You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અગ્નિપથ વિવાદ : 'પ્રદર્શનકારી સામે બુલડોઝર ચલાવશો?' આવો સવાલ કેમ થઈ રહ્યો છે?
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 5 મિનિટ
બિહારનાં ઉપમુખ્ય મંત્રી અને ભાજપનાં નેતા રેણુદેવીએ કહ્યું કે અગ્નિપથ યોજનાના વિરોધમાં હિંસા કરી રહેલા લોકોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.
બેતિયામાં કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ તેમના નિવાસસ્થાન પર હુમલો કરી દીધો હતો જેમાં તેમના ઘરને ઘણું નુકસાન થયું હતું. હુમલા વખતે રેણુદેવી પટનામાં હતાં.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, કદાચ તમે તસવીરો જોઈ હશે. આખા ઘરમાં તૂટેલા કાચ છે, બધું તૂટી-ફૂટી ગયું...ગાડીનો સત્યાનાશ થઈ ગયો...એક લોખંડનો ગેટ હતો એટલે એ બચી ગયો. નહીં તો ઘરમાં ઘૂસી જવાનો પ્રયાસ હતો. આગળ અને પાછળ બધેથી પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
રેણુદેવી અનુસાર હુમલા વખતે ઘરમાં તેમનાં બહેનો, પરિવારના અન્ય લોકો અને ઘરમાં કામ કરનાર કર્મચારીઓ સહિત સાતથી આઠ લોકો હતાં.
તેમણે હિંસામાં વિપક્ષનો હાથ દોવાનો આક્ષેપ કર્યો અને કહ્યું, "વિદ્યાર્થીઓ જો આંદોલન કરે તો શું હાથમાં પેટ્રોલ બૉમ્બ લઈને ચાલશે. શું પેટ્રોલ હાથમાં લઈને આવશે? આ યોગ્ય નથી. વિપક્ષના લોકો ગુંડાગીરી કરાવી રહ્યા છે. . "
"આ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હજી સુધી નથી થઈ. અમે પણ માગ કરીએ છીએ કે કડક પગલાં લેવાં જોઈએ."
જોકે કૉંગ્રેસે આ પ્રદર્શનમાં કોઈ ભૂમિકાથી ઇનકાર કર્યો છે.
એ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હીની જેમ બિહારમાં પણ બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે, રેણુદેવીએ કહ્યું, " જરૂર થવો જોઈએ. ભણવાવાળા વિદ્યાર્થીઓ આવું ન કરી શકે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય સેનામાં ભરતીની નવી યોજના અગ્નિપથના વિરોધમાં દેશના કેટલાક ભાગોમાં હિંસક વિરોધપ્રદર્શન થયાં હતાં.
વિરોધપ્રદર્શનને કારણે બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને તેલંગણા સહિત કેટલાંક રાજ્યોમાં 300થી વધારે ટ્રેનોની અવરજવર બાધિત છે. પ્રદર્શનકારીઓએ પ્લૅટફૉર્મ પર ઊભી ટ્રેનના કોચમાં આગ ચાંપી દીધી હતી.
શું અગ્નિપથ પ્રદર્શનોની સામે પણ બુલડોઝરનો ઉપયોગ થશે?
ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી બ્રજેશ પાઠકે પ્રયાગરાજ અને સહારનપુરમાં હિંસા પર કહ્યું કે ઉપદ્રવીઓ વિરુદ્ધ બુલડોઝરનો ઉપયોગ ચાલુ રહેશે.
યોગી આદિત્યનાથના મીડિયા એડવાઇઝર મૃત્યુંજયકુમારે હાલમાં એક બુલડોઝરની તસવીર સાથે ટ્વીટ કર્યું હતું કે, " ઉપદ્રવીઓ યાદ રાખે, દર શુક્રવાર પછી શનિવાર આવે છે..."
એપ્રિલમાં મધ્ય પ્રદેશના ખરગૌન હિંસા પર રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે, "ખરગૌનના ગુનેગાર સામે કડક પગલાં લેવાં જોઈએ. ત્યાં જે ઘરો પર પથ્થર આવ્યા છે, તે ઘરોને પથ્થરોના ઢગલા બનાવી દઈશું."
હવે આવા સવાલ પુછાઈ રહ્યા છે કે શું જહાંગીરપુરી, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના ખરગૌનની જેમ જ અગ્નિપથની સામે વિરોધપ્રદર્શન કરનારાઓ સામે બુલડોઝરનો ઉપયોગ થશે?
સરકાર દ્વારા બુલડોઝરોનો ઉપયોગ કરવાને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને આ મામલો હવે અદાલતમાં છે.
કૉંગ્રેસના સલમાન નિઝામીએ ટ્વીટ કરીને પૂછ્યું કે, "આમનાં કપડાં જુઓ મોદીજી. બુલડોઝર ક્યાં છે?"
વર્ષ 2019માં નાગરિકતા કાયદાની વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "આ આગ ચાંપવાવાળા કોણ છે, એ તેમનાં કપડાંથી સમજી શકાય છે."
બીબીસી સાથે વાતચીતમાં સલમાન નિઝમી કહે છે, "જો બુલડોઝર ચલાવવું હોય તો બધા પર ચલાવો ને. તોફાન કરનાર તોફાન કરનાર જ છે. ધર્મના આધાર પર કેમ જુઓ છો? જ્યારે મુસ્લિમ પ્રદર્શન કરે તો બુલડોઝર ચલાવી રહ્યા છે પરંતુ કાલે જ્યારે અગ્નિપથ પર પ્રદર્શન થયાં, ટ્રેનોને આગ ચાંપવામાં આવી તો તેમના પર બુલડોઝર ન ચાલ્યું."
સલમાન નિઝામી અનુસાર, " ખેડૂતોએ આંદોલન કર્યું. દેશમાં આની પહેલાં પણ રમખાણો થયાં છે. તમે એક સમુદાયની પાછળ પડ્યા છો જેથી તમે તેમનો અવાજ દબાવી શકો."
ઍક્ટિવિસ્ટ સફૂરા ઝર્ગરે ટ્વિટર પર લખ્યું કે, " પોલીસે આ તોફાની તત્ત્વો પર ગોળીઓ કેમ ન ચલાવી? મોટી સંખ્યામાં એફઆઈઆર ન કરી? રિકવરી ક્યારે થશે? એનએસએ/યુપીએ/ કાવતરું/ કમ સે કમ બુલડોઝર જ ચલાવી લો?"
પત્રકાર રોહિણીસિંહે લખે છે કે , "મને પૂર્ણ વિશ્વાસ છે કે યોગી આદિત્યનાથ બુલડોઝરની તૈયારી કરી રહ્યા હશે."
વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈ કહે છે કે, " બુલડોઝર ડર અને ધમકાવવાનું પ્રતીક બની ગયું છે કારણ કે તેનો ઉપયોગ પસંદગીના આધારે થાય છે. જ્યારે કોઈ મુસ્લિમ તોફાન કરે છે તો તમે બુલડોઝર ચલાવો છો અને હવે જ્યારે યુવાનો તોફાન કરી રહ્યા છે તો તમે તેમનું શું કરશો? તમે એક ખતરનાક દાખલો બેસાડી રહ્યા છો."
આ વિષય પર આરએસએસના મુખપત્ર ઑર્ગનાઇઝરથી જોડાયેલા એક પત્રકાર નિશાંત આઝાએ લખ્યું કે, " બુલડોઝરનો ઉપયોગ વિકાસ દુબે, સુરેન્દર ભાટી, અનિલ દુજાના, બદનસિંહ ભડ્ડો, એમએલએ વિજયકુમાર અને કેટલાક ગુનેગારો સામે પણ થયો છે એટલે એ કહેવાનું બંધ કરો કે યોગી સરકાર બુલડોઝર માત્ર એક સમુદાય સામે જ કરે છે."
ભાજપનો પક્ષ
બીબીસી સાથેની વાતચીતમાં ભાજપનાં પ્રવક્તા અપરાજિતા સારંગી પ્રમાણે એવું કહેવું યોગ્ય નથી કે બુલડોઝર અમુક વાતનું પ્રતીક બની ગયું છે.
સારંગી પ્રમાણે જેવી રીતે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશના ખરગૌન વગેરેમાં બુલડોઝરનો ઉપયોગ થયો તે સ્થિતિ હાલ લાગુ નથી.
તેઓ કહે છે કે, "દરેક બાબતે બુલડોઝરની ચર્ચા ન કરવી જોઈએ, અને આ તેનો યોગ્ય ઉપયોગ નથી. આ ખોટું છે... કાયદો જે કહે છે, લોકો વિરુદ્ધ તે આધારે જ કાર્યવાહી થવી જોઈએ."
સારંગી કહે છે કે, "લોકોની શી પરેશાની થઈ રહી છે, અમે તેનું ધ્યાન રાખીએ છીએ અને મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે સંરક્ષણમંત્રાલય જનતાના વિચાર પર ધ્યાન આપી રહ્યું છે. જો કોઈ સંશોધનની જરૂરિયાત છે, તો તે જરૂર થશે."
મધ્ય પ્રદેશમાં પ્રદર્શન અને તોડફોડના સમાચાર પર ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પ્રમાણે ગ્વાલિયરમાં અમુક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો અને અમુક જૂનાં ટાયરોમાં આગ લગાવાઈ પરંતુ હિંસા ક્યાંય નથી થઈ.
અગ્નિપથ વિરુદ્ધનાં પ્રદર્શનોમાં બુલડોઝરના ઉપયોગ અંગે તેઓ કહે છે કે, "તમે આ બાળકોની તુલના કોની સાથે કરી રહ્યા છો?"
પરંતુ બિહારમાં ભાજપનાં નેતા અને ઉપમુખ્ય મંત્રી રેણુદેવી હિંસક ભીડ વિરુદ્ધ કડક કાર્યવાહી અને બુલડોઝરના ઉપયોગની ભલામણ કરી રહ્યાં છે.
તેઓ કહે છે કે, "બિહારમાં સૌથી વધુ ઉપદ્રવ થઈ રહ્યો છે. ટ્રેન કોની છે? સમાજની છે. જનતાની કમાણીની છે... છાત્ર ખૂબ જ સંવેદનશીલ હોય છે, તેઓ ક્યારેય ટ્રેનોને આગચંપી ન કરી શકે. તેઓ ક્યારેય કોઈની પ્રાઇવેટ પ્રૉપર્ટીને નષ્ટ ન કરી શકે."
'કાયદો અનુસરો'
વરિષ્ઠ પત્રાકર રાજદીપ સરદેસાઈ કહે છે કે પ્રશાસન ગુનેગાર ન હોઈ શકે.
તેઓ કહે છે કે, "તમે ખરગૌનમાં એક એવી વ્યક્તિનું ઘર તોડ્યું જે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળ્યું હતું. અલાહાબાદમાં મોહમ્મદ જાવેદ મામલામાં ઘર પત્નીના નામે હતું. તમે પ્રક્રિયાને અનુસરો. જો કોઈ ગેરકાયદેસર કામ થયું છે તો તમે ઘર પાડી દો પરંતુ પ્રક્રિયા અંતર્ગત, પરંતુ કોઈ રમખાણના ઍક્શન-રિઍક્શન અંતર્ગત નહીં. પ્રશાસન રિઍક્શન રાજકારણનો ભાગ ન બની શકે."
રાજકીય વિશ્લેષક ડૉક્ટર વેદપ્રકાશ વૈદિક પણ માને છે કે જો બુલડોઝરનો ઉપયોગ કરવો છે તો તે કાયદા અંતર્ગત થવું જોઈએ તેનો ઉપયોગ બધા સામે સમાનપણે થવો જોઈએ.
તેઓ કહે છે કે સરકાર કોઈ કાયદો ઘડે કે નિર્ણય લાગુ કરે એ પહેલાં તેનાથી પ્રભાવિત થનાર લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ.
ડૉક્ટર વેદપ્રકાશ કહે છે કે, "આ સરકારની કમી છે, જે લોકો પર નિર્ણયની અસર થવાની હતી, તેમની કોઈ સલાહ ન લેવાઈ. કૃષિકાયદાની અસર ખેડૂતો પર થવાની હતી, પરંતુ તમે તેમની પણ સલાહ નહોતી લીધી."
"સરકારને આર્મી યુનિટની જેમ ન ચલાવી શકાય. તમે નિર્ણય લઈ લો અને લોકો તેને સ્વીકારી લે તેવી આશા કરો આવું ન થઈ શકે. સરકારમાં આવી રીતે કામ નથી થતું. નિર્ણય લેતાં પહેલાં તેનાથી પ્રભાવિત થનાર લોકોના મત તેમા સામેલ કરવાના હોય છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો