ઝિકા વાઇરસ : કોરોના વચ્ચે ભારતમાં વધુ એક વાઇરસ અંગે ઍલર્ટ, શું છે લક્ષણો?

વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતમાં કોરોના વાઇરસની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે ઝિકા વાઇરસે દેખા દીધી છે, કેરળમાં તેના 15 કેસ નોંધાયા છે.

કેરળના આરોગ્યમંત્રી વીણા જ્યૉર્જે મીડિયાને જણાવ્યું કે તિરુવનંતપુરમના 13 દરદીઓમાં ઝિકા વાઇરસનાં લક્ષણો દેખાતાં તેમના સૅમ્પલ વધુ તપાસ માટે પુણેની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીમાં મોકલવામાં આવ્યા હતા, 13માંથી 10 સૅમ્પલ પૉઝિટિવ આવ્યા છે.

લૅન્સેટ અનુસાર ભારતમાં ઝિકા વાઇરસનો સૌપ્રથમ કેસ 2016-17માં નોંધાયો હતો, જેમાં ચાર વ્યક્તિઓ સંક્રમિત મળી આવી હતી. 2018માં રાજસ્થાનમાં ઝિકા વાઇરસના 159 કેસ સામે આવ્યા હતા અને એ વખતે જ મધ્યપ્રદેશમાં 127 કેસ નોંધાયા હતા.

2016-2017માં ઝિકા વાઇરસના કેસ ગુજરાતમાં પણ નોંધાયા હતા.

ઝિકા વાઇરસ શેનાથી ફેલાય છે?

WHO અનુસાર ઝિકા વાઇરસ એડીસ મચ્છરના કરડવાથી થાય છે, આ મચ્છર દિવસ દરમિયાન માણસને કરડે છે. ડેન્ગ્યુ અને યલો ફીવર માટે પણ એડીસ મચ્છર જ જવાબદાર હોય છે.

ઝિકા વાઇરસના કેસ સૌપ્રથમ 1952માં આફ્રિકન દેશ યુગાન્ડા અને યુનાઇટેડ રિપબ્લિક ઑફ તાંઝાનિયામાં નોંધાયા હતા. 1960થી 1980 વચ્ચે મનુષ્યોને ઝિકા વાઇરસનો ચેપ લાગ્યો હોય, તેવા ઘણા કેસ સામે આવ્યા હતા.

2007માં ફેડરલ સ્ટેટ્સ ઑફ માઇક્રોનેશિયામાં ઝિકા વાઇરસના કેસ મોટી સંખ્યામાં નોંધાયા હતા, આ દુનિયાનો ઝિકા વાઇરસનો પ્રથમ વાવર હોવાનું મનાય છે.

2013માં ફ્રેન્ચ પોલિનેશિયામાં અને 2015માં બ્રાઝિલમાં મોટી સંખ્યામાં લોકો આ વાઇરસની ચપેટમાં આવ્યા હતા. અત્યાર સુધીમાં વિશ્વના 86 દેશોમાં ઝિકા વાઇરસના કેસ સામે આવ્યા છે.

ઝિકા વાઇરસનાં લક્ષણો શું છે?

WHO અને CDC પ્રમાણે ઝિકા વાઇરસનું સંક્રમણ ત્રણથી 14 દિવસ સુધી રહે છે અને મોટા ભાગના લોકોમાં તેનાં લક્ષણો દેખાતાં નથી.

કેટલાક લોકોમાં બેથી માંડીને સાત દિવસ સુધી હળવાં લક્ષણો જોવા મળે છે, જેમકે તાવ આવે, કળતર રહે અને માથું દુખે.

આ સિવાય કેટલાક લોકોને સાંધામાં દુખાવો રહે છે અને આંખો લાલ થઈ જતી હોય છે.

ડૉક્ટરની સલાહ પ્રમાણે લૅબોરેટરીમાં લોહી અથવા પેશાબના નમૂનાની તપાસ કરાવવાથી જાણી શકાય છે કે ઝિકા વાઇરસનો ચેપ લાગ્યો છે કે કેમ.

ઝિકા વાઇરસનો ચેપ જોખમી છે?

ઝિકા વાઇરસના કારણે ગુલિયન બેરે સિન્ડ્રોમ થઈ શકે છે, સાથે મગજ સંલગ્ન સમસ્યાઓ પણ થઈ શકે છે.

જો ગર્ભવતી મહિલાને ઝિકા વાઇરસનો ચેપ લાગે તો બાળક ખોડ સાથે જન્મી શકે છે. ચેપ લાગવાના કારણે કસુવાવડ પણ થઈ શકે છે.

WHO અનુસાર ગર્ભમાં ઊછરી રહેલા બાળકને માતા દ્વારા ચેપ લાગી શકે છે.

ચેપી વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવાથી, ચેપીનું લોહી કોઈ અન્ય વ્યક્તિને ચઢાવવાથી પણ આ બીમારી ફેલાય છે.

ઝિકા વાઇરસની સારવાર

CDC પ્રમાણે ઝિકા વાઇરસની સારવાર માટે કોઈ દવા નથી.

જો લોહી કે પેશાબના નમૂનાની તપાસ બાદ ઝિકા વાઇરસનું સંક્રમણ થયાની જાણ થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

સામાન્ય સંજોગોમાં ડૉક્ટર્સ દ્વારા તેનાં લક્ષણો, એટલે કે તાવ, કળતર, સાંધાનો દુખાવો વગેરે માટે દવા આપવામાં આવે છે.

ઝિકા વાઇરસથી સંક્રમિત વ્યક્તિએ ખૂબ આરામ કરવો જોઈએ.

ડિહાઇડ્રેશન ન થાય એ માટે જ્યૂસ જેવાં પ્રવાહી શક્ય હોય એટલાં વધારે લેવાં જોઈએ.

સંક્રમિત વ્યક્તિએ દવા લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને અગાઉથી તમે કોઈ રોગની દવા લઈ રહ્યા હોવ તો તે અંગે ડૉક્ટરને જાણ કરવી જોઈએ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો