You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીએ કેમ કહ્યું કે ભાજપના કારણે દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીની શક્તિઓ ઘટી?
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જમ્મુ ખાતે હિંદુ દેવીઓનું ઉદાહરણ આપતાં કહ્યું કે ભાજપના કારણે 'દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીની શક્તિઓ ઘટી છે.'
કૉંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરનાં અર્થતંત્ર, ટુરિઝમ અને વેપાર પર વિપરીત અસર પડી છે.
ભાજપની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવતાં તેમણે કહ્યું, "હિંદુસ્તાનમાં નોટબંધી અને GSTના કારણે લક્ષ્મી માતાજીની શક્તિઓ ઘટી છે કે વધી છે? ખેડૂતો માટે બનાવાયેલ ત્રણ કાળા કાયદાથી દુર્ગામાતાની શક્તિ ઘટી છે કે વધી છે?"
"જ્યારે ભારતની તમામ સંસ્થાઓમાં, કૉલેજ અને સ્કૂલોમાં RSSની વ્યક્તિઓને બેસાડવામાં આવે છે ત્યારે સરસ્વતીમાતાની શક્તિ ઘટે છે કે વધે છે? જવાબ છે - ઘટે છે."
રાહુલ ગાંધીએ કહ્યું કે કૉંગ્રેસના કાર્યકાળમાં આ તમામ શક્તિઓમાં વધારો થયો હતો.
તેમણે કહ્યું, "બીજી તરફ, જ્યારે કૉંગ્રેસ પાર્ટીએ મનરેગા યોજના લાગુ કરી, જ્યારે કૉંગ્રેસ પાર્ટીએ ભારતને નવ ટકા GDP વિકાસદર આપ્યો ત્યારે લક્ષ્મીમાતા, દુર્ગામાતા અને સરસ્વતીમાતાની શક્તિઓ વધી છે કે ઘટી છે? જવાબ છે - વધી છે."
જેઓ પોતાની જાતને હિંદુ ગણાવે છે, તેઓ આ શક્તિઓનું અપમાન કરે છે. "તમારી સાથે શું કર્યું, તમારા વચ્ચે જે બંધુત્વ હતું, પ્રેમ હતો એના પર આક્રમણ થયું, તમને કમજોર કરાયા અને પછી રાજ્ય તરીકેનો તમારો દરજ્જો પણ છીનવી લીધો. જ્યારે આ થયું તો લક્ષ્મી, સરસ્વતી અને દુર્ગાની શક્તિઓ વધી કે ઘટી."
"તમારે ભાજપને આ પ્રશ્ન પૂછવો જોઈએ કે તમે દુર્ગા, લક્ષ્મી, સરસ્વતીની શક્તિઓને કેમ નષ્ટ કરી રહ્યા છો?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જુદા-જુદા ધર્મોમાં હાથના ચિહ્નની તુલના કૉંગ્રેસ પાર્ટીના ચિહ્ન સાથે કરતાં તેમણે કહ્યું કે હાથનો અર્થ આશીર્વાદ નથી. પરંતુ તેનો અર્થ થાય છે "ગભરાશો નહીં, સત્ય બોલવાથી ડરશો નહીં અને તેથી જ કૉંગ્રેસ પાર્ટી જળવાયેલી છે."
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સામે લડશે ભાજપનાં પ્રિયંકા
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં મમતા બેનરજીની સામે ભાજપે પ્રિયંકા ટિબરીવાલને ટિકિટ આપી છે.
ગત અઠવાડિયે કેન્દ્રીય ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળની ત્રણ બેઠકો માટે 30 સપ્ટેમ્બરે ચૂંટણીની જાહેરાત કરી હતી. મતગણતરી 3 ઑક્ટોબરે યોજાશે.
આ ત્રણ બેઠકોમાં ભવાનીપુર, જાંગીપુર અને સમસેરગંજ વિધાનસભા બેઠકો સામેલ છે.
મુખ્ય મંત્રી મમતા બેનરજી પશ્ચિમ બંગાળની સામાન્ય ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી લડ્યાં હતાં અને ભાજપના ઉમેદવાર શુભેંદુ અધિકારી સામે 1,956 મતથી હારી ગયાં હતાં.
હવે પેટાચૂંટણીમાં તેમણે પરંપરાગત ભવાનીપુર બેઠકથી લડવાની જાહેરાત કરી છે.
ભાજપે જાંગીપુર બેઠક પર સુજીત દાસ અને સમસેરગંજ બેઠક પર મિલન ઘોષને ટિકિટ આપી છે.
સાણંદનો ફોર્ડ કંપનીનો પ્લાન્ટ બંધ કરાશે, જેમની પાસે ગાડી છે તેમનું શું થશે?
અમેરિકાની જાણીતી ઑટો કંપની ફોર્ડ મોટરે ભારતમાં મોજૂદ પોતાના બંને મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટનું કામ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી ટાંક્યું કે કંપની ચેન્નાઈ (તામિલનાડુ) અને સાણંદ (ગુજરાત)નાં પ્લાન્ટોને બંધ કરશે.
ફોર્ડ મોટરે આ બંને પ્લાન્ટો પર અંદાજે 2.5 અબજ ડૉલરનું રોકાણ કર્યું હતું.
આ સંયંત્રોમાં ઇકૉસ્પોર્ટ, ફિગો અને એસ્પાયર જેવી બ્રાન્ડોના વાહનોનું ઉત્પાદન થયું હતું. કંપનીએ હવે દેશમાં આ ગાડીઓનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ફોર્ડ દેશમાં હવે માત્ર 'મસ્ટૅંગ' અને 'માક-ઈ' જેવી આયાત થયેલી ગાડીઓનું વેચાણ કરશે.
સૂત્રો અનુસાર, "કંપનીએ પુનર્ગઠનનો નિર્ણય લીધો છે. કંપની હવે આ ગાડીઓની આયાત કરીને અહીં વેચશે."
ફોર્ડ મોટરના અધ્યક્ષ અને કાર્યકારી નિદેશક અનુરાગ મલ્હોત્રાએ એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું કે દેશમાં ગાડીનું વેચાણ ઘટી રહ્યું છે, તેના કારણે કંપનીએ પુનર્ગઠનનો નિર્ણય લીધો છે, એટલે કે કંપની પોતાના કામની રીત બદલી રહી છે.
તેમણે કહ્યું કે એવું ન સમજવામાં આવે કે કંપની ભારત છોડીને જવાની છે, કંપની ભારતમાં પોતાનું કામ ચાલુ રાખશે. માત્ર તે ભારતમાં કામ કરવાનું પોતાનું બિઝનેસ મૉડલ બદલી રહી છે. કંપની હવે નવી ગાડીઓ નહીં બનાવે, પરંતુ જે ગાડીઓ બનીને તૈયાર છે, તેનું વેચાણ ચાલુ રહેશે.
તેમણે સ્પષ્ટ કર્યું કે જે લોકો પાસે કંપનીની ગાડીઓ છે, તેમને કંપનીની સેવાઓ સતત મળતી રહેશે.
સંયુક્ત કિસાન મોરચાનું કિસાન પંચાયતનું એલાન
સંયુક્ત કિસાન મોરચાએ કૃષિકાયદા અને અન્ય બાબતોના વિરોધમાં ઉત્તર પ્રદેશનાં બધાં મંડળ મુખ્યાલયોમાં કિસાન પંચાયત ભરવાનું એલાન કર્યું છે.
મોરચા સાથે જોડાયેલા ભારતીય કિસાન યુનિયનના મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર મલિકે સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું કે આવી પહેલી પંચાયત 29 સપ્ટેમ્બરે શાહજહાંપુરના તિલહરમાં ભરાશે.
તેમણે જણાવ્યું કે અન્ય પંચાયતોની તારીખ નક્કી કરાઈ રહી છે અને પ્રદેશનાં બધાં 18 મંડળોમાં પંચાયત ભરાશે.
મલિકે કહ્યું કે ખેડૂતો વીજળીની વધતી કિંમતોથી પરેશાન છે.
સંયુક્ત કિસાન મોરચો પ્રદર્શનકારી ખેડૂત સંગઠનોનું એક જૂથ છે, જે ત્રણ કૃષિકાયદાનો વિરોધ કરે છે અને દિલ્હીની સીમા પર તેમના સમર્થકો ગત વર્ષ નવેમ્બરથી આંદોલન કરી રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો