ICC Women's World Cup : મિતાલી રાજ, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરમનપ્રીતકૌર, યાસ્તિકા ભાટિયા ભારતને પાકિસ્તાન સામે જીત અપાવી શકશે?

વાંચવાનો સમય: 8 મિનિટ

ન્યૂઝીલૅન્ડમાં રવિવારે ICC વિમૅન્સ વન ડે વર્લ્ડકપની 12મી સિઝનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે.

પરંતુ મૅન્સ વર્લ્ડકપ મુકાબલાની બિલકુલ ઊલટ ભારતના પરંપરાગત સ્પર્ધક પાકિસ્તાન સામેના વિમૅન્સ ટીમના આ મુકબલામાં કોઈ હાઇ-વૉલ્ટેજ ડ્રામા કે વ્યાપક મીડિયા કવરેજ નથી જોવા મળ્યાં.

નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ મુકાબલા મૅન્સ ગેઇમમાં ખૂબ જ ચર્ચાસ્પદ મુદ્દો હોય છે. પરંતુ વિમૅન્સ ટીમોના મુકાબલાની ઝાઝી ચર્ચા થતી નથી.

અત્યાર સુધી ભારત અને પાકિસ્તાનની વિમૅન્સ ક્રિકેટ ટીમો કુલ 11 વાર એક બીજા સામે વન ડે મૅચ રમી ચૂકી છે. જે પૈકી ભારતે દસ અને પાકિસ્તાને એક મૅચ જીતી છે.

વધુ મીડિયા કવરેજ ન મળ્યું હોવા છતાં વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની મૅચ હોય ત્યારે ભારતીયોને પાકિસ્તાન સામે પોતાના દેશની ટીમ ન હારે તેવી આશા જરૂર જન્મે છે, કંઈક એવું આ મુકાબલામાં પણ જોવા મળી શકે છે.

ભારતીય ટીમ મિતાલી રાજની આગેવાનીમાં મહિલા વન-ડે વર્લ્ડકપ રમવાની તૈયારી કરી રહી છે. છઠ્ઠી માર્ચ એટલે કે રવિવારથી ભારત તેના અભિયાનનો પ્રારંભ કરશે.

ભારતીય ક્રિકેટચાહકો તથા વિશ્લેષકોની નજર હરમનપ્રિત કૌર, ઝુલન ગોસ્વામી અને મિતાલી રાજ સહિતનાં ખેલાડીઓ પર છે. જેઓ એકાલા હાથે રમતનું પાસું પલટી નાખવા સક્ષમ છે.

પછડાતું રહ્યું છે પાકિસ્તાન

જે રીતે મૅન્સ વન-ડે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારત હંમેશાં જીતતું રહ્યું છે તેવી જ રીતે વિમૅન્સ વર્લ્ડકપમાં પણ ભારતીય મહિલા ટીમનો હાથ ઉપર રહ્યો છે. માત્ર વર્લ્ડકપ જ શા માટે પાકિસ્તાન સામેની વિમૅન્સ વન-ડેમાં ભારતનો રેકોર્ડ 100 ટકાનો રહ્યો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં દસ વન-ડે રમાઈ છે અને એ તમામમાં ભારતનો વિજય થયો છે. તેથી પણ આગળ વધીએ તો મિતાલી રાજની કારકિર્દીના પ્રારંભિક કાળમાં ભારત અને પાકિસ્તાન પહેલી વાર રમ્યા ત્યારથી આ દસ મૅચમાંથી નવ મૅચમાં ભારતની કૅપ્ટન મિતાલી રાજ જ રહ્યાં છે.

જ્યારે 2013ના ફેબ્રુઆરીમાં ભારતમાં યોજાયલા વર્લ્ડકપમાં એક મૅચમાં મિતાલીના સ્થાને ઝુલન ગોસ્વામીએ ભારતની આગેવાની સંભાળી હતી, જેમાં ભારતનો છ વિકેટે વિજય થયો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં ત્રણ મૅચ રમાઈ છે અને એ તમામમાં ભારત વિજયી થયું છે. છેલ્લે 2017માં ડર્બી (ઇંગ્લૅન્ડ) ખાતે રમાયેલી મૅચમાં ભારતનો 95 રનથી વિજય થયો હતો. ભારત માટે જયા શર્મા અને મિતાલી રાજ પાકિસ્તાન સામે સદી ફટકારી ચૂકી છે.

જોકે તાજેતરના ગાળામાં પાકિસ્તાનની મહિલા ટીમે શાનદાર દેખાવ કરેલો છે ત્યારે આ વખતે બિસમાહ મહારૂફની આગેવાનીમાં પાકિસ્તાન કેવો દેખાવ કરે છે તે જોવાનું રહેશે.

ફૉર્મ, ફિટનેસ અને ફલાંગ

મિતાલી રાજની આગેવાની હેઠળની વર્તમાન ભારતીય ટીમ સામે સૌથી મોટી સમસ્યા તેના ફૉર્મની છે, તો સાથે-સાથે ફિટનેસની પણ થોડીઘણી સમસ્યા રહેલી છે. એવામાં ભારત સારો દેખાવ કરે તેવી અપેક્ષા રખાઈ રહી છે, તેનું કારણ વિમૅન્સ ક્રિકેટમાં તાજેતરના વર્ષોમાં ભારતે તાજેતરના વર્ષોમાં કરેલો દેખાવ છે.

છેલ્લા કેટલાક સમયથી મહિલા ક્રિકેટમાં ભારતનો દેખાવ ઘણો સુધારાજનક રહ્યો છે. ખાસ કરીને મિતાલી રાજ, હરમનપ્રિત કૌર અને સ્મૃતિ મંધાના, ઝુલન ગોસ્વામી જેવી અનુભવી ખેલાડીઓની સાથે સાથે શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જેમિમાહ રૉડ્રિગ્સ (જે વર્લ્ડકપમાં રમવાનાં નથી), પૂનમ યાદવ, દિપ્તી શર્મા જેવી ખેલાડીઓએ પણ સારું એવું કાઠું કાઢ્યું છે.

જોકે તાજેતરમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ભારત જે રીતે વન-ડે સિરીઝ હારી ગયું, તેનાથી નિરાશા ચોક્કસ પેદા થઈ છે. આમ છતાં, વિશ્વકપ જેવી મેગા ઇવેન્ટમાં ભારતીય ટીમના પ્રદર્શનમાં ફરક પડી જાય તેવી આશા રાખવામાં આવે છે.

આવા આશાવાદ પાછળનું એક કારણ એ પણ છે કે ભારત પાસે પ્રતિભાની કમી નથી. ભારત અત્યાર સુધીમાં બે વખત વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ્યું છે અને વર્તમાન રનર્સ-અપ છે.

છેલ્લે 2017માં ઇંગ્લૅન્ડમાં યોજાયેલા વર્લ્ડકપની ફાઇનલમાં એકાદ બે નાની ભૂલ કરી ન હોત તો ભારત ચૅમ્પિયન બની શકે તેમ હતું.

છેલ્લા વર્લ્ડકપની ફાઇનલને યાદ કરીએ તો ભારત ટાઇટલની સાવ નજીક પહોંચી ગયું હતું. 229 રનના ટાર્ગેટ સામે ભારતનો સ્કોર એક સમયે પાંચ વિકેટે 200 રન હતો. આમ તેને વધુ 29 રનની જરૂર હતી અને ઓવરની કોઈ કમી ન હતી.

વેદા ક્રિષ્ણમૂર્તિ જેવાં આક્રમક ખેલાડી ક્રિઝ પર હતાં, પણ અહીંથી ટીમનો ધબડકો થયો અને વધુ 19 રનના ઉમેરામાં બાકીની તમામ વિકેટ પડી ગઈ.

એ વર્લ્ડકપ હરમનપ્રિત કૌર માટે અત્યંત સફળ રહ્યો હતો જેમાં તેણે ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે અણનમ 171 રન ફટકાર્યા હતા. હરમનપ્રિતની એ ઇનિંગ્સે 1983ના વર્લ્ડકપની ઝિમ્બાબ્વે સામેની કપિલદેવની 175 રનની ઇનિંગ્સ યાદ અપાવી દીધી હતી.

જોકે આ ભૂતકાળની વાત થઈ. વર્તમાનની વાત કરીએ તો હરમન હાલમાં તેના શ્રેષ્ઠ ફૉર્મમાં નથી. તો ઓપનર સ્મૃતિ મંધાના હજી બે દિવસ અગાઉ વૉર્મ-અપ મૅચમાં ઘાયલ યાંથ છે અને તે હવે પાકિસ્તાન સામે રમશે કે નહીં તે સવાલ છે. આ ઉપરાંત તે કેવું ફૉર્મ દાખવે છે તે પણ જોવાનું રહેશે.

મિતાલીનું રાજ

ભારત પાસેથી વધારે આશા રાખવાનું એક કારણ એ પણ છે કે ટીમની કપ્તાન મિતાલી રાજ અત્યારે વિશ્વનાં સૌથી અનુભવી ખેલાડી છે. 2005માં ભારતે વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ કર્યો અને 2017માં પણ ભારત રનર્સ-અપ બન્યું એ બંને ટીમની આગેવાની મિતાલીનાં હાથમાં હતી.

મિતાલીએ તાજેતરમાં જ એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતની મેગાઇવેન્ટની સફળતાનો આધાર યુવાન ખેલાડીઓ પર રહેશે. રિચા ઘોષ, શેફાલી વર્મા, મેઘના સિંઘ અને પૂજા વસ્ત્રાકર ભારતની ટીમને આગળ લઈ જવા માટે સક્ષમ છે.

આ ઉપરાંત મિતાલીની બીજી ખાસિયત એ છે કે તે ઉતાવળિયો નિર્ણય લેતાં નથી. તેમણે આ વખતે પણ ટીમની તમામ ખેલાડીને ખાતરી આપી છે કે એકાદ બે મૅચની નિષ્ફળતાથી કોઈ ખેલાડીનું સ્થાન જોખમમાં નહીં આવે. આવી ખાતરી કૅપ્ટન તરફથી મળતી હોય તો દરેક ખેલાડીને ઉત્સાહપૂર્વક પ્રદર્શન કરવાની હિંમત આવતી હોય છે.

આ વખતના વર્લ્ડકપના ફૉર્મેટને જોતાં પણ ભારત પાસેથી ઉમદા દેખાવની અપેક્ષા રાખી શકાય છે કેમ કે તેને દરેક ટીમ સામે એક એક મૅચ રમવાની છે. આ સંજોગોમાં ભારત ફૉર્મ પરત મેળવવામાં એકાદ બે મૅચ સુધી રાહ જોઈ શકે છે.

મિતાલીના કહેવા મુજબ એમ પણ બને કે એકાદ મૅચમાં અખતરા કરવામાં ખાસ ફરક પડવાનો નથી. તેમ છતાં દરેક ટીમ પોતાની રીતે તૈયારી કરીને જ આવી હોય છે એ જોતાં જોખમનું પ્રમાણ પણ એટલું જ રહેવાનું છે.

ભારત પ્રારંભમાં જ પાકિસ્તાન સામે રમવાનું છે જેને કારણે વર્લ્ડકપનો રોમાંચ તો વધી જશે, પરંતુ સાથે સાથે સૌની નજર શરૂઆતથી જ ટીમના પ્રદર્શન પર રહેવાની છે.

હાલના સોશિયલ મીડિયાના યુગમાં ટીમના પ્રદર્શનની સમીક્ષા પણ તરત જ થઈ જતી હોય છે. આ પાસાને કારણે ટીમ પર દબાણ પણ રહેવાનું છે.

પાકિસ્તાન બાદ ભારતને ન્યૂ ઝીલૅન્ડ સામે રમવાનું આવશે જે થોડું જોખમી છે, કેમ કે તાજેતરમાં તેમની સામે પરાસ્ત થવા ઉપરાંત બીજું પરિબળ એ છે કે કિવિ ટીમ તેના હૉમગ્રાઉન્ડ પર રમી રહી છે.

ગયા વર્ષે ઇંગ્લૅન્ડના પ્રવાસમાં ભારતે નોંધપાત્ર દેખાવ કર્યો હતો તેથી તેને આ વખતે 16મી માર્ચે ઇંગ્લૅન્ડ સામે ખાસ તકલીફ પડે તેમ લાગતું નથી અને એવી જ રીતે થોડા સમય અગાઉ વેસ્ટ ઇંડિઝમાં સફળ થયેલી મિતાલી રાજની ટીમને કૅરેબિયન સામે પણ વાંધો આવવો જોઇએ નહીં, પણ ત્યાર બાદ તેને ઑસ્ટ્રેલિયા સામે રમવાનું છે.

જોકે ભારતનું જમાપાસું એ રહેશે કે સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટે તેને અંતિમ બે લીગમાં બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા સામે રમવાનું છે. આ બંને ટીમ સામે ભારત જીતી શકે છે અને આમ બનશે તો તેને સેમિફાઇનલમાં પ્રવેશ અંગે નીતિ ઘડવાનો સમય મળી રહેશે.

આ વખતના વર્લ્ડકપમાં ભારત મોટા ભાગે તો મિતાલી અને હરમન પર મદાર રાખશે, પરંતુ ટીમની કેટલીક અન્ય ખેલાડી પણ દમદાર પ્રદર્શન કરવા માટે સક્ષમ છે. એક નજર ભારતનાં પ્રમુખ ખેલાડીઓ પર :

મિતાલી રાજઃ 38 વર્ષીય મિતાલી રાજ અત્યારે મહિલા ક્રિકેટની સૌથી અનુભવી ખેલાડી છે. 217 વન-ડે, 7332 રન, 60 અડધી સદી આ તમામ વર્લ્ડ રેકોર્ડ છે. મહિલા ક્રિકેટમાં મિતાલી રાજથી વધુ રન કોઈ કરી શક્યું નથી અને વર્તમાન ક્રિકેટ પર નજર કરીએ તો આગામી ચાર પાંચ વર્ષમાં ત્યાં સુધી કોઈ પહોંચી શકે તેમ પણ નથી.

મિતાલીની ખાસિયત એ છે કે તેઓ હરમનની માફક અત્યંત આક્રમક બેટિંગ કરતા નથી, પણ ઇનિંગ્સને જમાવ્યા બાદ રન ફટકારવાનું પસંદ કરે છે. મિતાલી સેટ થવામાં સમય લે છે પણ હરીફ ટીમને તેનો અહેસાસ થાય ત્યાં સુધીમાં તે 40થી 50 રન સુધી પહોંચી જતાં હોય છે.

આ ઉપરાંત તે સુકાની તરીકે પણ ચોકસાઈપૂર્વકના નિર્ણય લેતી હોય છે. તેના બોલિંગ પરિવર્તન ઘણી વાર હરીફને આશ્ચર્યમાં ગરકાવ કરી દેતા હોય છે અને અંતે તેનાથી ભારતને સફળતા મળતી હોય છે. 1999થી વન-ડેમાં રમી રહી હોવાને કારણે તે મહિલા ક્રિકેટમાં હરીફની નીતિ-રિતીઓથી પણ સુપરિચિત છે જેનો ભારતને લાભ થઈ શકે છે.

શેફાલી વર્મા

માત્ર 18 જ વર્ષની શેફાલી વર્માને માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં, પરંતુ વિશ્વ મહિલા ક્રિકેટનું ભવિષ્ય મનાઈ રહ્યાં છે. નાની વયે તેણે પદાર્પણ કર્યું અને તે સાથે જ તેઓ છવાઈ ગયાં છે.

ટી-20માં તો તેઓ આઈસીસી ક્રમાંકમાં મોખરે પહોંચી ગયાં છે. શેફાલી આમ તો ટી-20ની આક્રમક ખેલાડી છે, પરંતુ તે વન-ડેમાં પણ ભારતને મજબૂત પ્રારંભ અપાવવા માટે જાણીતાં છે.

શેફાલી માટે હરીફ ટીમ કોઈ પણ હોય ખાસ ફરક પડતો નથી કેમ કે તે પ્રારંભથી જ આઠ-દસના રેટથી બેટિંગ કરવા માટે જાણીતાં છે. વન-ડેમાં તે 75.14નો સ્ટ્રાઇક રેટ ધરાવે છે જે મહિલા ક્રિકેટમાં બહેતર મનાય છે.

ટી-20માં તેમનો સ્ટ્રાઇક રેટ 141.12 છે. મંધાના કે યાસ્તિકા ભાટિયા સાથે મળીને તેઓ પ્રારંભથી જ ઝંઝાવાતી બેટિંગ કરતાં જોવા મળ્યાં છે. ન્યૂ ઝીલૅન્ડની વિકેટો પર વર્લ્ડકપમાં તેની પાસેથી જંગી સ્કોરની નહીં પરંતુ ઝંઝાવાતી પ્રારંભની આશા રખાય છે.

યાસ્તિકા ભાટિયા

વડોદરાનાં આ ગુજરાતી ક્રિકેટર નવોદિત છે પરંતુ અત્યંત પ્રતિભાશાળી છે. ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં એકાદ બે મૅચને બાદ કરતાં તેનો દેખાવ નોંધપાત્ર રહ્યો હતો.

આ ઉપરાંત સાઉથ આફ્રિકા સામેની વૉર્મ-અપ મૅચમાં પણ યાસ્તિકાની અડધી સદીનું ભારતને વિજય અપાવવામાં મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. કૅપ્ટન મિતાલીને જે યુવાનો પર સૌથી વધુ ભરોસો છે તેમાં યાસ્તિકાનો પણ સમાવેશ થાય છે.

21 વર્ષની યાસ્તિકાએ કોરોના અગાઉ ભારતની વિમૅન્સ ડૉમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ ઉમદા દેખાવ કર્યો હતો. અનુભવી ખેલાડીઓની નિવૃત્તિ બાદ ભારતીય ક્રિકેટ યાસ્તિકા જેવી ખેલાડીઓ પર મદાર રાખતું હશે તેવી આશા સેવાય છે.

આ ડાબોડી બૅટ્સમૅન ભારત માટે સાત વન-ડે રમી છે, જેમાં એક અડધી સદી સામેલ છે અને તે 74.00નો સ્ટ્રાઇક રેટ ધરાવે છે.

હરમનપ્રિત કૌર

ભારતીય ટીમમાં મિતાલી રાજ બાદ બેટિંગમાં સૌથી વધુ અનુભવી ખેલાડી હોય તો તે હરમનપ્રિત કૌર છે. જોકે તાજેતરમાં તે સારા ફૉર્મમાં નથી પરંતુ તેના જેવી અનુભવી ખેલાડી લાંબા સમય સુધી ફૉર્મવિહોણી રહી શકે તેમ નથી.

મિતાલી બાદ તેને ભારતની ભાવિ કૅપ્ટન પણ માનવામાં આવે છે, ત્યારે આ વખતે હરમનપ્રિત ફૉર્મ પરત મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. 111 વન-ડેમાં 2664 રન ફટકારી ચૂકેલાં હરમન ભારતીય મહિલા વન-ડે ઇતિહાસમાં એક ઇનિંગ્સમાં સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ ધરાવે છે.

તેમણે ગયા વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા સામે શાનદાર 171 રન ફટકાર્યા હતા. તેઓ ત્રણ સદી અને 13 અડધી સદી ફટકારી ચૂક્યાં છે. હરમન એક ઉમદા ઑલરાઉન્ડર છે અને બૉલિંગમાં પણ તેની ઑફસ્પિન બૉલિંગ મદદરૂપ થતી રહે છે.

એક વિશ્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડરની કોઈ કમી હોય તો તે ફૉર્મની છે અને આશા રખાય છે કે તે વર્લ્ડકપ જેવી મહત્ત્વની ટુર્નામેન્ટમાં ફૉર્મ પાછું મેળવી લેશે.

સ્મૃતિ મંધાના

25 વર્ષીય સ્મૃતિ મંધાના માત્ર 16 વર્ષની વયે પહેલી વખત ભારતીય ટીમ માટે વન-ડે રમી હતી અને પ્રારંભથી જ તેમણે સૌને પ્રભાવિત કરી દીધા છે. ડાબોડી ખેલાડીની બૅટિંગ આકર્ષક રહી છે.

ટીમને ઇનિંગ્સનો પ્રારંભ ઝડપી કરવાનો હોય ત્યારે એક એવી ખેલાડી પણ જોઇએ જે ઇનિંગ્સને સ્થિરતા પ્રદાન કરી શકે અને રન પણ કરી શકે. આ કામગીરી મંધાનાએ સુપેરે બજાવી છે.

એક તરફ શેફાલી ઝંઝાવાત સર્જતાં હોય ત્યારે સામે છેડે એવી ખેલાડીની જરૂર પડે જે વિકેટ બચાવી રાખે. મંધાના આ સારી રીતે કરી શકે છે અને ત્યાર બાદ તેઓ આક્રમક વલણ પણ અપનાવી લેતાં હોય છે.

મિતાલીની છ સદી બાદ ભારત માટે સૌથી વધુ (04) સદીનો રેકોર્ડ સ્મૃતિ મંધાનાના નામે છે. એવી જ રીતે ભારતીય વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં પણ મિતાલી, હરમન, અંજુમ ચોપરા બાદ સૌથી વધુ રન ફટકારવામાં પણ મંધાના અગ્રેસર રહ્યાં છે.

તેણે 64 વન-ડેમાં 2461 રન ફટકાર્યા છે. ઓપનર તરીકે તેમણે 20 અડધી સદી પણ ફટકારી છે. મંધાના તાજેતરમાં વૉર્મ-અપ મૅચ દરમિયાન ઘાયલ થયાં હતાં. તેના કાન પર અને માથામાં ઇજા થઈ હતી. હવે પાકિસ્તાન સામેની મૅચ અગાઉ તેની ફિટનેસની સમીક્ષા કરાશે.

ઝુલન ગોસ્વામી

બંગાળનાં આ ઝડપી બૉલર માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વની સર્વશ્રેષ્ઠ બૉલર છે. બેટિંગમાં મિતાલીએ જ કમાલ કરી છે તેવી જ કમાલ બૉલિંગમાં ઝુલન ગોસ્વામીના નામે છે.

195 વન-ડેમાં તેણે 245 વિકેટ ખેરવી છે જે વર્લ્ડ રેકોર્ડ છે. ભારતની આ સૌથી અનુભવી બૉલર તેની અગાઉની લય ગુમાવી ચૂક્યાં છે, પણ તેમ છતાં તેનો અનુભ ભારતને ઉપયોગી થઈ શકે છે. તે નીચલા ક્રમમાં બૅટિંગમાં પણ ઉપયોગી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો