You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉંગ્રેસમાં ફેરફાર રાહુલ ગાંધીની તાજપોશીનો ઇશારો કરે છે? - દૃષ્ટિકોણ
કૉંગ્રેસ પાર્ટીના સંગઠનમાં બદલાવની ખબર જેવી આવી તેવી જ સૌથી વધુ ચર્ચા ગુલામનબી આઝાદની રહી.
એ પછી આનંદ શર્મા અને કપિલ સિબ્બલ જેવા નેતાઓની, એટલે કે એ તમામ અગ્રણી નેતાઓ, જેમણે ત્રણ અઠવાડિયાં પહેલાં કૉંગ્રેસમાં મજબૂત નેતૃત્વ અને સંગઠનમાં ચૂંટણીની માગ કરી હતી.
કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટી સંગઠનમાં મોટા ફેરબદલ કરતા ગુલામ નબી આઝાદ સહિત ચાર વરિષ્ઠ નેતાઓને મહાસચિવની જવાબદારીમાંથી મુક્ત કરી દીધા અને કૉંગ્રેસ કારોબારી સમિતિ (સીડબલ્યુસી)નું પણ પુનર્ગઠન કર્યું.
આ ઉપરાંત તેમણે એક સમિતિનું ગઠન કર્યું છે જે પાર્ટીના સંગઠન અને કામકાજ સાથે જોડાયેલા વિષયોમાં સોનિયા ગાંધીનો સહયોગ કરશે.
ધ્યાન આપવા જેવી વાત એ છે કે કૉંગ્રેસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારા ભૂતપૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ ન તો સોનિયા ગાંધીને સલાહ આપનાર સમિતિમાં છે, ન તો પાર્ટી સંગઠનમાં એમને કોઈ મહત્ત્વપૂર્ણ પદ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં કોઈ રાજ્યની જવાબદારી પણ સોંપવામાં નથી આવી.
પરંતુ જો ધ્યાનથી જોવામાં આવે તો આ તમામ બદલાવ આવનારા દિવસોમાં એમની તાજપોશી તરફ ઇશારો કરી રહ્યા છે.
કૉંગ્રેસ કાર્ય સમિતિમાં રાહુલ ગાંધીનું કદ હજુ પણ ઉપર છે. સોનિયા ગાંધી અને મનમોહન સિંહ પછી હવે તેઓ ત્રીજા નંબર ઉપર આવી ગયા છે.
ગાંધી પરિવારના માનીતા
કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષને સલાહ આપવા માટેની વિશેષ સમિતિમાં એ.કે. એન્ટની, અહમદ પટેલ, અંબિકા સોની, કે.સી. વેણુગોપાલ, મુકુલ વાસનિક અને રણદીપસિંહ સુરજેવાલા સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ એ લોકો છે જેઓ સંપૂર્ણ રીતે ગાંધી પરિવારના વિશ્વાસપાત્ર છે. આ લોકોએ ક્યારેય દબાયેલા સ્વરમાં પણ રાહુલ ગાંધીના નેતૃત્વની ટીકા નથી કરી.
રણદીપ સુરજેવાલા તો રાહુલ ગાંધીની ખાસ પસંદ છે.
રાહુલ ગાંધીને એમના ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અને આ જ કારણ છે કે તેઓ પાર્ટીના મુખ્ય પ્રવકતા પછી પાર્ટીના મહાસચિવ, કૉંગ્રેસ વર્કિંગ સમિતિના સભ્ય અને હવે અધ્યક્ષને સલાહ આપનારી સમિતિના સભ્ય પણ બની ગયા છે.
સુરજેવાલા એકમાત્ર એવા નેતા છે જેમને એક સાથે આટલા પદ મળ્યા છે.
આ સાથે જ પાર્ટીએ મધુસૂદન મિસ્ત્રીને કેન્દ્રીય ચૂંટણી સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે. 2014માં લોકસભા ચૂંટણીમાં ગુજરાતની વડોદરા બેઠક પરથી મધુસૂદન મિસ્ત્રીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી હતી.
એ દરમિયાન તેઓ ઘણા વિવાદોમાં પણ રહ્યા. ગુજરાતના નેતા મિસ્ત્રીની ભૂમિકા 2012ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ ઘણી મહત્ત્વની હતી.
તેઓ રાહુલ ગાંધીના પણ ખાસ છે. પ્રિયંકા ગાંધીને સમગ્ર ઉત્તર પ્રદેશની કમાન સોંપવામાં આવી. આ ઉપરાંત રાહુલ ગાંધીના માનીતા દિનેશ ગુંડુરાવ, મણિકમ અને એચ.કે. પાટીલ જેવા નેતાઓનું કદ પાર્ટીમાં વધ્યું છે.
રાજ્યોના પ્રભારી બનાવવામાં પણ રાહુલ ગાંધીના વફાદારોને પ્રાથમિકતા આપવામાં આવી છે. આમાં શક્તિસિંહ ગોહિલ અને રાજીવ સાતવ જેવા નેતાઓના નામ સામેલ છે.
બળવાખોરોને સંદેશ
પાછલા દિવસોમાં કૉંગ્રેસના 30 નેતાઓએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને ચિઠ્ઠી લખી હતી અને એ પછી કાર્ય સમિતિની હંગામેદાર બેઠક થઈ.
આ ફેરબદલ તે ઘટનાના 20 દિવસોની અંદર થયો છે. ચિઠ્ઠી લખનારા નેતાઓએ કાર્ય સમિતિની ચૂંટણી કરાવવાની માગ કરી હતી. પરંતુ સોનિયા ગાંધીએ કાર્ય સમિતિનું જ પુનર્ગઠન કરી દીધું.
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ, અહમદ પટેલ, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, અંબિકા સોની સહિત કુલ 22 નેતા કાર્ય સમિતિના સભ્ય બનાવાયા છે.
ગુલામ નબી આઝાદને કાર્ય સમિતિના સભ્ય બનાવાયા છે, પરંતુ એમને મહાસચિવના પદ ઉપરથી હઠાવી દેવાયા છે. અંબિકા સોની અને મલ્લિકાર્જુન ખડગેને પણ મહાસચિવની જવાબદારીમાંથી મુક્ત કરી દેવાયાં છે.
જોકે બંનેને જ કાર્ય સમિતિના સભ્ય બનાવાયાં છે. આનંદ શર્મા પણ કાર્ય સમિતિના સભ્ય બનાવાયા છે. મુકુલ વાસનિક મહાસચિવના પદ પર યથાવત રાખવામાં આવ્યા છે. અને તેમને સોનિયા ગાંધીની મદદ કરનારી સમિતિમાં પણ જગ્યા આપવામાં આવી છે.
ચિઠ્ઠી લખનારા નેતાઓમાં સામેલ ભૂપિન્દરસિંહ હુડ્ડા, કપિલ સિબ્બલ, શશિ થરુર, મનીષ તિવારીનાં નામ કોઈ પણ લિસ્ટમાં નથી.
સચીન પાઇલટને પણ અવગણવામાં આવ્યા છે. રાજસ્થાનમાં એમનાં તમામ પદો પહેલેથી જ છીનવી લેવાયાં છે. એટલે કે બળવાખોરોને પણ પક્ષ કોઈ સંદેશ આપી રહ્યો છે.
રાહુલની વાપસીની તૈયારી
કૉંગ્રેસ આમ પણ રાહુલ ગાંધીને પરત લાવવાની તૈયારીમાં હતી. લૉકડાઉન પહેલાં રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થાને લઈને મોદી સરકાર પર વાર કરવા શરૂ કરી દીધા હતા.
તેમણે વિશ્વના અર્થશાસ્ત્રીઓ સાથે મંદી ઉપર વાત કરી અને નાના-નાના વીડિયો જાહેર કર્યા હતા. સામાન્ય લોકોની સમસ્યાઓને ઉઠાવવા માટે એમણે કાયદેસર હિન્દીમાં વીડિયો બહાર પાડ્યા હતા.
સ્થળાંતર કરનારા શ્રમિકોને રાહુલ ગાંધી મળવા પહોંચી ગયા હતા. એટલે કે કૉંગ્રેસની રણનીતિ હતી કે સામાન્ય લોકોની વાત કરનારા નેતાના રૂપમાં રાહુલ ગાંધીની છબિ બનાવવામાં આવે.
જોકે તેઓ કૉંગ્રેસ અધ્યક્ષનું પદ છોડી ચૂક્યા હતા અને ફરીથી આ પદ પર આવવા માટે ના કહી રહ્યા હતા. પરંતુ કૉંગ્રેસ પાર્ટી એમને ચહેરો બનાવીને આગળ વધી રહી છે. કૉંગ્રેસમાં દબાયેલા સ્વરમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફેરબદલમાં સૌથી વધુ એવા નેતાઓને અવગણવામાં આવ્યા છે જે કૉંગ્રેસ મુખ્યાલયમાં બેસીને જ રાહુલ ગાંધીની ટીકા કરતા હતા.
એટલે કે હવે આર યા પારનો સંદેશ અપાઈ રહ્યો છે. પાર્ટીનો વિચાર છે કે રાહુલ ગાંધીના નેતૃત્વને સ્થાપિત કરવામાં આવે અને એ સંદેશ પણ આપવામાં આવે કે શિસ્ત જરૂરી છે.
સાથે જ જનાધારવાળા નેતાઓને મહત્ત્વ આપવાની વાત કહેવાઈ છે. જોકે જરૂરી નથી કે રાહુલ ગાંધીની તાજપોશી જલદી કરી દેવાય.
કહેવાઈ રહ્યું છે કે આ વખતે કૉંગ્રેસ પાર્ટી સંભાળપૂર્વક રાહુલ ગાંધીને રીલૉન્ચ કરશે. લોકસભા ચૂંટણીને પૂરાં ચાર વર્ષ બાકી છે. એવામાં રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની પક્ષને કોઈ ઉતાવળ નથી.
કુલ મળીને સોનિયા ગાંધીની નવી ટીમમાં એમના જૂના વફાદારો સાથે રાહુલ ગાંધીના ભરોસાપાત્ર નેતાઓને જગ્યા મળી છે અને શાંત બેસીને પાર્ટી નેતૃત્વ પર સવાલ ન ઉઠાવનારા નેતાઓને ઇનામ આપવામાં આવ્યું છે.
જ્યારે કે ચિઠ્ઠી લખનારા નેતાઓને મહત્ત્વપૂર્ણ હોદ્દા ઉપરથી દૂર કરી શિસ્ત બનાવી રાખવાનો સંદેશ આપવાનો પ્રયત્ન પણ કરાયો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો