બાબા રામદેવ કોરોનાની રસી મુકાવશે, ઍલોપથીનો વિરોધ કરીને સર્જી ચુક્યા છે વિવાદ - TOP NEWS

વાંચવાનો સમય: 3 મિનિટ

સ્ક્રૉલના એક અહેવાલ અનુસાર યોગ અને આયુર્વેદે પોતાને કોરોનાના ચેપથી બચાવ્યા હોવાનો દાવો કરનારા યોગગુરુ બાબા રામદેવ ટૂંક સમયમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લેશે.

જનટીવીના વીડિયોને ટાંકીને સ્ક્રૉલ લખે છે, 'રામદેવે કહ્યું છે કે દરેકે રસીના બે ડોઝ લેવા જોઈએ અને યોગ તથા આયુર્વેદની બેવડી શક્તિ મેળવી લો તો એવું સુરક્ષા કવચ તૈયાર થઈ જશે કે ભારતમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં થાય.'

નોંધનીય છે કે આધુનિક તબીબી વિજ્ઞાન વિરુદ્ધનાં પોતાનાં નિવેદનોને પગલે રામદેવ વિવાદમાં ફસાયા હતા. જોકે, જનટીવીના વીડિયોમાં રામદેવ એવું કહેતા નજરે પડે છે કે ઇમરજન્સી અને સર્જરીમાં ઍલૉપથીની સારવાર સંબંધે તેમને કોઈ શંકા નથી.

સમાસાર સંસ્થા એએનઆઈ અનુસાર રામદેવે જણાવ્યું છે કે અન્ય જીવલેણ અને અસાધ્ય રોગોની સારવાર યોગ અને આયુર્વેદમાં જણાવ્યા અનુસાર પ્રાચીન પદ્ધતિથી કરી શકાય એમ છે.

ભાજપને વર્ષ 2019-20માં 720 કરોડનું ડોનેશન મળ્યું, કૉંગ્રેસથી પાંચ ગણું વધારે

ભારતની રાજકીય પાર્ટીઓમાં ભાજપે સતત સાતમા વર્ષે પણ ડોનેશન મેળવવામાં ટોચનું સ્થાળ મેળવ્યું છે. જેમાં તેને કૉર્પોરેટ્સ અને વ્યક્તિઓ તરફથી કૂલ 750 કરોડનું દાન મળ્યું હોવાનું તાજા આંકડાઓમાં બહાર આવ્યું છે.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અનુસાર વર્ષ 2019-20માં પાર્ટીને અંદાજે 750 કરોડ રુપિયા કૉર્પોરેટ કંપનીઓ અને વ્યક્તિઓ તરફથી મળ્યા છે. ચૂંટણીપંચને ભાજપે સુપરત કરેલા નવા રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

કૉંગ્રેસ પાર્ટીને જે 139 કરોડ રૂપિયા મળ્યા છે તેના કરતા આ પાંચ ગણું છે.

વળી વર્ષ 2019-20માં એનસીપીને 59 કરોડ, ટીએમસીને 8 કરોડ, સીપીએમને 19.6 કરોડ તથા સીપીઆઈને 1.9 કરોડનું ડોનેશન મળ્યું છે.

મુંબઈમાં ઇમારત ધરાશાયી થતાં 11 લોકોનાં મૃત્યુ

મુંબઈના મલાડ (પશ્ચિમ)માં મલવાનીમાં એક બે માળની ઇમારત અન્ય ઇમારત પર ધરાશાયી થતા 11 લોકો મૃત્યુ પામ્યાં છે.

‘એનડીટીવી’ના અહેવાલ અનુસાર ઘણા હજુ પણ કાટમાળ નીચે દબાયેલા હોઈ શકે છે જેથી બચાવ કામગીરી ચાલુ છે.

વળી નજીકની બીજી એક ઇમારતમાંથી પણ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા છે.

ઇમારત ધરાશાયી થતા તેમાં 18 વ્યક્તિ ઘાયલ પણ થયા છે.

આંબેડકરના પોસ્ટર મુદ્દેની લડાઈમાં દલિત યુવકનું મૃત્યુ

રાજસ્થાનમાં ડૉ. ભીમરાવ આંબેડકરના પોસ્ટર મુદ્દે થયેલી લડાઈમાં એક 21 વર્ષીય દલિત યુવકનું મોત થઈ ગયું છે.

‘જનસત્તા’ના અહેવાલ મુજબ યુવકે ઘરની બહાર આંબેડકરનું પોસ્ટર લગાવ્યું હતું અને કથિતરૂપે અન્ય સમુદાયના યુવકો સાથે આ મામલે વિવાદ થયો હતો. બાદમાં પોસ્ટર ફાડી નાખવામાં આવતા વિવાદ હિંસામાં પરિણમ્યો હતો.

જેમાં યુવકને માર મારવામાં આવતા તેને હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. પરંતુ યુવકે આખરે દમ તોડી દીધો. આ મામલે પોલીસ તપાસ અને કાર્યવાહી ચાલુ છે.

મધ્યપ્રદેશમાં વૅક્સિન ન લેનારાના ગળામાં ખોપડીવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા

મધ્યપ્રદેશના પૃથ્વીપુરમાં જે લોકોએ કોરોનાની રસી નથી લીધી તેમને ગળામાં ખોપડીવાળા પોસ્ટર લગાવવામાં આવતા વિવાદ થયો છે.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર જેમણે રસી નથી લીધી તેમના ગળામાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં ખોપડી દોરેલ છે અને લખ્યું છે કે – મેં હજુ સુધી રસી નથી લીધી આથી મારાથી દૂર રહો.

પોલીસ જેમણે રસી નથી લીધી તેવા લોકોને આવી રીતે પોસ્ટર લગાવી આપે છે. પછી વ્યક્તિએ જોરથી સંદેશ વાંચવાનો હોય છે અને રસી લેશે તેવી પ્રતિજ્ઞા પણ લેવડાવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો