You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અવિ બારોટ : 29 વર્ષીય ગુજરાતી ક્રિકેટરનું 'કાર્ડિયાક અરેસ્ટ'થી નિધન - BBC TOP NEWS
સૌરાષ્ટ્રના બૅટ્સમૅન અવિ બારોટનું 29 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થઈ ગયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશને આની માહિતી આપી હતી.
અવિ બારોટ સૌરાષ્ટ્ર સિવાય હરિયાણા અને ગુજરાત માટે પણ ક્રિકેટ રમી ચૂક્યા છે.
તેઓ ટીમ ઇન્ડિયાની અંડર-19 ટીમનો ભાગ પણ હતા અને રણજી ક્રિકેટ ચૅમ્પિયન ટીમનો પણ ભાગ હતા.
સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશન તરફથી નિવેદન બહાર પાડવામાં આવ્યું કે, અવિ બારોટના નિધનથી તમામ દુખી છે. 15 ઑક્ટોબર 2021ની સાંજે અવિ બારોટનું કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું હતું.
અવિ બારોટે સૌરાષ્ટ્ર માટે 21 રણજી મૅચ, 17 લિસ્ટ-એ મૅચ અને 11 ટી-20 મૅચ રમી હતી. છેલ્લે તેઓ માર્ચ 2021માં મૅચ રમ્યા હતા.
'મારા પિતા ઝૂમાં રાખેલા પ્રાણી નથી', માંડવિયાએ હૉસ્પિટલમાં પૂર્વ પીએમનો ફોટો લેતા નારાજગી
કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયાએ દવાખાનામાં દાખલ પૂર્વ વડા પ્રધાન સાથે મુલાકાતનો ફોટો લેતા મનમોહન સિંહનાં દીકરીએ નારાજ વ્યક્ત કરી છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહની તબિયત બગડતા તેમને દિલ્હી સ્થિત ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઑફ મેડિકલ સાયન્સમાં દાખલ કરાયા હતા, હાલ તેમની હાલત સ્થિર છે અને તેમાં સુધારો થઈ રહ્યો.
દિલ્હી સ્થિત ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઑફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)ના અધિકારીએ આ માહિતી જાહેર કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘ધ પ્રિન્ટ’ના અહેવાલ અનુસાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પૂર્વ વડા પ્રધાનની તબિયત મામલે એઇમ્સની મુલાકાતે ગયા હતા.
દામન સિંહે આ મુલાકાત મામલે એક નારાજગી વ્યક્ત કરી હતી.
જેમાં તેમણે કહ્યું હતું કે, “મારા પિતા બીમાર છે. તેમને ડેંગ્યૂ થયો હોવાથી રોગપ્રતિકારક શક્તિ ઘણી ઓછી થઈ ગઈ છે.”
“મારાં માતાએ જ્યારે મંત્રી આવ્યા ત્યારે વિનંતી કરી કે ફોટોગ્રાફરને બહાર રાખવામાં આવે. પરંતુ તેમની અવગણના કરાઈ.”
“મારાં માતાપિતા કોઈ પ્રાણાસંગ્રહાલયનાં પશુ નથી. તેઓ વૃદ્ધ છે.”
દરમિયાન, કૉંગ્રેસે પણ ડૉ. મનમોહન સિંહની તબિયત સારી હોવાની વાત કહી છે અને તેમના સ્વાસ્થ્ય વિશેની ખોટી અફવાઓને રદિયો આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને બુધવારે તાવ આવ્યા બાદ શરીરમાં ખૂબ નબળાઈ આવી ગઈ હોવાની ફરિયાદને કારણે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઑફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)માં દાખલ કરવામાં આવ્યા હતા.
સિંઘુ બૉર્ડર પર યુવકની હત્યાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
સિંઘુ બૉર્ડર પર એક યુવક લખબીર સિંહની હત્યા અને પછી તેના મૃતદેહ સાથે બર્બરતા કરવામાં આવી હોવાનો કેસ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.
અરજીમાં સિંઘુ બૉર્ડરને ખાલી કરાવવાની માગણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા એક વર્ષથી પંજાબ, હરિયાણા અને યુપીના ખેડૂતો દિલ્હીની વિવિધ સરહદોએ આંદોલન કરી રહ્યા છે.
તેમાં એક સિંઘુ બૉર્ડર પણ છે જેમાં શુક્રવારે એક શખ્સનો મૃતદેહ બૅરિકેડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
‘ઇન્ડિયા ટુડે’ના અહેવાલ અનુસાર શુક્રવારે સિંઘુ સરહદે એક યુવકની હત્યા કરી દેવાઈ હતી. તેનો એક હાથ અને પગ કાપી નાખવામાં આવ્યા હતા. નિહંગ જૂથે તેની જવાબદારી લીધી છે. તેમનો આરોપ છે કે વ્યક્તિએ ગુરુગ્રંથ સાહિબનું અપમાન કર્યું હતું.
અહેવાલ અનુસાર સરવજીત સિંઘ નામના નિંહગે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.
દરમિયાન સંયુક્ત કિસાન મોરચાએ યુવકની હત્યાની ઘટનાથી પોતાને અલગ ગણાવ્યું છે. અને ઘટનાની ટીકા કરી છે.
બિટકૉઇનના ભાવ ઊછળી 60,000 ડૉલરની સપાટી વટાવી ગયા
બિટકૉઇનના ભાવ ઊછળીને 60 હજાર ડૉલરની સપાટીને વટાવી ગયા છે.
ગત એપ્રિલ મહિનામાં ભાવ 64 હજાર ડૉલર સુધી પહોંચ્યા હતા ત્યાર બાદ તૂટીને 29 હજાર ડૉલર સુધી આવી ગયા હતા. જે હવે ફરીથી 60 હજાર ડૉલર પાર કરી ગયા છે.
‘લાઇવ મિન્ટ’ના અનુસાર અમેરિકાના સિક્યુરીટીઝ ઍન્ડ ઍક્સચેન્જ કમિશને બિટકૉઈન ઈટીએફ માટેની મંજૂરી આપી હોવાના સમાચાર વહેતા થતાં બિટકૉઈનના ભાવ ઊછળ્યા હતા.
બિટકૉઇનના ભાવ લઘુતમ 56871થી 56872 ડૉલર થયા પછી ઊછળી 60326થી 60327ની મહત્તમ સપાટી લીધી લધી.
બિટકૉઇનના ભાવ ઊછળતાં તેનું માર્કેટ કૅપ 1085 અબજ ડૉલરથી વધીને 1100 અબજ ડૉલરની સપાટી વટાવીને 1130 અબજ ડૉલરને આંબી ગઈ છે.
બિટકૉઈનના પગલે અન્ય ક્રિપ્ટૉ કરન્સીઓના ભાવ પણ ઊછળ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો