You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ચીન સીમાવિવાદ : ચીનમાં યુદ્ધકેદી તરીકે રહેનાર ભારતીય સૈનિકની કહાણી
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 5 મિનિટ
નિવૃત્ત બ્રિગેડિયર અમરજીત બહલ ભારત-ચીન વચ્ચે લડાયેલા યુદ્ધનાં 50 વર્ષ બાદ પણ એ વિશે ટેલિફોન પર વાત કરતી વખતે રડી પડે છે.
બીબીસીએ વર્ષ 2012માં અમરજીત બહલ સાથે આ વાતચીત કરી હતી, તે સમયે અમરજીત બહલે ભારત-ચીન યુદ્ધ વિશે જે વાતો કરી હતી તેના અંશો અહીં પ્રસ્તુત છે-
"ઊંડી વેદના, યુદ્ધકેદી થવાનું દુઃખ પણ છે, પરંતુ એ આત્મસંતોષ છે કે ચીની સૈનિકો સામે લડત આપી."
ભારત-ચીન યુદ્ધનાં 50 વર્ષ પછી પણ ચંદીગઢથી બીબીસી સાથે ટેલિફોન ઉપર વાત કરતી વખતે બ્રિગેડિયર બહલનો અવાજ સંકેત આપે છે કે તે સમયના યુવાન સેકન્ડ લેફ્ટનન્ટમાં કેટલો ઉત્સાહ હશે.
વરિષ્ઠ અધિકારીઓ દ્વારા જ્યારે યુદ્ધમાં જવા માટેની તેમની વિનંતી સ્વીકારી લેવામાં આવી ત્યારે બહલ બહુ ખુશ થયા. બહલ આગ્રામાં 17 પૅરાશૂટ ફિલ્ડ રેજિમૅન્ટમાં કાર્યરત હતા. તેઓ 30 સપ્ટેમ્બર 1962ના રોજ આગ્રાથી નેફા માટે રવાના થયા હતા.
લાંબી અને આકરી મુસાફરી કરીને અને તેજપુર ખાતે રોકાયા પછી જ્યારે સેકન્ડ લેફ્ટનન્ટ જે. એસ. બહલ તંગધાર પહોંચ્યા ત્યારે તેમને ક્યાં ખબર હતી કે આવનારો સમય આટલો કપરો હશે.
તે સવારે શું થયું?
19મી ઑક્ટોબરની સવારને બહલ ક્યારેય નહીં ભૂલે. એ દિવસે ચાઇનીઝ સૈનિકોએ અચાનક ગોળીબાર શરૂ કર્યો અને બાદમાં ગોળીઓનો વરસાદ થવા લાગ્યો. ચીની વ્યૂહરચના સામે ભારત પાછળ રહી ગયું હતું.
બધા સંપર્કો કાપી નાખવામાં આવ્યા હતા. પરંતુ સેકન્ડ લેફ્ટનન્ટ જે. એસ. બહલ અને તેના ચાલીસ સાથીઓએ જે બહાદુરીથી લડ્યા તેને કેટલાય વરિષ્ઠ સૈન્યઅધિકારીઓએ તેમનાં પુસ્તકોમાં સ્થાન આપ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરહદ પર ભારતીય સૈનિકો માટે ડાકૉટા વિમાનથી શસ્ત્રો મોકલવામાં આવતાં હતાં. પરંતુ ગીચ જંગલોને કારણે શસ્ત્રો મેળવવાં ખૂબ મુશ્કેલ હતાં. તેમ છતાં, સેકન્ડ લેફ્ટનન્ટ બહલ અને તેના સાથીદારો પાસે નોંધપાત્ર સંખ્યામાં શસ્ત્રો હતા.
19 ઑક્ટોબરની સવારે ચાર વાગ્યે તોપમારો શરૂ થયો. બહલ કહે છે કે નવ વાગ્યા સુધીમાં એવું લાગ્યું કે આકાશ ફાટી પડ્યું છે.
આ તોપમારામાં બહલના બે સાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. પરંતુ યુદ્ધમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓ માટે તૈયાર થયેલા સૈનિકની જેમ સેકન્ડ લેફ્ટનન્ટ બહલે ઘાવ પર બ્રાન્ડી નાંખીને ઇજાગ્રસ્તોની સારવાર કરી હતી.
બહલ અને તેના સાથીઓ ચાઇનીઝ આક્રમણનો જવાબ તો આપી રહ્યા હતા, તેમના પર ફાયરિંગ પણ કરી રહ્યા હતા, પરંતુ કોઈની સાથે સંપર્ક સ્થાપિત કરવામાં સફળતા મળતી નહોતી.
યુદ્ધકેદી
અને અંતે એજ બન્યું જેનો ડર હતો. સેકન્ડ લેફ્ટનન્ટ બહલ અને તેમના સાથીઓની ગોળીઓ ખતમ થવા લાગી અને અનિચ્છાએ તેમને યુદ્ધકેદીઓ બનવું પડ્યું.
કોઈ પણ સૈનિકની માટે આ કમનસીબ પરિસ્થિતિ છે. પરંતુ નિવૃત્ત બ્રિગેડિયર બહલ મુજબ, તેમને ગર્વ હતો કે તેમના કોઈ પણ સાથીઓએ પીછેહઠ કરવાની વાત નહોતી કરી જ્યારે ઘણા ભારતીય અધિકારીઓ અને સૈનિકો ત્યાંથી દૂર જતા રહ્યા હતા.
ચીની સૈનિકોએ બટ મારીને બ્રિગેડિયર બહલની પિસ્તોલ છીનવી લીધી. તેના સાથીઓનાં હથિયારો પણ છીનવી લીધાં. ચાર દિવસ પછી, સેકન્ડ લેફ્ટનન્ટ બહલ અને તેના સાથીઓને શેન ઈ ખાતે યુદ્ધકેદીઓની શિબિરમાં લઈ જવામાં આવ્યા.
આ કેમ્પમાં 500 જેટલા યુદ્ધકેદીઓ હતા. સેકન્ડ લેફ્ટનન્ટ બહલ કહે છે, "અમે કપ્તાન અને લેફ્ટનન્ટ સાથે હતા. અમે એકબીજા સાથે વાતો કરતા. જ્યારે અમે જમવા જતા ત્યારે અમે અમારા સૈનિકો સાથે વાત કરી શકતા હતા કારણ કે તેઓ અમારા માટે રસોઈ બનાવતા હતા. પરંતુ મેજર અને લેફ્ટનન્ટ કર્નલને અલગ-અલગ રાખવામાં આવ્યા હતા અને તેમને બહાર નીકળવાની મંજૂરી ન હતી. મેજર જૉન દાલવી ક્યાંક દૂર એકલા રહેતા હતા. તેમનું જીવન મુશ્કેલ હતું."
રસોડામાં ભારતીય સૈનિકોની હાજરીનો એક ફાયદો એ હતો કે બહલને સવારે ફીક્કી બ્લૅક ટી (દૂધ અને ખાંડ વગરની ચા) મળતી. પરંતુ ભોજનમાં ફક્ત રોટલી, ભાત અને મૂળાનું શાક પીરસવામાં આવતું. પછી ભલે તે બપોરનું હોય કે રાતનું ભોજન.
એક બાજુ કેદીની જેમ રેહવું અને બીજી બાજુ, છાવણીમાં વાગતું આ ગીત - ગુંજ રહા હૈ ચારો ઓર હિંદી-ચીની ભાઈ-ભાઈ.
એક સમયે ભારત અને ચીન વચ્ચેની મિત્રતાનું પ્રતિક સમું આ ગીત તે સમયે બહલ માટે સમસ્યાનું કારણ બની ગયું હતું.
તેઓ કહે છે, "ગુંજ રહા હૈ ચારો ઓર હિંદી-ચીની ભાઈ-ભાઈ- આ ગીત હંમેશાં વાગતું રહેતું હતું. આ સાંભળીને અમારા કાન પાકી ગયા હતા. કારણ કે આનાથી સંબંધોમાં કોઈ સુધારો આવી રહ્યો નહોતો."
યુદ્ધકેદી તરીકે સૈનિકો સાથે કડકાઈ થાય છે અને મારપીટ પણ બ્રિગેડિયર બહલ અને તેના સાથીઓ સાથે પણ આવું જ બન્યું. પરંતુ તે સમયે તેઓ જવાન હતા અને તેમણે તેને ગંભીરતાથી લીધું નહોતું.
ચીનના લશ્કરી અધિકારીઓ અનુવાદકોની મદદથી ભારતીય યુદ્ધકેદીઓ સાથે વાત કરતા અને ભારત અમેરિકાની કઠપૂતળી છે તે બતાવવાનો પ્રયાસ કરતા. તેમને આ વાત સ્વીકારવા માટે કહેવામાં આવતું હતું.
જેલમાંથી છૂટવાનો પ્રયત્ન કરવો એ તે યુદ્ધકેદી તરીકે સૈનિકની ફરજ પણ છે. બહલના મનમાં પણ આવી યોજના હતી. બહલ અને તેના બે સાથીઓ માંદગીના બહાને દવા ભેગી કરતા રહેતા, જેથી ભાગ્યા બાદ કામ લાગે.
તેઓ મોસમ સુધરે એની રાહ જોતા હતા પણ એ પહેલાં જ તેમનો છોડી દેવામાં આવ્યા.
પરિવાર સુધી પહોંચ્યા
"જ્યારે અમને છોડી મુકવાની ઘોષણા કરવામાં આવી, ત્યારે અમે એટલા ખુશ હતા કે સમય વિતાવવો મુશ્કેલ થઈ ગયો હતો. તે પછીના 20 દિવસો 20 મહિના જેટલા લાંબા હતા. અમને ગુમલામાં છોડી મુકવામાં આવ્યા. અમે ભારતમાતાને પ્રેમથી ચુંબન કર્યું અને કહ્યું - માતૃભૂમિ, દેવતુલ્ય આ ભારતની ભૂમિ આપણી. "
આ વાત કહીને બહલ ખૂબ ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા. કદાચ ફક્ત એક યુદ્ધકેદી જ ઘરે પાછા ફરવાનો આનંદને સમજી શકે છે.
આ સમય દરમિયાન રેડ ક્રૉસની મદદથી, તેમના પરિવારોને આ માહિતી મોકલવામાં આવી હતી કે તેઓ યુદ્ધકેદી છે.
જોકે સેનાના મુખ્ય મથકથી અગાઉ એક ટેલિગ્રામ ઘરે ગયો હતો કે જેમાં જાણવામાં આવ્યું હતું કે સેકન્ડ લેફ્ટનન્ટ બહલ ગુમ છે અને માનવામાં આવે છે કે તેમનું મૃત્યુ થયું છે.
અમૃત જેવી ચા
અમરજીત બહલ સાત મહિના પછી ચીની કેદીશિબિરથી ઘરે પરત ફર્યા.
બહલના મતે ભારત આવ્યા પછી તેમને વિશ્વની શ્રેષ્ઠ ચા મળી. આ ચામાં દૂધ અને ખાંડ પણ હતી અને તે ચા તેમના માટે અમૃત જેવી હતી.
આ પછી, બહલ અને તેના સાથીઓને ડી-બ્રીફિંગ માટે રાંચી મોકલવામાં આવ્યા (જે પ્રક્રિયા હેઠળ યુદ્ધકેદી બનેલા સૈનિકો પાછા આવે છે ત્યારે સઘન પૂછપરછ કરવામાં આવે છે).
બહલને ત્યાં ત્રણ દિવસ રાખવામાં આવ્યા હતા. પરંતુ આ પછી તેમને 'ઑલ ક્લિયર' આપવામાં આવ્યું. આ પછી તેઓ રજા પર ઊતરી ગયા અને પછી પોતાની રેજિમૅન્ટમાં પરત ફર્યા.
નિવૃત્ત બ્રિગેડિયર બહલ યુદ્ધકેદી બનવાથી નિરાશ નથી, પરંતુ માને છે કે આ અનુભવ તેમના માટે સારો પણ હતો અને ખરાબ પણ. સારો એવા માટે કે એક યુવા અધિકારી તરીકે તેઓ યુદ્ધમાં સામેલ થયા. ઘાયલ પણ થયા અને યુદ્ધકેદી પણ બન્યા.
ખરાબ એવા માટે કે જો તેઓ યુદ્ધકેદી ન બન્યા હોત તો તેમણે વધુ એક લડાઈ લડી હોત.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો