કોરોના સેફ્ટી : WHOએ ફેસ માસ્કના ઉપયોગ અંગે શું નવી સલાહ આપી?

વાંચવાનો સમય: 2 મિનિટ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ફેસ માસ્ક ને લઈને તેની સલાહમાં બદલાવ કર્યો છે અને કહ્યું છે કોરોના વાઇરસના ફેલાવાને અટકાવવામાં મદદ માટે જાહેર સ્થળોએ ફેસ માસ્ક પહેરવો જોઈએ.

WHOએ કહ્યું કે નવી માહિતી અનુસાર ફેસ માસ્ક કોરોના વાઇરસના સંભવિત ચેપી કણોને રોકવાનું કામ કરી શકે છે.

કેટલાક દેશોએ અગાઉથી જ જાહેર સ્થળો પર ચહેરા પર માસ્ક લગાવવાની ભલામણ લોકોને કરી છે.

WHOએ અગાઉ એવો તર્ક આપ્યો હતો કે એવા કોઇ પુરાવા નથી જે સાબિત કરે કે તંદુરસ્ત લોકોએ માસ્ક પહેરવો જોઈએ.

WHOના કોવિડ-19 વિશેના અગ્રણી ટેકનિકલ નિષ્ણાત ડૉ. મારિયા વૅન કેરખોવે સમાચાર સંસ્થા રોઇટર્સને કહ્યું કે, રોગના સંક્રમણના જોખમવાળી જગ્યા ઉપર કપડાંનું માસ્ક જે નૉન-મેડિકલ માસ્ક છે તે પહેરવા લોકોને આ ભલામણ છે.

તેમણે ઉમેર્યું કે અમે બધા દેશોની સરકારોને પણ સલાહ આપી રહ્યા છીએ કે તેઓ તેમને ત્યાં લોકોને માસ્કના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરે.

જોકે, સાથે જ WHOએ એ વાત પર ભાર મૂક્યો છે કે, ફેસ માસ્ક સંક્રમણના જોખમને ઘટાડવા માટે ઉપયોગમાં લઈ શકાતા અનેક સાધનોમાંનું એક સાધન માત્ર છે અને એને લઈને લોકોએ રોગ સામે સુરક્ષિત હોવાની ખોટી ધારણા બાંધવી જોઈએ નહીં.

અગાઉની સલાહ શું હતી?

અગાઉ એપ્રિલમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સલાહકારોની એક પેનલ આ સવાલ પર વિચારણા કરી હતી.

એ વખતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે મેડિકલ માસ્ક આરોગ્યકર્મીઓ પૂરતા સીમિત રહેવા જોઈએ અને સામાન્ય લોકોએ તેનો ઉપયોગ ન કરવો જોઈએ.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કહેવા મુજબ જેનામાં લક્ષણો હોય કે જે સંદિગ્ધ લોકની સારવારમાં રત હોય તેમણે માસ્ક પહેરવો જોઈએ.

અગાઉ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દરેક લોકો માટે માસ્કની ભલામણ નહોતી કરી કેમ કે કાઢવામાં અને પહેરવામાં ચેપનો ખતરો ઊભો થઈ શકે છે અને તે ઉપરાંત જો અન્ય કોઈએ તેનો વપરાશ કરેલો હોય તો તેમનો ચેપ પણ લાગી શકે છે.

આ ઉપરાંત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું હતું કે માસ્કને લીધે સુરક્ષિત હોવાનો ખોટો અહેસાસ પણ વ્યક્તિમાં આવી શકે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સલામત સામાજિક અંતર અને હાથ ધોવા પર વધારે ભાર આપ્યો હતો.

અમેરિકામાં થયેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે ઉઘરસ આવે તેના કારણે 6 મીટર સુધી અને છીંકને કારણે 8 મીટર સુધી છાંટા ઊડી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો