You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિહાર : ગંગા કિનારે 40થી વધારે મૃતદેહો મળવાનો મામલો શું છે?
- લેેખક, સીટૂ તિવારી
- પદ, બિહારથી, બીબીસી ગુજરાતી માટે
- વાંચવાનો સમય: 3 મિનિટ
બિહારના બક્સર જિલ્લાના ચૌસા પ્રખંડના ચૌસા સ્મશાન ઘાટ પર ગંગા નદીમાં ઓછામાં ઓછા 40 મૃતદેહો તરતા મળ્યા છે.
સ્થાનિક પ્રશાસને બીબીસી સાથેની વાતચીતમાં આની પુષ્ટિ કરી છે. પરંતુ સ્થાનિક પત્રકારોએ દાવો કર્યો છ કે તેમને સ્મશાન ઘાટ પર આનાથી વધારે મૃતદેહો જોયા છે.
સ્થાનિક સ્તર પરથી જે તસવીરો આવી છે તે હૃદયદ્વાવક છે, જેમાં મૃતદેહોને જાનવરો પીંખી રહ્યા છે.
ચૌસાના પ્રખંડ વિકાસ પદાધિકારી અશોક કુમારે બીબીસીને પુષ્ટિ કરતા કહ્યું, "30 થી 40 મૃતદેહો ગંગા નદીમાં મળ્યા છે. શક્યતા છે કે આ મૃતદેહો ઉત્તર પ્રદેશથી વહીને અહીં પહોંચ્યા હોય. મેં ઘાટ પર હાજર લોકો સાથે વાત કરી જેમણે કહ્યું કે મૃતદેહો અહીંના નથી."
આ દરમિયાન બક્સરના જિલ્લાધિકારી અમન સમીને એક પ્રેસવાર્તામાં કહ્યું, અમે લોકો ગાઝીપુર અને બલિયાના જિલ્લાધિકારી સાથે સંપર્ક કરી રહ્યા છીએ જેથી ત્યાંના મૃતદેહોના અંતિમસંસ્કાર ત્યાં જ કરવામાં આવે. પરંતુ તો પણ કોઈ મૃતદેહ બક્સરના વિસ્તારમાંથી અહીંયા પહોંચી જશે તો તેનું પૂર્ણ સન્માન સાથે અહીં અંતિમસંસ્કાર કરી દેવામાં આવશે.
બક્સર જિલ્લો ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યની સરહદ પર આવેલો છે.
ગંગા નદીના કાંઠે વસેલા આ જિલ્લાના ઉત્તરમાં યુપીનો બલિયા જિલ્લો અને પશ્ચિમમાં ગાઝીપુર જિલ્લો આવેલો છે.
સ્થાનિક લોકો શું કહી રહ્યા છે?
પરંતુ સ્થાનિક પત્રકાર સત્યપ્રકાશ પ્રશાસનના દાવાને સ્વીકાર નથી કરતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના મુજબ, "અત્યારે ગંગાજીના પાણીમાં ધાર નથી. પૂર્વથી હવા ચાલી રહી છે, અને પશ્ચિમથી હવા ચાલવાનો સમય તો છે નહીં તો મૃતહેદો વહીને અહીં કેવી રીતે આવી શકે છે.?"
તેઓ આગળ કહે છે, "તારીખ નવ મેની સવારે પહેલા મને જાણ થઈ, મેં ત્યાં લગભગ 100 મૃતદેહો જોયા હતા. જે 10 મેના રોજ તેની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ હતી. આમ તો બક્સરના ચરિત્રવાન ઘાટનું પૌરાણિક મહત્ત્વ છે અને અત્યારે ત્યાં કોરોનાને કારણે મૃતહેદોને સળગાવવાની જગ્યા નથી મળતી. એટલે લોકો ત્યાંથી આઠ કિલોમિટર દૂર ચૌસા સ્મશાન ઘાટ લાવી રહ્યા છે. "
"પરંતુ આ ઘાટ પર લાકડાંની કોઈ વ્યવસ્થા નથી. નાવડી પર પણ જઈ શકાતું નથી. એટલે લોકો મૃતદેહો ગંગાજીમાં પ્રવાહિત કરી રહ્યા છે. નાવડી ચાલે છે તો કેટલાક લોકો મૃતદેહોમાં ઘડો બાંધીને ગંગાજીમાં વચકાંઠે પ્રવાહિત કરી દે છે."
ત્યાં ઘાટ પર હાજર રહેવા વાળા પંડિત દીનદયાળ પાંડેએ સ્થાનિક પત્રકારોને જણાવ્યું, "કેટલીક વખત આ ઘાટ પર ત્રણ મૃતદેહો રોજ આવે જ છે પરંતુ છેલ્લા 15 દિવસથી અહીંયા લગભગ 20 મૃતદેહો આવે છે. આ મૃતદેહો જે ગંગાજીમાં તરી રહ્યા છે, એ સંક્રમિત લોકોનાં મૃતદેહો છે. અમે અહીંયા ગંગાજીમાં મૃતદેહો પ્રવાહિત કરવાની ના પાડીએ છીએ પરંતુ લોકો માનતા નથી. પ્રશાસને અહીં ચોકીદાર મૂક્યો છે. પરંતુ એની વાત પણ કોઈ નથી માનતું."
મૃતદેહોને દફનાવી રહ્યું છે તંત્ર
ઘાટ પર રહેનારાં અંજોરિયા દેવી કહે છે કે લોકોને રોકીએ છીએ પણ લોકો એમ કહીને લડે છે કે તમારાં ઘરનાએ લાકડાં આપ્યા છે કે અમે શબને સળગાવીએ."
હાલ બકસરનું સરકારી તંત્ર જેસીબી મશીનનો ઉપયોગ કરી ખાડા ખોદાવીને મૃતદેહોને દફનાવવાની પ્રક્રિયા પૂરી કરી રહ્યું છે.
આખા બકસર જિલ્લાની વાત કરીએ તો સ્થાનિક પત્રકાર કહે છે અહીં કોવિડ સંક્રમિત દરદીના અગ્નિસંસ્કારમાં 15થી 20 હજારનો ખર્ચ થઈ જાય છે.
સ્થાનિક ચંદ્રમોહન કહે છે કે, "ખાનગી હૉસ્પિટલમાં લૂંટ ચાલે છે. લોકો પાસે એટલાં પૈસા જ નથી બચ્યાં કે તેઓ સ્મશાન ઘાટ પર જઈને પંડિત પૈસા ખર્ચ કરે. ઍમ્બુલન્સમાંથી શબ ઊતારવા માટે બે હજાર રૂપિયાની માગણી કરવામાં આવે છે. આવામાં ગંગાનો જ આસરો છે એટલે લોકો ગંગામાં શબ વહાવી દે છે."
કોરોના દરદીઓની વાત કરીએ તો 9 મે સુધી રાજ્યમાં 1 લાખ 10 હજાર 84 ઍક્ટિવ કેસ છે અને રિકવરી રેટ 80.71 ટકા છે.
બકસર જિલ્લામાં 1216 ઍક્ટિવ કેસ છે અને 26 લોકોનાં મૃત્યુ થયાં છે.
બિહારની સ્વાસ્થ્ય સમિતિના આંકડા મુજબ અત્યાર સુધી રાજ્યમાં 80,38,525 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
સૌથી વધારે પૉઝિટિવ કેસ રાજધાની પટનામાં છે.
રાજ્ય સરકારે એચઆરસીટી, ઍમ્બ્યુલન્સ, ખાનગી હૉસ્પિટલ વગેરેમાં દર નક્કી કર્યા છે પણ તેનું કડક રીતે પાલન થતું નથી.
બિહારમાં દરરોજ 10 હજાર કોરોના સંક્રમણના કેસ સામે આવી રહ્યાં છે અને 60થી વધારે મૃત્યુ થઈ રહ્યાં છે.
બિહારમાં કોરોનાને કારણે સરકારી આંકડા મુજબ 3282 લોકોનાં મૃત્યુ થયાં છે.
રવિવારે બિહારમાં 11,259 નવા કેસ સામે આવ્યા અને 67 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો