You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશાખાપટ્ટનમ ગૅસ-લીકેજ : 13નાં મૃત્યુ, મોડી રાત્રે ફરી ગામ ખાલી કરાવ્યાં
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના આર આર વેંકટપુરમ સ્થિત એક પૉલિમર ઉદ્યોગમાં ગૅસ-લીકેજ થયું છે. આ ઘટનામાં 13 લોકોનાં મૃત્યુ થયાં છે અને 800 લોકોને સારવાર અર્થે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
જોકે ગુરુવારે સાંજે જાહેર કરાયેલી માહિતીમાં મૃતાંક 11 જણાવવામાં આવ્યો હતો.
અનેક પ્રાણીઓ પણ મૃત્યુ પામ્યા હોવાના પ્રાથમિક અહેવાલ છે.
આ ગૅસ-લીકેજ મામલે આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે.
બીજી તરફ આંધ્ર પ્રદેશના ઉદ્યોગ મંત્રી મેકાપતિ ગૌતમ રેડ્ડીએ આ ગૅસ લીકેજની ઘટના એલજી પૉલિમર કંપનીની ગંભીર બેદરાકારીને કારણે થઈ હોવાનું કહ્યું છે.
એમણે કહ્યું કે એલજી પૉલિમરે નિયમોનું પાલન નથી કર્યું અને એની સામે પગલાં લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એલજી પૉલિમર કંપની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ આ મુદ્દે તપાસ કરી રહી છે.
રાજ્યના મુખ્ય મંત્રી જગનમોહન રેડ્ડીએ હૉસ્પિટલમાં દાખલ થયેલા લોકોની મુલાકાત લીધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉકટરનું કહેવું છે દાખલ કરવામાં આવેલા 196 લોકોની હાલત સ્થિર છે.
મુખ્ય મંત્રીએ મૃતકોના પરિવારજનોને એક કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ ઉપરાંત જે લોકો વૅન્ટિલેટર પર છે તેમને પણ 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
આ ગૅસકાંડમા અનેક પશુઓ પણ મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે જેમનું પણ વળતર ચૂકવાશે.
પોલીસ કમિશનર આર. કે. મીણાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે પ્લાન્ટના મૅનેજમૅન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ ઘટના અંગે ટ્વીટ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, "એમએચએ અને એનડીએમએના અધિકારીઓ સાથે વાત થઈ છે, જેઓ આ ઘટના પર નજર રાખી રહ્યા છે. તમામ લોકો સુરક્ષિત અને સ્વસ્થ રહે એવી હું કામના કરું છું."
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ પ્લાન્ટ એલજીનો હોવાનું જાણવા મળે છે. આ મામલે બીબીસીએ એલજીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો છે, જોકે હજી સુધી પ્રતિક્રિયા મળી નથી.
બીબીસીને સ્થાનિક લોકો તથા સહયોગી પાસેથી મળેલા વીડિયો ફૂટેજમાં લોકો રસ્તા પર ઢળી પડ્યાં હોવાના દૃશ્યો જોવા મળ્યા છે.
આ ઘટના બાદ નજીકનાં પાંચ ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પોલીસ અને અધિકારીઓએ પ્રભાવિત વિસ્તારમાં પહોંચી લોકોનાં ઘર ખાલી કરાવવાનું શરૂ કર્યું છે.
લીક થયેલો ગૅસ કેટલો ખતરનાક?
સ્ટાઇરીન એક પ્રકારનો હાઇડ્રોકાર્બન ગૅસ છે.
આ ગૅસનો ઉપયોગ પ્લાસ્ટિક, પેઇન્ટ, ટાયર જેવી ચીજો બનાવવામાં થાય છે.
આ ગૅસની સૂગંધથી અથવા તેને ગળી જવાથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અસર થતી હોય છે.
આ ગૅસના સંપર્કમાં જે વ્યક્તિ આવે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
આ ગૅસથી માથામાં દુખાવો, અશક્તિ તેમજ ફેફસાં પર વિપરિત અસર પણ તાય છે. વિશેષજ્ઞોના પ્રમાણે આ કૅન્સરનું કારણ બની શકે છે.
ઘણા લોકોની ફરિયાદ છે કે તેમને આંખોમાં બળતરા થઈ રહી છે અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
ગૅસ-લીકેજથી પ્રભાવિત લોકોને હૉસ્પિટલ પહોંચાડવા 50 ઍમ્બુલન્સને સ્ટેન્ડ-બાય રાખવામાં આવી હતી.
15 લોકોને કિંગ જ્યૉર્જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર શરૂ કરાઈ છે.
આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી વાય. એસ. જગનમોહન રેડ્ડીએ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો