કોરોના વાઇરસ : રાજકોટમાં બનેલું ધમણ-1 વૅન્ટિલેટર ફેલ થઈ ગયું?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • વાંચવાનો સમય: 3 મિનિટ

રાજકોટની કંપનીએ બનાવેલું ધમણ-1 વૅન્ટિલેટર ધાર્યું પરિણામ મેળવી શકતું ન હોવાનું તબીબોના ધ્યાને આવ્યું છે.

આ અંગે અમદાવાદની સિવિલ હૉસ્પિટલના તબીબી અધીક્ષકે જીએમએસસીએલને એક પત્ર લખીને જાણ કરી છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે 'કોવિડ-19ની મહામારીને પહોંચી વળવા અમદાવાદની સિવિલ હૉસ્પિટલને દર્દીઓની સારવાર માટે જીએમએસસીએલ દ્વારા ધમણ-1 અને એ.જી.વી.એ. વૅન્ટિલેટર પૂરાં પાડવામાં આવ્યાં હતાં."

"પરંતુ એનેસ્થેસિયા વિભાગના વડા દ્વારા જણાવાયું કે આ બંને વૅન્ટિલેટર કોવિડ-19ના દર્દીઓમાં ધાર્યું પરિણામ આપી શકતાં નથી.'

પત્રના અંતમાં કોવિડ-19 હૉસ્પિટલ 1200 બૅડ ખાતે High-End ICU Ventilator (Adult)નાં 50 નંગ અને આઈ.કે.ડી.આર.સી. (કિડની હૉસ્પિટલ)ને પણ 50 નંગની તાત્કાલિક જરૂર હોવાથી ફાળવી આપવા વિનંતી કરવામાં આવી છે.

પત્રમાં ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સાથે યુ.એન. મહેતા હૉસ્પિટલમાં થયેલી મિટિંગ અને ચર્ચાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શું ધમણ-1 વૅન્ટિલેટર ફેલ ગયું?

કોરોના વાઇરસના કેસ ગુજરાત અને અમદાવાદમાં સતત વધી રહ્યા છે અને એવા સમયે ધમણ-1નું પરિણામ 'યોગ્ય' ન કહેવાનું કહેવાતા વિવાદ થયો છે.

જ્યોતિ સીએનસી કંપનીના કૉર્પોરેટ કૉમ્યુનિકેશન્સનાં એક્ઝિક્યુટિવ હેડ શિવાંગી લાખાણીએ બીબીસીના સહયોગી બિપિન ટંકારિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે કંપનીએ વૅન્ટિલેટરની ક્વૉલિટી અંગે ગાંધીનગરસ્થિત બૉર્ડ પાસેથી અપ્રૂવલ લીધું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું કે "તેમણે ગુણવત્તા ચકાસીને અપ્રૂવલ આપ્યું એ પછી જ અમે એક હજાર મશીન બનાવ્યાં અને મોકલી આપ્યાં હતાં."

"હવે એમાં કેમ ત્રૂટી કાઢવામાં આવી રહી છે, એ અમને પણ સમજાતું નથી. અમે તો આ મશીન ડૉનેશન તરીકે આપ્યાં હતાં."

"અમે જેટલાં પણ વૅન્ટિલેટર આપ્યાં છે એમાં કોઈ પ્રૉબ્લેમ નથી. મીડિયામાં આવેલા સમાચાર પણ અમારા માટે સરપ્રાઇઝ છે."

કંપનીએ જે નમૂનારૂપ વૅન્ટિલેટર તૈયાર કર્યું હતું એ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં મુકાયું હતું અને મુખ્ય મંત્રી વિજય રૂપાણી પણ એ વખતે ત્યાં આવ્યા હતા.

ધમણ-1 બનાવનાર જ્યોતિ સીએનસી કંપનીના કૉર્પોરેટ કૉમ્યુનિકેશન્સનાં એક્ઝિક્યુટિવ હેડ શિવાંગી લાખાણીએ ધમણ-1 વિશે વાત કરતાં અગાઉ બીબીસીને જણાવ્યું હતું કે "કોરોના પૉઝિટિવ દરદીને ધ્યાનમાં રાખીને જ વૅન્ટિલેટર ધમણ-1 બનાવવામાં આવ્યું છે."

"કોવિડ-19 દરદીઓ માટે પ્રેસર બેઝ્ડ વૅન્ટિલેટર જોઈએ તો આ એ જ ટેકનિકને ધ્યાનમાં રાખીને તૈયાર થયું છે."

શિવાંગીબહેને કહ્યું હતું કે બધી બાબતોનું ધ્યાન રાખીને 25 જણાની ટીમે દિવસરાત મહેનત કરીને 10 દિવસમાં પ્રોટોટાઇપ એટલે કે નમૂનારૂપ આદર્શ મૉડલ તૈયાર કર્યું હતું.

કઈ પ્રક્રિયામાંથી પસાર થયું હતું ધમણ-1?

શિવાંગીબહેને બીબીસીને કહ્યું હતું કે "અમે સિવિલ હૉસ્પિટલમાં મૂક્યું એ અગાઉ ગાંધીનગરમાં ઇક્યુડીસી (ઇલેક્ટ્રોનિક્સ ઍન્ડ ક્વૉલિટી ડેવલપમૅન્ટ સેન્ટર) છે ત્યાં અમે મેડિકલ સંસાધનના ગુણવત્તા પ્રમાણપત્ર માટે મોકલ્યું હતું."

"એ લોકોએ અમને પ્રમાણપત્ર આપ્યું એ પછી પ્રોટોટાઇપ વૅન્ટિલેટર સિવિલ હૉસ્પિટલમાં મુકાયું હતું. ઇક્યુડીસીનું સર્ટિફિકેટ આવ્યા પછી ગુજરાત સરકારે અમને અન્ય વૅન્ટિલેટર્સ માટે જણાવ્યું હતું."

તેમણે કહ્યું હતું કે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ટેસ્ટિંગમાં મુકાયેલા પ્રોટોટાઇપના ફીડબૅક અમને ખૂબ સારા મળ્યા હતા. સિવિલ હૉસ્પિટલમાં જે મેડિકલ સ્ટાફ હતો તેમણે ટેસ્ટિંગ કર્યું હતું.

સામાન્ય રીતે વૅન્ટિલેટરની બજારકિંમત 6 લાખ કરતાં વધુ હોય છે. પણ ધમણ-1 વૅન્ટિલેટરની કિંમત માત્ર એક લાખ રૂપિયા જ રાખવામાં આવી હતી.

શિવાંગી લાખાણીએ જણાવ્યું હતું કે "જરૂરિયાતમંદ દરદી સુધી વૅન્ટિલેટર્સ ઝડપથી પહોંચતા થાય એટલા માટે સપ્લાયર્સે અમને રાહત આપી હતી, ઓવરહેડ કોસ્ટ લીધી નથી એટલે અમે પણ સસ્તાદરે એનું વેચાણ કરી રહ્યા છીએ.

કેવી રીતે ધમણ-1 તૈયાર કરાયું હતું?

કોરોનાને કારણે ગંભીર માહોલ ઊભો થતાં તકેદારીનાં પગલાં માટે કલેક્ટરે ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી.

જેમાં જ્યોતિ સીએનસીના ચીફ મૅનેજિંગ ડિરેક્ટર પરાક્રમસિંહ જાડેજા પણ સામેલ હતા.

એ બેઠકમાં એક વાત એવી પણ થઈ કે વૅન્ટિલેટર્સની ખૂબ જરૂર પડશે. આપણે ત્યાં જે વૅન્ટિલેટર્સ છે તે મોટા ભાગે વિદેશથી જ મગાવવામાં આવે છે.

શિવાંગીબહેને અગાઉ આ પ્રોજેક્ટ અંગે કહ્યું હતું કે "જ્યોતિ સીએનસી કંપની મેડિકલ ઇમ્પલાન્ટ્સના વિવિધ પાર્ટ્સ જેવા કે ની જોઇન્ટ્સ હૅન્ડ જોઇન્ટ્સ વગેરે જે મશીનમાં તૈયાર થાય છે."

"એ માટેના પાર્ટ્સ જ્યોતિ સીએનસી બનાવે જ છે. મેડિકલક્ષેત્રે અમે મશીન્સ સપ્લાય પણ કરીએ છીએ."

ધમણ-1 વિશેની વધુ વિગત આપતાં શિવાંગીબહેને કહ્યું હતું કે "ધમણ-1 છે એ અમારું બૅઝિક મૉડલ છે. ધમણ-1ને હજી વધુ બહેતર કેટલું બનાવી શકાય એ માટે અમારું સંશોધન ચાલુ જ છે."

જોકે હવે વૅન્ટિલેટર ધાર્યું પરિણામ ન આપતું હોવાની વાત બહાર આવતાં આ મામલે વિવાદ થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો