You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ઓમિક્રૉનના વધી રહેલા કેસો વચ્ચે ભાજપના નેતાઓની ટીકા કેમ થઈ રહી છે?
ભારત સહિત ગુજરાતમાં કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનના કેસો વધી રહ્યા છે. આ દરમિયાન કેટલાક લોકો ગુજરાતની ભાજપ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
27 ડિસેમ્બરે ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના એક દિવસમાં 24 કેસ નોંધાયા હતા. જ્યાર બાદ ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસોની સંખ્યા 73 પર પહોંચી છે.
એક દિવસ અગાઉ 26 ડિસેમ્બરે સુરતમાં ગુજરાતના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરૂપે 'ફિટ ઇન્ડિયા-ફિટ ગુજરાત' સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાઇક્લોથોનને લીલી ઝંડી ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે બતાવી હતી. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ, મંત્રીઓ સહિત ઘણા બધા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના સત્તાવાર ટ્વિટર ઍકાઉન્ટ પરથી અપલોડ કરાયેલા ફોટોમાં તેમના સહિત અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.
એક તરફ ઓમિક્રૉન વૅરિયન્ટ ન ફેલાય તે માટે સરકાર દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. બીજી તરફ આ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંગે લોકો નારાજગી ઠાલવી રહ્યા છે.
'શેઠની શિખામણ ઝાંપા સુધી'
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના સત્તાવાર ટ્વિટર પરથી અપલોડ કરાયેલા ફોટો પર @yatsmusical નામના હૅન્ડલ પરથી કૉમેન્ટ કરાઈ છે કે "આ આજે સવારે થયેલી સુરતની ઇવેન્ટ. હજારો લોકોને એકઠા કરી રહ્યા છે આ લોકો."
"ત્રણ દિવસ સુધી ચાલશે ભાજપની ઇવેન્ટ, કોરોના ગાઇડલાઇન્સ નથી દેખાતી આ લોકોને. લગ્નો અને પ્રાઇવેટ પાર્ટીઓમાં જ 200 લોકો કેમ?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જ ફોટો પર અન્ય એક યુઝર ભાવેશ ધોલરિયાએ લખ્યું કે, "શેઠની શિખામણ ઝાંપા સુધી. હજી કાલે રાત્રે જ સાહેબે કોરોના ગાઇડલાન્સનું કડકાઈથી પાલન કરવાનું કહ્યું."
26 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશમાં એક જંગી મહાસભા યોજી હતી. જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રીના ટ્વિટર ઍકાઉન્ટ પરથી તેના ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા, રોષે ભરાયેલા યુઝરોએ તેની પણ ટીકા કરી હતી.
પલ્લવી ચુમકી બારુઆએ લખ્યું કે,"તમામ પ્રકારની ઉજવણીઓ અને તહેવારો રદ થઈ રહ્યાં છે, પરંતુ ચૂંટણીલક્ષી સભાઓ અને રેલી તો ચાલુ જ છે."
તે જ ફોટો પર સૌરભ નામના યુઝરે લખ્યું કે, "તમે હાલમાં કોરોનાની મજાક બનાવી, થઈ શકે કે આપણે જ ફરી એક વખત મજાક બની જઈએ. છોડો, તમને તો શું?"
"તમારી પાસે તો બધું જ છે. રસ્તા પર તો અમે ભારતના લોકો ભટકીશું, મરીશું અને સ્મશાનમાં અમારા માટે જગ્યા પણ નહીં હોય."
"સંસદ અને વિધાનસભાઓમાં તમારા સાથીઓ ફરી જૂઠ્ઠું બોલશે. પાર્ટી તો આ રીતે જ ચલાવાશે."
27 ડિસેમ્બરે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી અને દર્દીઓ, તબીબો અને દર્દીઓના પરિવારજનોની મુલાકાત લીધી હતી.
આ મુલાકાતના ફોટોમાં તેમણે અને આસપાસના લોકોએ તો માસ્ક પહેર્યું હતું, પરંતુ તેના અગાઉના થોડા દિવસોમાં જ તેઓ અનેક વખત માસ્ક વગર સરકારી કાર્યક્રમોમાં જોવા મળ્યા હતા. જે અંગે લોકોએ ટીકા કરી હતી.
દિવ્યેશ મોરી નામના યુઝરે લખ્યું કે "ઠીક છે ચાલો. હવે તમે (મુખ્ય મંત્રી) આ દર્દીઓને જોઈને મોટી જાહેરસભાઓ બંધ કરશો, એવી આશા રાખીએ છીએ."
"અરે સાહેબ પાટીલજીને માત્રને માત્ર ભાજપ દેખાય છે. ગુજરાતને બચાવી લો સાહેબ, રહેમ કરો. ઓમિક્રૉન વિશે પણ કંઈક વિચારો. ભગવાન રક્ષા કરે ગુજરાતની. જય જય ગરવી ગુજરાત."
વિજય પટેલ નામના યુઝરે ટ્વીટનો જવાબ આપતાં લખ્યું કે "સાહેબ, મુલાકાત તો લીધી પણ માસ્ક કેમ પહેર્યું? ગઈકાલે તો કાર્યક્રમ દરમિયાન માસ્ક વગર ખૂબ ફર્યા."
"તો દવાખાને જ કેમ? આપ હંમેશાં સુરક્ષિત રહો, પરંતુ સતર્ક પણ પહો. જાહેર કાર્યક્રમમાં પ્લીઝ ધ્યાન રાખજો... આપનો હિતેચ્છુ."
ભાજપના જ સાંસદ વરુણ ગાંધીએ પણ ટીકા કરી
લોકો રોષ ઠાલવી રહ્યા છે, એ વચ્ચે ભાજપમાંથી જ ચૂંટાયેલા સાંસદ વરુણ ગાંધીએ પણ ટીકા કરી છે.
તેમણે ટ્વિટર પર શૅર કરેલી પોસ્ટમાં લખ્યું કે, "રાત્રે કર્ફ્યૂ લગાવવાનો અને દિવસે રેલીઓમાં લાખો લોકોને બોલાવવાના - આ સામાન્ય જનમાનસની સમજણથી પરે છે."
"ઉત્તર પ્રદેશની સીમિત સ્વાસ્થ્યવ્યવસ્થાઓને ધ્યાને રાખીને ઇમાનદારીથી નક્કી કરવું પડશે કે આપણી પ્રાથમિકતા ઓમિક્રૉનનો પ્રસાર અટકાવવાની છે કે પછી ચૂંટણીલક્ષી શક્તિપ્રદર્શન."
કાર્યક્રમો ચિંતાનો વિષય
તાજેતરમાં ધારાસભ્ય અને પૂર્વ ઊર્જામંત્રી સૌરભ પટેલે બોટાદ ખાતે યોજાયેલી એક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ભાજપ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ થયો હતો.
શનિવારે 25 ડિસેમ્બરના રોજ સુરતમાં સફાઈકામદારોનું કોરોના વૉરિયર્સ તરીકે સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ, મેયર હેમાલી બોઘાવાલા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 2,700 જેટલા સફાઈકામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઇન્ડિયન એક્સપ્રેસના અન્ય એક અહેવાલ પ્રમાણે, આ કાર્યક્રમના બીજા દિવસે આ સફાઈકામદારો પૈકી 50 વર્ષીય કામદારનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો