You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લૉકડાઉનમાં ગુજરાતમાં સરકારી શાળાઓએ ખાનગી શાળાઓ કરતાં સારી કામગીરી કરી?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 6 મિનિટ
કોરોના લૉકડાઉન પછી છ મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે. રાજ્યમાં શાળાઓ હજી સુધી શરૂ થઈ નથી.
હજી પણ વિદ્યાર્થીઓ ઘરે બેસીને જ મોબાઇલ કે આઇપેડ કે કમ્પ્યુટર દ્વારા જ વીડિયો-ક્લાસ દ્વારા જ શિક્ષક પાસેથી જ અભ્યાસ કરે છે.
આઝાદી પછી ગુજરાતમાં આ કદાચ પહેલો એવો તબક્કો હશે કે શિક્ષકોએ રૂબરૂ વર્ગ લીધા વગર કે વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ વર્ગખંડમાં હાજરી નોંધાવ્યા વગર ડિજિટલ પાઠ્યપુસ્તકોમાંથી શિક્ષણ મેળવ્યું હોય. હાલમાં જ એન્યુઅલ સ્ટેટ ઑફ એજ્યુકેશન રિપોર્ટ (એએસઈઆર - અસર) રજૂ થયો છે.
આ રિપોર્ટમાં કોરોના લૉકડાઉન દરમિયાન બાળકોએ જે રીતે શાળાથી દૂર રહીને ઑનલાઇન શિક્ષણ મેળવ્યું એનો ચિતાર આપવામાં આવ્યો છે. રિપોર્ટ કહે છે કે ગુજરાતમાં ખાનગી શાળાઓ કરતાં સરકારી શાળાઓનું પ્રદર્શન સારું રહ્યું છે.
લૉકડાઉન લાગુ થયું ત્યારથી ગુજરાતમાં સરકારી શાળામાં 74.3 ટકા શિક્ષકોએ વિદ્યાર્થીને કે તેમનાં માતાપિતાનો રૂબરૂ કે ફોનકૉલથી (સપ્તાહમાં એક વખત) સંપર્ક કર્યો છે. જ્યારે કે ખાનગી શાળાઓમાં આ દર સરકારી કરતાં 6 ટકા ઓછો છે.
ખાનગી શાળાના 68.2 ટકા શિક્ષકો વિદ્યાર્થી કે તેમના વાલીઓના સંપર્કમાં રહ્યા છે.
સરકારી શાળાના શિક્ષકોના વિદ્યાર્થી વાલી સંપર્કનો જે દર છે તેમાં ટોચ પર દેશનાં બે જ રાજ્યો છે. જેમાં પંજાબ 74.9 ટકા અને ગુજરાત 74.3 ટકા છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યો આ મામલે ગુજરાતથી પાછળ છે.
શું કહે છે સર્વે?
વાલી કે વિદ્યાર્થીઓએ સામેથી શિક્ષકોનો સંપર્ક કર્યો હોય એની ટકાવારી જોઈએ તો ખાનગી શાળાના વાલીઓ આગળ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
53.4 ટકા સરકારી શાળાના વાલીઓની સરખામણીમાં 63.9 ટકા ખાનગી શાળાના વાલીઓેએ શિક્ષકોનો સંપર્ક કર્યો છે.
બીબીસીએ આ મુદ્દે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક (ઇન્ચાર્જ) આઈ.એમ. જોષી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે આ મામલે કોઈ પણ પ્રતિક્રિયા આપવાની ના પાડી હતી.
અસરના રિપોર્ટ અનુસાર લૉકડાઉન લાગુ થયું ત્યારથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ-વાલીઓનો પરસ્પર કોઈનો સંપર્ક ન કરી શક્યા હોય એનો દર ગુજરાતની સરકારી શાળામાં 25.7 ટકા છે.
જ્યારે કે સંપર્કની આ ખાઈ ખાનગી શાળામાં બહુ મોટી છે. ખાનગી શાળામાં 39.6 ટકા શિક્ષકો અને વિદ્યાર્થી કે વાલીઓ સાથે પરસ્પર કોઈનો સંપર્ક કરી શક્યા ન હોય એવું નોંધાયું છે.
જોકે આ મામલે સરકારી શાળાઓની બાબતમાં ગુજરાત કરતાં બિહાર (6.9 ટકા),આંધ્ર પ્રદેશ (8.9 ટકા), જમ્મુ-કાશ્મીર (11.7 ટકા), ઝારખંડ (10.4 ટકા) વગેરેનો દર સારો રહ્યો છે.
સરકારી શિક્ષકોના લૉકડાઉનમાં પગાર ન કપાયા
સરકારી શાળાના શિક્ષકો, ખાનગી શાળાના શિક્ષકો કરતાં વિદ્યાર્થી-વાલી સંપર્કમાં અગ્રેસર રહ્યા છે.
સર્વેનું આ તારણ કેટલું વાજબી છે એ વિશે જણાવતાં અમદાવાદસ્થિત શિક્ષણવિદ્ સુખદેવ પટેલે બીબીસીને કહ્યું હતું કે, "આ તારણ ખરું છે. સરકારી શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સાતત્ય જાળવી શક્યા છે. શાળાઓ બંધ હતી ત્યારે વિદ્યાર્થી સુધી શિક્ષણ પહોંચાડી શક્યા છે, કારણ કે સરકારી શિક્ષકોને લૉકડાઉન દરમિયાન પૂરતો પગાર અપાયો છે, સમયસર અપાયો છે."
"તમામ શિક્ષકો કામ પર છે. આની સામે ખાનગી શાળાઓમાં આ ત્રણેય વસ્તુઓમાં નબળાઈ છે. ખાનગી શાળાઓમાં ક્યાંક પગારકાપ છે તો ક્યાંક શિક્ષકોને છૂટા કરી દેવાયા છે. તેથી સરકારીની સરખામણીએ ખાનગી શાળાના શિક્ષકો લૉકડાઉન દરમિયાન વિદ્યાર્થી કે વાલીઓ સાથે સંપર્ક જાળવી શક્યા નથી."
ખાનગી શાળામાં પણ બે વર્ગ છે એવું સુખદેવ પટેલ માને છે.
તેઓ કહે છે કે, "એક, અત્યંત ધનિક વર્ગના વાલીઓનાં સંતાનો અભ્યાસ કરતા હોય એવી ખાનગી શાળાઓ અને બીજી, ઍફોર્ડેબલ એટલે કે એવી ખાનગી શાળાઓ કે જ્યાં પૈસા ખર્ચવા પરવડી શકે એવા મધ્યમવર્ગના વાલીઓના સંતાનો ભણતા હોય. આમાં જે ધનિક વર્ગનાં સંતાનોને અભ્યાસ કરાવતી શાળાઓએ પ્રમાણમાં તેમના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે લૉકડાઉન દરમિયાન સંપર્ક રાખી શક્યા છે."
"જ્યારે કે ઍફોર્ડેબલ શાળાઓમાં કેટલીક જગ્યાએ તેઓ શિક્ષકોને પગાર આપી શક્યા નથી, કાં તો પગારમાં કાપ મૂક્યો છે અને ક્યાંક તો શિક્ષકોને છૂટા કરી દીધા છે. તેથી એવી શાળાઓનો વિદ્યાર્થી કે વાલી સાથેનો સંપર્ક જળવાયો નથી."
"સરકારી શાળાઓ પર જેવું છે એવું પણ તંત્ર છે તેથી સરકારની બીકે પણ તેમણે કામ કરવા પડે છે. જ્યારે ખાનગી શાળાઓ પર કોઈ મૉનિટરિંગ નથી તેમજ તેમની જવાબદારી નક્કી કરતું કોઈ તંત્ર નથી."
સરકારી શિક્ષકોએ કઈ રીતે શિક્ષણકાર્ય કર્યું?
સરકારી શાળામાં કઈ રીતે લૉકડાઉન દરમિયાન કામ થયું એ જણાવતાં જામજોધપુરની સરકારી શાળાના શિક્ષક રાજેશભાઈ રોજીવાડિયા બીબીસીને જણાવે છે કે "સરકારી શાળાઓમાં સરકારનું નિયંત્રણ છે, જ્યારે કે ખાનગી શાળાઓમાં તેમના અલગઅલગ નિયમો છે. તેથી રાજ્યભરમાં સરકારી શાળાઓમાં જે એકસૂત્રતા જોવા મળે એ તરત જોવા મળે છે."
"કોરોના લૉકડાઉન દરમિયાન શરૂઆતથી જ સરકારે આયોજન કરી રાખ્યું હતું. શિક્ષણ વિભાગે આ માટે પરિપત્ર જાહેર કરી દીધા હતા. જે અનુસાર રાજ્યભરમાં શિક્ષકોએ કામ કરવાનું હતું. શિક્ષકોએ વારાફરતી-રૉટેશનમાં શાળાએ આવવાનું હતું."
તેઓ વધુમાં કહે છે, "પચાસ ટકા સ્ટાફ એક દિવસે આવે અને બાકીનો પચાસ ટકા સ્ટાફ બીજા દિવસે આવે. શિક્ષકોને કામગીરી આપવામાં આવી હતી કે વિદ્યાર્થીઓના અને વાલીઓના મોબાઇલ નંબર મેળવી લેવા. જે તેમણે મેળવી લીધા હતા. જેમની પાસે સ્માર્ટફોન હતા તે વિદ્યાર્થીઓ માટે અભ્યાસના ધોરણ અનુસાર વૉટ્સઍપ ગ્રૂપ બનાવ્યાં હતાં. એમાં જે તે ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમની લિન્ક રોજેરોજ મૂકવામાં આવતી હતી."
"આ ઉપરાંત ટીવી પર પણ અભ્યાસના વર્ગો આવતા હતા. જેના માટે જે તે ધોરણના વર્ગો સમય અનુસાર રજૂ થતા હતા. જે બાળકો પાસે વૉટ્સઍપવાળા મોબાઇલ નહોતા તેઓ ટીવી પરથી પણ અભ્યાસ કરી શકતા હતા."
"આમ સરકારી શાળાના વિદ્યાર્થીઓ પાસે જેટલા વિકલ્પો હતા, એટલા ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પાસે નહોતા. દરેક શિક્ષકને ફરજ પાડવામાં આવી હતી કે અઠવાડિયામાં બે વખત વિદ્યાર્થી કે તેમના વાલીનો સંપર્ક કરવો. તેમને પૂછવામાં આવતું કે વીડિયો જોયા? કોઈ તકલીફ નથી પડી ને? હોમવર્ક કરે છે કે નહીં? વગેરે."
શિક્ષકોને અન્ય કામ ન સોંપાયાં હોત તો...
અમદાવાદસ્થિત શિક્ષણવિદ્ રોહિત શુક્લ બીબીસીને જણાવે છે કે, "એ વાત ખરી કે ખાનગી કરતાં સરકારી શાળાના શિક્ષકો ઘરે બેઠા વિદ્યાર્થીઓને શક્ય તેટલું શિક્ષણ પહોંચાડવામાં મોખરે રહ્યા હોય, પણ સર્વે કહે છે તેમ એનો દર 74 ટકા જેટલો ઊંચો હોય એ વાત ગળે ઊતરે તેવી નથી."
લૉકડાઉન દરમિયાન અનેક બિનશૈક્ષણિક કામગીરી છતાં સરકારી શાળાના શિક્ષકો સારી રીતે કામ કરી શક્યા એ તારણ કેટલું વાજબી છે?
સુખદેવ પટેલ કહે છે કે "લૉકડાઉનના તબક્કામાં શિક્ષકો પાસે કામનું ભારણ ઓછું હતું તેથી તેઓ વાલી-વિદ્યાર્થી સાથે સારી રીતે સંકલન સાધી શક્યા છે. સરકારી અને ખાનગી બંને શિક્ષકો પાસે રાબેતા મુજબ કામનું ભારણ નથી."
રાજેશ રોજીવાડિયા કહે છે કે, "સરકારે જો લૉકડાઉનમાં બિનશૈક્ષણિક કામો અમને ન સોંપ્યાં હોત તો સરકારી શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ માટે વધુ બહેતર કામ કરી શકત."
તેઓ કહે છે, "કેટલાય શિક્ષકો સસ્તા અનાજના વિતરણમાં સતત રોકાયેલા રહ્યા હતા. કેટલાક જિલ્લાઓમાં શિક્ષકો ડોર ટુ ડોર કોરોના સર્વેમાં રોકાયેલા રહ્યા હતા. જો શિક્ષકોને આવા બિનશૈક્ષણિક કામો ન સોંપાયાં હોત તો વિદ્યાર્થીઓ જે ઑનલાઇન અભ્યાસ કરે છે તેનું ફૉલોઅપ વધારે સારી રીતે લઈ શકાત."
ધોરણ 2નાં 89.4 ટકા બાળકો વાંચી શકતાં નહોતાં
અસર 2005થી અહેવાલ પ્રકાશિત કરે છે. 2016 સુધી દર વર્ષે અહેલાલ પ્રકાશિત કરતા હતા. 2016થી દર બે વર્ષે અહેવાલ પ્રકાશિત કરે છે.
તેમના સર્વેક્ષણમાં ગ્રામીણ વિસ્તારો પર ખાસ ફોકસ કરવામાં આવે છે. કોરોનાને લીધે શાળાબંધી હોવાથી અને પાઠ્યપુસ્તક ડિજિટલ થઈ ગયા હોવાથી અસરનો 2020નો પહેલો આ સર્વે છે જે ફોન પર આધારિત છે.
લૉકડાઉન દરમિયાન શિક્ષકોએ ફરજના ભાગરૂપે સારું કામ કર્યું હોય પણ એનાથી શિક્ષણક્ષેત્રે રહેલી ખામીઓ સામે આંખ આડા કાન ન થઈ શકે.
સુખદેવ પટેલ કહે છે કે "લૉકડાઉન દરમિયાન શિક્ષણનું કામ વિદ્યાર્થીના ઘર સુધી પહોંચાડ્યું એનાથી સરકારે કે શિક્ષકોએ ખાસ પોરસાવા જેવું નથી. અગત્યની બાબત છે 'શિક્ષણની ગુણવત્તા' જેમાં સરકારી શાળાઓ ખૂબ પાછળ છે. ખરેખર તો કામ એ માટે થવું જોઈએ."
"ખાનગી શાળાનો આગ્રહ શહેરીજનોમાં એટલા માટે વધી રહ્યો છે કે લોકોને લાગે છે કે ત્યાં શિક્ષણ સારું મળે છે. અમે તો એવું પણ જોયું છે કે સરકારી શાળાના શિક્ષકો અને સંચાલકોના વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં અભ્યાસ કરતાં હોય. આનાથી મોટી વિસંગતતા બીજી કઈ હોઈ શકે?"
"સરકારી શાળાના શિક્ષકોએ લૉકડાઉન દરમિયાન કામ કર્યું એ માટે તેમને ધન્યવાદ, પણ તેમણે ખરેખર તો સરકારી શાળાના શિક્ષણની ગુણવત્તાનું જે ધોવાણ થયું છે એના પર વધુ કામ કરવાની જરૂર છે."
અસર દ્વારા જ 2018માં જે અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે ધોરણ 2માં અભ્યાસ કરતાં 89.4 ટકા બાળકો પોતાનાં જ પાઠ્યપુસ્તક વાંચી શકતાં નથી.
હાલના અસર રિપોર્ટમાં જણાવ્યા મુજબ રાજ્યમાં ખાનગી કરતાં સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ મોટી છે.
સુખદેવ પટેલ કહે છે કે "શિક્ષણ એ સરકારની પ્રાથમિક જવાબદારી છે એટલે ગામેગામ એ પહોંચતું થયું છે. મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં સરકારી શાળામાં જ વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે. તેથી એનો દર તો વધારે જ રહેવાનો છે."
તેઓ કહે છે કે શિક્ષણ ગામેગામ એ પહોંચતું તો થયું છે પણ ગુણવત્તા નથી જળવાતી. સરકારી શાળાના વિદ્યાર્થીઓ વાચન, લેખન, ગણનમાં ઘણા પાછળ છે.
રોહિત શુક્લ કહે છે કે "સરકારી શાળાઓ જે છે એ મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોમાં રહી ગઈ છે. શહેરી વિસ્તારોમાં જે લોકપ્રિય શાળાઓ છે તે ખાનગી શાળાઓ છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો