દાદરા- નગરહવેલીના સાંસદ મોહન ડેલકર મુંબઈની હોટલમાં મૃત હાલતમાં મળ્યા

વાંચવાનો સમય: 4 મિનિટ

દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે દક્ષિણ મુંબઈની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. તેમનું મૃત્યુ કથિત રીતે આત્મહત્યાથી થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.

તેમનો મૃતહેદ મુંબઈના મરીન ડ્રાઇવમાં આવેલી એક હોટલમાં મળી આવ્યો હતો.

એસીપી સત્યનારાયણ ચૌધરીએ આ વાતની પુષ્ટિ કરી છે કે તેમનો મૃતહેદ સીગ્રીન હોટલમાંથી મળી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે તેમણે આપઘાત કર્યો છે અને તેમની પાસેથી ગુજરાતીમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી.

મોહન ડેલકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

પોલીસ આ અંગે તપાસ ચાલી રહી છે. તેઓ દાદરા નગર-હવેલીથી સ્વતંત્ર સાંસદ હતા. તેઓ પ્રથમ વખત 1989 માં પ્રથમ વખત કૉંગ્રેસમાંથી સાંસદ ચૂંટાયા હતા.

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરી શકો છો.

ભીમા-કોરેગાંવ મામલે વરવર રાવને છ મહિના બાદ જામીન મળ્યા

બૉમ્બે હાઈકોર્ટે લગભગ ત્રણ વર્ષ પછી ડાબેરી કવિ અને લેખક વરવર રાવને છ મહિના માટે જામીન આપ્યા છે.

બૉમ્બે હાઇકોર્ટે તેમને મેડિકલ ગ્રાઉન્ડ પર સશર્ત જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે વરવર રાવ મુંબઈમાં જ રહેશે અને જ્યારે પણ જરૂર હશે તેમને તપાસ માટે ઉપસ્થિત થવું પડશે.ભીમા કોરેગાંવ કેસમાં આરોપી 81 વર્ષના વરવર રાવ ઑગસ્ટ 2018થી અટકાયતમાં છે.

આ સમયે વરવર રાવ મુંબઈના નાણાનટી હૉસ્પિટલમાં દાખલ છે, જ્યાં હાઈકોર્ટની પહેલ પછી મહારાષ્ટ્ર સરકારે તેમને દાખલ કરાવ્યા હતા.

ભીમા કોરેગાંવ હિંસાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે એનઆઈએ કરી રહી છે.

વરવર રાવ પર આરોપ છે કે 31 ડિસેમ્બર 2017ના પૂણેમાં યોજાયેલી એલગાર પરિષદ દરમિયાન તેમણે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું, જેને કારણે બીજા દિવસે ભીમા-કોરેગાંવમાં હિંસા થઈ હતી.

જોકે, વરવર રાવ આ આરોપોને નકારતા આવ્યા છે.

ચાર રાજ્યોએ વેટ ઘટાડ્યો

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થઈ રહેલા વધારેને લઈને કેન્દ્ર સરકાર 'ધર્મ સંકટ'માં છે. ત્યારે ચાર રાજ્ય સરકારોએ ગ્રાહકોને રાહત આપવા માટે પેટ્રોલ પરના વેટમાં ઘટાડો કર્યો છે.

રવિવારે પશ્ચિમ બંગાળ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લેવાતા વેટમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો.

રાજસ્થાન સરકારે સૌથી પહેલાં 29 જાન્યુઆરીએ વેટ 38 ટકાથી ઘટાડી 36 ટકા કર્યો છે.

અસમ કે જેમાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. તેણે ગત વર્ષે કોરોના વાઇરસની મહામારીના કારણે જે એકસ્ટ્રા પાંચ રૂપિયાનો ટૅક્સ નાખ્યો હતો તે હઠાવી દીધો હતો. મેઘાલય સરકારે પેટ્રોલ પર 7.40 રૂપિયા અને ડીઝલ પર 7.10 ટકાનો ઘટાડો કર્યો હતો.

હાલ તો કેન્દ્ર સરકારે ઍક્સાઇઝ ડ્યૂટીને ઘટાડવાની ના પાડી છે. ગત માર્ચ અને મે મહિનામાં કેન્દ્ર સરકારે ઍક્સાઇઝ ડ્યૂટીમાં પેટ્રોલમાં 13 અને ડીઝલમાં 16 રૂપિયાનો વધારો કર્યો હતો.

...તો મહારાષ્ટ્રમાં લૉકડાઉન આવશે : ઉદ્ધવ ઠાકરે

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું હતું કે કોરોના વાઇરસને લઈને રાજ્યમાં સ્થિતિ ચિંતાજનક છે અને જો રોજબરોજના કેસમાં આગામી 8થી 15 દિવસમાં વધારો નોંધાશે તો લૉકડાઉન લાગુ કરવામાં આવશે.

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં આગામી એક અઠવાડિયા સુધી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "શું આપણે લૉકડાઉન જોઈએ? જો તમે જવાબદારીપૂર્વક વર્તશો, જેની આપણને આગામી આઠ દિવસમાં જાણ થશે. જે લોકોને લૉકડાઉન જોઈતું નથી તે માસ્ક પહેરે. જે લોકોને લૉકડાઉન જોઈએ તે ના પહેરે. લૉકડાઉન ન જોઈતું હોય તો માસ્ક પહેરજો."

ત્રણ મહિના પછી મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના વાઇરસના કેસ નોંધાયા છે. રોજ ત્રણ હજાર કેસ કોરોના વાઇરસના નોંધાયેલા છે.

રવિવારે રાજ્યમાં 6971 કેસ નોંધાયા હતા અને 35 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

અમદાવાદમાં 21 દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર અમદાવાદમાં કોરોના વાઇરસના કેસ ઘટી રહ્યા હતા ત્યારે રવિવારે અમદાવાદમાં કોરોના વાઇરસના 66 કેસ નોંધાયા હતા. જે ગત ફેબ્રુઆરી 20ની સરખામણીએ 47 ટકા વધારે છે.

જો અઠવાડિયાના કેસની ઍવરેજ કાઢી ગણીએ તો આ 27 ટકા જેટલા વધારે છે.

અમદાવાદ હૉસ્પિટલ્સ અને નર્સિંગ હૉમ્સ ઍસૉસિયેશનના આંકડા પ્રમાણે એ ખ્યાલ આવે છે કે શહેરમાં બે મહિના પછી 125 વધારે ખાટલા ભરાયેલા છે.

ભારત અને ચીન વચ્ચેની બેઠકમાં કોઈ પરિણામ ન આવ્યું

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર પૂર્વ લદ્દાખની સરહદેથી સૈન્યને હઠાવવા માટે ભારત અને ચીન વચ્ચે 16 કલાક સુધી ચર્ચા ચાલી હતી.

બંને દેશોએ એક બીજા સાથે પોતાના પ્રસ્તાવને 10મા તબક્કાની ચર્ચા દરમિયાન શૅર કરી હતી. અખબારના જણાવ્યા પ્રમાણે બંને દેશોએ જે દરખાસ્તો મૂકી છે તેની પર રાજકીય સ્તરે વિચારણા કરવામાં આવશે.

હવે આગામી બેઠક એક પખવાડિયા પછી થઈ શકે છે. બંને પક્ષોની વાટાઘાટો વિવિધ સ્તરે થઈ શકે છે.

એવી પણ માહિતી આપવામાં આવી છે કે હૉટ સ્પિંગ અને ગોગરા પોસ્ટનો મુદ્દો પહેલાં ઉઠાવવામાં આવી શકે છે. ત્યારબાદ ડેપ્સાંગ પર ચર્ચા થશે.

હાલ જે ચર્ચા થઈ રહી છે તે પેંગોગ સ્તોની ઉત્તર અને દક્ષિણ બાજુએથી સૈન્યને ખસેડવામાં આવ્યું તેના પછી થઈ રહી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો