You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે, જાણો પરંપરાથી કેટલી અલગ હશે
અમદાવાદમાં દર વર્ષે યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી.
અમદાવાદની રથયાત્રા અંગે ડીજીપીએ ગુજરાત સરકારની કોર કમિટીને આપેલા રિપોર્ટ બાદ ગુજરાતમાં રથયાત્રા કોવિડ પ્રોટોકૉલ મુજબ નીકળશે.
જાડેજાએ કહ્યું કે "આ વખતે અમદાવાદની રથયાત્રામાં કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે અને આ રથયાત્રા પરંપરાગત રથયાત્રાથી અલગ હશે."
પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે "ચારથી પાંચ કલાકના સમયમાં આ રથયાત્રા યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું છે."
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્ય મંત્રી આરતી ઉતારશે. અમદાવાદની રથયાત્રા સાત પોલીસ સ્ટેશનથી પસાર થશે. જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થશે એ વિસ્તારોમાં થોડા સમય માટે કર્ફ્યુ લાદવામાં આવશે એવું પણ જણાવાયું હતું.
19 કિલોમીટરની રથયાત્રા અંદાજે ચારથી પાંચ કલાકમાં નીજ મંદિરે પરત આવશે.
તેમણે કહ્યું કે સરસપુરમાં ભોજન સમારંભ નહીં યોજાય. મર્યાદિત લોકોની હાજરીમાં પહિંદવિધિ કરાશે.
ખલાસીઓનો રથયાત્રા ખેંચતાં પહેલાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે તેમ પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે આ વખતની રથયાત્રામાં શણગારેલા હાથીઓ, અખાડા વગેરેને મંજૂરી આપવામાં આવી નથી.
દુનિયામાં કોરોના વાઇરસના કારણે 40 લાખથી વધારે લોકોનાં મૃત્યુ
કોરોના વાઇરસના કારણે દુનિયાભરમાં 40 લાખથી વધારે લોકો મૃત્યુ પામ્યાં છે. સૌથી વધારે લોકોનાં મૃત્યુ અમેરિકામાં થયાં છે.
અમેરિકામાં અત્યાર સુધી 6 લાખથી વધારે અને ભારતમાં 4 લાખથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે 40 લાખ લોકોના મૃત્યુઆંક પર કહ્યું છે, "આ આંકડો એ વાતની યાદ અપાવે છે કે આપણે આ મહામારીને હરાવવા માટે હજુ કેટલી લાંબી લડાઈ લડવાની છે."
જોકે તેમણે સાથે જ રસીને 'આશાનું કિરણ' ગણાવી અને કહ્યું કે આખી દુનિયામાં રસીકરણની જરૂર છે.
જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર, દુનિયામાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસથી 18.5 કરોડથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
ભારતમાં અત્યાર સુધી ત્રણ કરોડથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
દુનિયાભરમાં અત્યાર સુધી 3.32 અરબથી વધારે લોકોને રસી આપી દેવામાં આવી છે.
હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી વીરભદ્ર સિંહનું નિધન
હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા વીરભદ્ર સિંહનું લાંબી બીમારી બાદ ગુરુવારે સવારે નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા.
શિમલામાં ઇંદિરા ગાંધી મેડિકલ કૉલેજ (આઈજીએમસી)ના વરિષ્ઠ ચિકિત્સા અધીક્ષક ડૉ. જનક રાજે જણાવ્યું કે તેમણે વહેલી સવારે અંદાજે 3.40 વાગ્યા અંતિમ શ્વાસ લીધા.
વીરભદ્ર સિંહને સોમવારે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. બાદમાં તેમની તબિયત બગડતી ગઈ. તેઓ આઈજીએમસીના ક્રિટિકલ કૅર યુનિટમાં ભરતી હતા.
ડૉ. જનક રાજે જણાવ્યું કે વીરભદ્ર સિંહને શ્વાસ લેવામાં તકલીફ થતાં બુધવારે કાર્ડિયોલૉજી વિભાગના ડૉક્ટરોની દેખરેખ હેઠળ વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ વીરભદ્ર સિંહના નિધન પર દુખ વ્યક્ત કરતું ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે "વીરભદ્ર સિંહનું લાંબું રાજકીય જીવન હતું, તેમની પાસે વ્યાપક પ્રશાસનિક અને ધારાસભાનો અનુભવ હતો. તેમણે હિમાચલ પ્રદેશમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી અને રાજ્યના લોકોની સેવા કરી. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી સંવેદના."
નવ વાર ધારાસભ્ય અને પાંચ વાર સાંસદ રહી ચૂકેલા વીરભદ્ર સિંહ છ વાર હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી રહ્યા હતા.
વીરભદ્ર સિંહના સન્માનમાં હિમાચલ પ્રદેશ સરકારે આઠ જુલાઈથી દસ જુલાઈ સુધી રાજકીય શોક જાહેર કર્યો છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ 14 બૅન્કોને કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ 14 બૅન્કોને 14.50 કરોડ રૂપિયાનો દંડ ફટાકાર્યો છે.
ન્યૂઝ વેબસાઇટ 'મિન્ટ'ના અહેવાલ અનુસાર વિવિધ નિયમોના ભંગ બદલ આ દંડ કરાયો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે મોટા ભાગની બૅન્કોને DHFL સાથે કરેલા વ્યવહારને કારણે દંડ કરાયો છે.
રિઝર્વ બૅન્કે સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, બંધન બૅન્ક સહિત 14 બૅન્કો પર 14.50 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સૌથી વધુ દંડ બૅન્ક ઑફ બરોડા પર લગાવ્યો છે.
સ્ટેટ બૅન્કને 50 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. વિવિધ નિયમોના ભંગ તથા એનબીએફસીને ધિરાણ આપવાના મુદ્દે કરાયેલા નિયમ ભંગ બદલ કેન્દ્રીય બૅન્કે કડક પગલાં લીધાં છે.
કેન્દ્રીય બૅન્કે નિવેદનમાં કહ્યું કે બૅન્કોના હિસાબ તપાસ કરતા જણાયું કે ડીએચએફએલ અને તેના જૂથની કંપનીઓ સાથેના વ્યવહારમાં બૅન્કોએ કેટલીક જોગવાઈનું પાલન ન કરતા તેમની સામે કાર્યવાહી કરાઈ છે. તેમને પહેલા કારણદર્શક નોટિસ પાઠવાઈ હતી.
અત્રે નોંધવું કે મોટા ભાગની બૅન્કોને 1 કરોડ રૂપિયાથી વધુનો દંડ થયો છે.
એલજેપીના નેતા કૅબિનેટમાં, ચિરાગ પાસવાનનો વિરોધ
એલજેપી (લોક જનશક્તિ પાર્ટી)ના નેતા પશુપતિકુમાર પારસે મોદી સરકારમાં યુનિયન કૅબિનેટ મિનિસ્ટર તરીકે શપથ લીધા છે.
જોકે, 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ અનુસાર પાર્ટીના જ નેતા ચિરાગ પાસવાન આ સામે હાઈકોર્ટમાં ગયા છે.
તેમનું કહેવું છે કે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પશુપતિને એલજેપીના સંસદીય નેતા ગણ્યા તે અયોગ્ય છે. પાસવાન ઓમ બિરલાના આ નિર્ણય સામે કોર્ટમાં ગયા છે.
દરમિયાન એલજેપીના મુખ્ય મહામંત્રી અબ્દુલ ખાલીકે કહ્યું કે પશુપતિ પારસે શપથ લીધા અને તેમને મંત્રી બનાવાયા તેની સામે પાર્ટીને કોઈ વાંધો નથી, પરંતુ તેમને એલજેપીના નેતા કે મંત્રી તરીકે દરજ્જો આપવામાં આવ્યો તેની સામે તેમને વાંધો છે.
અત્રે નોંધવું જોઈએ કે પૂર્વ કેન્દ્રીયમંત્રી અને એલજેપીના સ્થાપક નેતા રામવિલાસ પાસવાનના નિધન પછી પાર્ટીમાં બે જૂથ પડી ગયાં છે. જેમાં એક જૂથ તેમના પુત્ર ચિરાગ પાસવાન અને બીજું જૂથ રામવિલાસના ભાઈ પશુપતિના સમર્થનમાં છે. વળી મોટા ભાગના સાંસદો પશુપતિ તરફ હોવાનું માનવામાં આવે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો