Budget 2022 : નિર્મલા સીતારમણનું બજેટ સામાન્ય લોકો માટે કેવું? શું માને છે નિષ્ણાતો?

વાંચવાનો સમય: 3 મિનિટ

મંગળવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું, ત્યારે બધાની નજર એ વાત ઉપર હતી કે પંજાબ-યુપી સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને પગલે તે લોકરંજક બજેટ હશે કે વિકાસલક્ષી બજેટ હશે.

કોરોનાની મહામારીમાંથી નાગરિકો, ઉદ્યોગો અને સરકાર પણ બહાર નીકળવા પ્રયાસરત છે, ત્યારે સરકાર કઈ દિશામાં આગળ વધવા માગે છે, તેના ઉપર સ્વાભાવિક રીતે મીટ મંડાયેલી હોય.

10 દિવસ પછીથી યુપી તથા અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થઈ રહી છે, છતાં કોઈ એવી કોઈ જાહેરાત કરવામાં નહોતી આવી.

સરકાર દ્વારા ડિજિટલ રૂપિયાને ચલણમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટ ઉપર 30 ટકાનો દર લગાવી દીધો છે.

આ સિવાય લઘુ અને મધ્યમ ઉદ્યોગોને આપવામાં આવેલી રાહતો એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. જે મોટા પાયે રોજગારનું સર્જન કરતા આ ઉદ્યોગોમાં પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરશે.

છતાં એવી અનેક બાબતો છે કે જેને ધ્યાને લેવામાં સરકાર નિષ્ફળ રહી છે અથવા એ દિશામાં અધકચરા પ્રયાસો થયા હોવાનું અર્થશાસ્ત્રીઓ કે અર્થતંત્ર ઉપર નજર રાખતી સંસ્થાઓ માને છે.

બજેટ કેવું, શું કહે છે નિષ્ણાતો?

અતુલ જોશીએ બીબીસી સંવાદદાતા જૈનુલ હકીમજી સાથે વાત કરતા કહ્યું કે "બજેટમાં મોટું વિઝન તો રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ તેને કેવી રીતે સાકાર કેવી રીતે કરવામાં આવશે, તેના વિશે કોઈ નક્કર સ્પષ્ટતા નથી મળતી."

પોતાની વાતને રજૂ કરવા માટે જોશી સરકાર દ્વારા કરવામાં આવનારા મૂડીખર્ચનો દાખલો ટાંકે છે. લગભગ આઠ લાખ કરોડના ખર્ચ માટે સંશાધનો ક્યાંથી ઊભા કરવામાં આવશે, તેની સ્પષ્ટતા નથી દેખાતી.

જોશીના મતે મહામારીને કારણે લોકોની આવક ઘટી છે અને ખાદ્યપદાર્થોથી લઈને તમામ ચીજોમાં ભાવવધારો થયો છે, જેના કારણે નાગરિકો પાસે ખર્ચ કરી શકાય તેવી હાથ પરની રકમ ઘટી છે.

કરમાળખામાં ફેરફાર કરીને લોકોને વધુ આવક મળે તેવા પ્રયાસ કરવામાં આવશે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી, પરંતુ એમ નથી થયું. જે વ્યક્તિ માટે નકારાત્મક બાબત છે. તેમણે બજેટનું સર્વાંગી મુલ્યાંકન કરતા તેને '10માંથી ચારથી સાડા ચાર અંક' આપ્યા હતા.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા આર્થિક બાબતોના જાણકાર ડીકે મિશ્રા સાથે બીબીસી સંવાદદાતા સુપ્રિયા સાંગવાને વાત કરી હતી.

મિશ્રાએ કહ્યું, "જો વ્યક્તિગત બાબતોને કોરાણે મૂકીને જો રાષ્ટ્રનિર્માણના ચશ્માંથી આ બજેટને જોવામાં આવે તો તેમાં વિઝન છે. જીએસટી જેવા અપ્રત્યક્ષ કરમાંથી વક વધી છે એટલે સરકાર ખર્ચ વધારે તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી, તો તે પણ કરવામાં આવ્યું છે."

મિશ્રા ઉમેરે છે કે આપણે બજેટને કોની નજરથી જોઈએ છીએ અને બજેટ પાસેથી આપણી અપેક્ષા કેવી હતી, તેના આધારે બજેટ કેવું છે તેનો અભિપ્રાય બંધાતો હોય છે.

મિશ્રાના કહેવા પ્રમાણે, "સરકાર દ્વારા યુવાનોમાં રોજગારસર્જનની દિશામાં કોઈ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવશે એવી આશા રાખવામાં આવતી હતી, પરંતુ એ દિશામાં કોઈ નક્કર જાહેરાત નથી થઈ.

"કોરોનાને કારણે શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં અનેક ઉદ્યોગો અને રોજગારો છીનવાઈ ગયા છે અથવા તો તેમને ભયંકર અસર થઈ છે."

"સરકારે મફત રાશન તથા અન્ય જાહેરાતો દ્વારા તેમને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ રોજગારસર્જનની દિશામાં કોઈ નક્કર જાહેરાતો નથી થઈ. જેમ-જેમ અર્થતંત્રમાં ગતિ આવશે તથા મહામારી અંત તરફ આગળ વધશે, તેમ-તેમ આ ક્ષેત્રમાં પણ ગતિ આવશે."

અન્ય અભિપ્રાયો

મૂડીઝના સોવરીન રિસ્ક ગ્રૂપના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ ક્રિશ્ચિન દ ગઝમૅને બજેટ અંગે 'પ્રારંભિક ટિપ્પણી' કરતા કહ્યું હતું કે સરકાર દ્વારા ખર્ચ ક્ષેત્રે અલગ-અલગ જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ તેના માટે પૈસા ક્યાંથી આવશે તેની સ્પષ્ટતા કરવામાં નથી આવી. એજન્સી દ્વારા સરકારના નાણાખાધના 6.4 ટકાના લક્ષ્યાંકની ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

જાપાનીઝ આર્થિક સંસ્થા નોમૂરાના ઇન્ડિયા હેડ તથા મૅનેજિંગ ડિરેક્ટર પ્રભાત અવસ્થીના કહેવા પ્રમાણે, "વિધાનસભા ચૂંટણીઓ ગાજી રહી છે, છતાં કોઈ લોકરંજક જાહેરાત કરવાના બદલે આર્થિક વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો હોવાનું જણાય છે."

સેન્ટર ફૉર મૉનિટરિંગ ધ ઇન્ડિયન ઇકૉનૉમીના સીઈઓ મહેશ વ્યાસના કહેવા પ્રમાણે, "મનરેગા (મહાત્મા ગાંધી નેશનલ રૂરલ ઍમ્પલૉયમૅન્ટ ગૅરંટી સ્કીમ)ની તર્જ ઉપર શહેરી વિસ્તારમાં યોજના લાગુ કરવામાં આવશે, તેવી આશા હતી. એમ નથી થયું, એટલે નિરાશા થઈ છે."

ઉલ્લેખનીય છે કે મનરેગા હેઠળ ગ્રામીણ વિસ્તારના ઘરદીઠ ઓછામાં ઓછા 100 દિવસની રોજગારની ખાતરી આપવામાં આવે છે. ચાલુ વર્ષે સરકારે તેના માટેની ફાળવણીમાં પણ ઘટાડો કર્યો છે.

વરિષ્ઠ અર્થશાસ્ત્રી સ્વામીનાથન ઐય્યરે આર્થિક પત્રિકા 'ઇકૉનૉમિક ટાઇમ્સ' સાથે વાત કરતા જણાવ્યું કે, "સરકારે કોઈ લોકરંજક જાહેરાત નથી કરી અને 35 ટકા મૂડીખર્ચ કરવાનો પ્રયાસ કર્યો છે. આ બજેટમાં સરકારે મોંઘવારીનું જોખમ લીધું છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો