણીતા શાયર એવા કૈફી આઝમીનો આજે જન્મદિવસ છે. ગૂગલે આજના દિવસે એક ડૂડલ બનાવીને કૈફી આઝમીને શ્રદ્ધાંજલિ આપી છે.
કૈફી આઝમીનો 14 જાન્યુઆરી, 1918માં જન્મ ઉત્તર પ્રદેશના આઝમગઢના મેજવામાં એક જમીનદાર પરિવારમાં થયો હતો.
કૈફી આઝમીનું મૂળ નામ અતહર હુસૈન રિઝવી હતું.
તેઓ 19 વર્ષની વયે કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા હતા, પાર્ટીના અખબાર 'કૌમી જંગ' માટે લખવાનું શરૂ કર્યું અને બૉમ્બે જતા હતા.
www.azmikaifi.com પર આપેલી માહિતી મુજબ કૈફી આઝમીએ 11 વર્ષની વયે તેમની પહેલી ગઝલ 'ઈતના તો જિંદગી મેં કિસી કી ખલલ પડે' લખી હતી.
ઘરનું ધાર્મિક વાતાવરણ અને કૈફી આઝમીનું વૈચારિક પરિવર્તન
કૈફી આઝમી શાયર નિદા ફાઝલીના સમકાલીન હતા.
સરદાર જાફરી, મજાઝ લખનવી અને ફૈઝ અહમદ ફૈઝ આઝમીથી સિનિયર હતા અને સાહિર લુધિયાનવી અને મઝરુહ સુલતાનપુરી તેમના હમસફર હતા.
નિદા ફાઝલીએ બીબીસી હિંદી માટે લખેલા (16 ઑગસ્ટ, 2006માં પ્રકાશિત) એક લેખમાં લખ્યું હતું કે 'કૈફી આઝમીના ઘરનું વાતાવરણ ધાર્મિક હતું. પરંતુ મેજવાથી જ્યારે તેમને ધાર્મિક તાલીમ માટે લખનઉ મોકલવામાં આવ્યા તો ધાર્મિકતા આપોઆપ સામાજિકતામાં તબદીલ થતી ગઈ. અને એ રીતે તેઓ મૌલવી બનતાંબનતાં કૉમરેડ બની ગયા.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'આ વૈચારિક પરિવર્તન બાદ તેમના બીજું કોઈ વૈચારિક પરિવર્તન આવ્યું નહીં. જ્યારથી તેઓ કૉમરેડ બન્યા ત્યારથી એ જ રસ્તે ચાલ્યા અને દેહાંત વખતે પણ તેમના કુર્તામાં સીપીઆઈનું કાર્ડ હતું.'
શોષિત વર્ગના શાયર
કૈફી આઝમીનું માનવું હતું કે કવિતાનો એક સામાજિક પરિવર્તન માટેના સાધનરૂપે ઉપયોગ થવો જોઈએ.
નિદા આગળ લખે છે, 'અન્ય કૉમ્યુનિસ્ટોની જેમ તેમને નાસ્તિક કહેવા યોગ્ય નથી. તેમનો સામ્યવાદ પણ તેમના ઘરની આસ્થાની જેમ એક ફેલાયેલું સ્વરૂપ હતો.'
'તેઓ સમાજના શોષિત વર્ગના શાયર હતા. તેમના સમર્થનમાં કલમ ઉઠાવતા અને તેમના માટે જ મુશાયરામાં પોતાની ગઝલો સંભળાવતા હતા.'
'કૈફી આઝમી માત્ર શાયર નહોતા, પણ શાયરની સાથે સ્ટેજના સારા 'પર્ફૉર્મર' પણ હતા.'
'શાયરી પુસ્તકોમાં વાંચી શકાય છે અને સાંભળી પણ શકાય છે. લખવાની ઢબ સાથે રજૂઆત પણ એક આગવી કલા છે.'
'શાયરી અને રજૂઆત. આ વિશેષતા એક જ શાયરમાં બહુ ઓછી જોવા મળે છે અને જો એ મળી જાય તો શાયર પોતાના જીવનકાળમાં લોકપ્રિયતાનાં શિખરો સરી કરી લે છે. વિવેચકો ભલે ગમે તે કહે પણ હકીકત આ જ છે.'
1976માં આવેલી શ્યામ બેનેગલ દિગ્દર્શિત ફિલ્મ 'મંથન' ગુજરાત પર આધારિત હતી અને ફિલ્મના ડાયલૉગ્ઝ કૈફી આઝમીએ લખ્યા હતા.
આ ફિલ્મમાં ગિરીશ કર્નાડ, નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, અમરીશ પુરી સહિતના કલાકારોએ કામ કર્યું હતું.
કૈફી આઝમીએ 1952માં શાહીદ લતીફ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'બુઝદિલ' માટે પહેલું ગીત લખ્યું હતું.
'ગર્મ હવા'ના સ્ક્રિનપ્લે અને ડાયલૉગ્ઝ લખવા બદલ તેમને નેશનલ ઍવૉર્ડ અને ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો.
તેમજ તેમને પદ્મશ્રી, સાહિત્ય અકાદમી ફૅલોશિપ, સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, મહારાષ્ટ્ર સરકાર તરફથી મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર, સોવિયેત લેન્ડ નહેરુ ઍવૉર્ડ સહિત અનેક પુરસ્કારો મળ્યા હતા.
નિદા ફાઝલી પણ લખે છે કે તેઓએ 11 વર્ષની વયે એક ગામમાં પોતાની પહેલી ગઝલ સંભળાવી હતી. તેમની ઉંમર જોતાં ગામલોકો માની ન શક્યા કે આ તેમણે લખી છે.
પહેલી ગઝલનો મત્લો કંઈક આમ હતોઃ
ઈતના તો જિંદગી મેં કિસી કી ખલલ પડે
હંસને સે હો સુકૂન ન રોને સે કલ પડે.
બેગમ અખ્તરે પણ આ ગઝલ ગાઈ અને દેશભરમાં મશહૂર થઈ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો