You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટી20 વિશ્વકપ સુપર-8 : અક્ષર પટેલને દક્ષિણ આફ્રિકા સામે ટીમમાંથી બહાર રાખવા એ શું સૌથી મોટી ભૂલ હતી?
- લેેખક, મીનાક્ષી રાવ
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, અમદાવાદથી
- વાંચવાનો સમય: 6 મિનિટ
ભારતે મોટેરામાં માત્ર ખરાબ પ્રદર્શન જ ન કર્યું, પરંતુ તેનું આયોજન અને રણનીતિ અત્યંત ટૂંકી દૃષ્ટિ ધરાવતી સાબિત થઈ. સુપર 8 મૅચમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્લેઇંગ ઇલેવનમાંથી ઑલરાઉન્ડર અક્ષર પટેલને બહાર રાખવામાં આવ્યા ત્યારે બધાને આશ્ચર્ય થયું.
ભારતીય ટીમ મૅનેજમેન્ટની આ વિચારસરણીએ એ પણ દર્શાવ્યું કે ખોટી પસંદગીનો એક નિર્ણય ટીમની સ્પષ્ટતા, રમતની સમજ અને નિર્ણાયક સમયે તેની સ્થિતિને કેવી રીતે અસર કરે છે.
આ હોમગ્રાઉન્ડ પર વાઇસ-કેપ્ટન અક્ષર પટેલને બૅન્ચ પર બેસાડવાનો નિર્ણય ફક્ત એક વખતની ભૂલ નહોતી. આ ડ્રેસિંગ રૂમની અંદરની વિચારોની ગૂંચનું પ્રતિબિંબ હતું, જે ઘણીવાર મેદાન પર ખેલાડીઓના વ્યક્તિગત પ્રદર્શન પાછળ છુપાઈને બચી જાય છે.
તે એ પણ દર્શાવે છે કે ટીમે ચોક્કસ પ્રકારની મૅચ માટે તૈયારી કરી હતી, પરંતુ જ્યારે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ, ત્યારે તે અનુકૂલન સાધવામાં નિષ્ફળ ગઈ. મોટેરામાં આવું જ બન્યું, અને દક્ષિણ આફ્રિકાએ તેનો ફાયદો ઉઠાવ્યો.
અંતે ભારતનો ખોટો નિર્ણય ટીમના પતનનું પ્રતીક બની ગયો, જ્યારે દક્ષિણ આફ્રિકા મુશ્કેલ પરિસ્થિતિમાંથી કમબૅક કરી શક્યું. તેમના નિયમિત સ્પિનર કેશવ મહારાજે જવાબદારી સંભાળી. તે ફક્ત પસંદગી માટે લાયક જ ન ઠર્યા, પરંતુ પ્રદર્શન પણ કર્યું, ઠીક એવી જ રીતે જેવી રીતે અક્ષર પટેલ કરે છે.
હૉમગ્રાઉન્ડ પર જ અક્ષર પટેલ ટીમમાંથી બહાર
ધ્યાનમાં રાખીએ કે મોટેરા એ અક્ષરનું હોમગ્રાઉન્ડ છે. તે અહીંની પીચની ગતિ, પકડ અને ઍંગલને સમજે છે. તેઓ સમજે છે કે રાત્રિના પ્રકાશમાં પીચ કેવી રીતે બદલાય છે, ક્યારે તે ઢીલી પડે છે, ક્યારે તેને નિયંત્રણની જરૂર પડે છે. ખાસ કરીને મિડલ ઑવર્સમાં દબાણ બનાવવાની જરૂર હોય ત્યારે શું કરવું એ બધું તેમને ખ્યાલ છે. સફેદ બૉલના ક્રિકેટમાં તેમની કારકિર્દી આ સમજણ પર જ બનેલી છે.
છતાં, જ્યારે ભારતને બોલિંગમાં નિયંત્રણ અને સ્થિરતાની જરૂર હતી, ત્યારે તે જ ખેલાડીને પડતો મૂકવામાં આવ્યો.
સહાયક કોચ રાયન ટેન ડોઇશે સ્વીકાર્યું કે વૉશિંગ્ટન સુંદરને પસંદ કરવાની યોજના ઊલટી પડી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે આ નિર્ણય મૅચ પહેલા - દક્ષિણ આફ્રિકાના ડાબા હાથના બૅટ્સમૅનો, પાવરપ્લેમાં ઑફ-સ્પિનની સંભાવના અને મૅચ-અપના ગણિત જેવી થિયરી પર આધારિત હતો.
પરંતુ મૅચ યોજના મુજબ ચાલી ન હતી. સુંદરને પાવરપ્લેમાં બૉલિંગ કરવાની તક મળી ન હતી અને બાદમાં તેઓ મિડલ ઑવર્સના દબાણમાં ફસાઈ ગયા હતા. એ વખતે મિલરની આગેવાની હેઠળ દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅનો મુક્તપણે રમ્યા હતા.
"આજની રણનીતિનો મોટો ભાગ એ હતો કે તેઓ પાવરપ્લેમાં સારી બૉલિંગ કરે. અમને લાગ્યું કે તેઓ ત્યાં બે ઑવર બૉલિંગ કરશે."
પરંતુ ટી20 ક્રિકેટ કોઈ ચોક્કસ સ્ક્રિપ્ટ મુજબ ચાલતું નથી. દક્ષિણ આફ્રિકાનો પાંચ ઑવર પછી ત્રણ વિકેટે 30 રન હતો. ભારતે જે પાવરપ્લૅ માટે આયોજન કર્યું હતું તે સફળ રહ્યું નહીં.
સુંદરને બદલે અક્ષર કેવી રીતે ફાયદાકારક રહ્યા હોત?
મૅચ બીજા તબક્કામાં પ્રવેશી, જ્યાં વચ્ચેની ઓવરોમાં નિયંત્રણ અને બેટિંગમાં ડેપ્થ જરૂરી હતી. આ એ તબક્કો છે જેના માટે અક્ષર પટેલ જાણીતા છે.
આગળ જતાં, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ માટે પહેલો નિયમ વ્યવહારુ વિચારસરણી હોવો જોઈએ, કારણ કે પસંદગી અનુમાન પર નહીં પણ સંજોગો પર આધારિત થવી જોઈએ.
અક્ષરની ખાસિયત એ છે કે તે મિડલ ઑવર્સને નિયંત્રિત કરે છે, જેમાં તે બૅટ્સમૅનોને બાંધી રાખવા માટે લંબાઈ અને ગતિમાં વિવિધતાનો ઉપયોગ કરે છે.
તેમણે અગાઉ કહ્યું હતું કે, "મને ખબર છે કે ક્યારે લૅન્થ પાછી ખેંચવી અને ક્યારે ફુલ બૉલ ફેંકવો."
ટૉસ વખતે, કૅપ્ટન સૂર્યકુમારે અક્ષરને બહાર રાખવાના નિર્ણયને 'કઠોર' ગણાવ્યો. તે 'નાસમજ'નું બીજું સ્વરૂપ હતું.
પછી જે બન્યું તે નિર્ણયનું પરિણામ હતું અને ટેન ડૉઇશેથી લઈને બેટિંગ કોચ સિતાંશુ કોટક સુધીના દરેકને તેને ન્યાયી ગણાવવા માટે શબ્દોની ખોટ પડી ગઈ.
કોટકે કહ્યું, "સૂર્યા અને ગૌતમે આ અંગે ચર્ચા કરી. અમને લાગ્યું કે આ મૅચ માટે એક ઑફ-સ્પિનર જરૂરી છે. પરંતુ યોજના ટૂંક સમયમાં જ પડી ભાંગી."
સુંદરને પાવરપ્લૅમાં બૉલિંગ કરવાની તક મળી ન હતી અને તેની અસર મિડલ ઑવર્સમાં મર્યાદિત હતી, જ્યાં અક્ષર સામાન્ય રીતે વધુ સારો વિકલ્પ હોય છે.
અક્ષર પટેલ શું કરી શક્યા હોત?
મિલર અને બ્રૅવિસથી દક્ષિણ આફ્રિકા પોતાની બૉલિંગ જાળવી રાખવામાં સફળ રહ્યું હતું, તેથી ભારતને એક એવા બૉલરની જરૂર હતી જે ગતિ બદલી શકે અને રનને રોકી શકે. અક્ષરે ઘણી વખત આ ભૂમિકા ભજવી છે.
વધુ મહત્ત્વની વાત એ છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના ભારતીય બેટિંગ પહેલાંથી જ નબળી દેખાતી હતી. છઠ્ઠા કે સાતમા ક્રમે સ્થિરતાની જરૂર હતી. અક્ષર આ ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી રહ્યો છે.
તેના બદલે ભારતનો મિડલ ઑર્ડર્સ ડગમગતો દેખાતો હતો.
લક્ષ્યનો પીછો કરતી વખતે જ્યારે સ્કોર પાંચ વિકેટે 57 રન હતો, ત્યારે અક્ષરની ગેરહાજરી વ્યૂહાત્મક ખામીને બદલે માળખાકીય ખામી બની ગઈ.
ટેન ડોઇશેએ તે સ્પષ્ટપણે સ્વીકાર્યું નહીં પણ કહ્યું, "અમે એક મોટી ગડબડમાં જાણે કે ફસાઈ ગયા હતા." તેમણે સ્વીકાર્યું કે ભારતે એક ચોક્કસ પ્રકારની મૅચનું આયોજન કર્યું હતું અને બદલાતી પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધી શકાયું નહીં.
કોટકે એમ પણ કહ્યું, "જો બધું આયોજન મુજબ થયું હોત, તો વાત અલગ હોત. પણ એવું બન્યું નહીં."
હવે પ્રશ્ન મુખ્ય કોચ અને કૅપ્ટન બંનેને કરવાનો છે, જેમણે આ નિર્ણય લીધો.
ટુર્નામેન્ટ એવી યોજનાઓથી જીતી શકાતી નથી જે ફક્ત ત્યારે જ કામ કરે છે જ્યારે બધું સારું થાય. જીત એવી ટીમોને મળે છે જે સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ટકી શકે છે.
અક્ષર ફક્ત સ્પિન વિકલ્પ નથી. તે ટીમના સંતુલનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેણે અગાઉ કહ્યું હતું કે, "મને ટીમમાં અલગ અલગ ભૂમિકાઓ આપવામાં આવે છે, જે દર્શાવે છે કે મારા કામની જરૂર છે."
અક્ષરને બાકાત રાખીને, ભારતે તેની પ્લેઇંગ 11નાં ત્રણ પાસાંઓ પર સમાધાન કર્યું. આમાં મિડલ ઓવર્સમાં બૉલિંગ નિયંત્રણ, લૉઅર મિડલ ઑર્ડરમાં ટકાઉ બેટિંગ અને ડાબા અને જમણા હાથના બેટિંગ કૉમ્બિનેશનની સુગમતાનો સમાવેશ થાય છે.
આ બધું એક પાવરપ્લે પ્લાનને કારણે થયું જે 30 બૉલમાં જ અપ્રસ્તુત બની ગયું. આ ફક્ત પસંદગીની ભૂલ નહોતી, પરંતુ વિચારવાની ભૂલ હતી. ભારતની પસંદગી ક્રિકેટ મૅચ નહીં પણ 'મૅચ-અપ ચાર્ટ'ના આધારે કરવામાં આવી હતી.
અક્ષર પટેલ અંગે ઉઠાવવામાં આવી રહેલા મુદ્દા કરતાં વધુ ચિંતાજનક મુદ્દો ટીમ ઈન્ડિયાની સતત ખોટી રણનીતિઓ છે.
આ એવી માનસિકતા છે જે મૅચ શરૂ થયા પહેલાં જ રમતની સ્ક્રિપ્ટ લખી નાખે છે. તે સ્પષ્ટપણે સૂચવે છે કે ભવિષ્યવાણીઓ પર બનેલી પ્લેઇંગ ઇલેવનને બદલે અનુકૂલનશીલ માળખાની જરૂર છે.
દક્ષિણ આફ્રિકા સામે, આ એક કઠોર વાસ્તવિકતા સાબિત થઈ અને ભારતને કરો યા મરોની સ્થિતિમાં મૂકી દીધું.
બીજી તરફ, દક્ષિણ આફ્રિકાએ સ્પિન બૉલિંગથી શરૂઆત કરી. ભારતનો ડાબોડી ટૉપ ઑર્ડર ઝડપથી પડી ભાંગ્યો. વચ્ચેની ઑવરોમાં નિયંત્રણની જરૂર હતી. લક્ષ્યનો પીછો કરવા માટે ધીરજની જરૂર હતી. પરંતુ ભારતની પ્રખ્યાત બેટિંગ લાઇન-અપ આમાંથી કોઈ પણ કુશળતા દર્શાવવામાં નિષ્ફળ ગઈ.
આ બધી પરિસ્થિતિઓમાં અક્ષર પટેલ બેટ અને બૉલ બંને સાથે ખૂબ જ સુસંગત રહ્યા હોત. તેઓ 150 અને 187ના સ્કોર વચ્ચેના અંતરને પૂરવા માટેની વ્યક્તિ સાબિત થઈ શક્યા હોત.
અને તેનાથી પણ વધુ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે આ બધું અક્ષરના હોમગ્રાઉન્ડ, અમદાવાદમાં બન્યું હતું.
મોટેરા ટીમના અનોખા ગુણોને બહુ ઓછા ખેલાડીઓ સારી રીતે સમજે છે. ભારત પાસે એવા વિશ્વસનીય ઑલરાઉન્ડરોનો પણ અભાવ છે જેમની દરેક ઇનિંગ સાથે પિચમાં થોડો ફેરફાર થાય છે તેવી વિકેટો પર ઉપયોગી થઈ શકે.
અક્ષર પટેલને બહાર રાખવાના આ વિચાર અને નિર્ણયથી શું સામે આવ્યું?
આ હાર ઇતિહાસમાં દક્ષિણ આફ્રિકા સામે 76 રનની હાર તરીકે નોંધાશે. પરંતુ વાસ્તવિક કહાણી એ છે કે આ હાર કેવી રીતે લખવામાં આવી.
- મૅચની શરૂઆતમાં 20/3 થી ભારતે નિયંત્રણ બનાવી લીધું હતું એ ગુમાવ્યું.
- 187 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, ભારતીય ટીમ 111 રનમાં ઑલઆઉટ થઈ ગઈ.
- આ બંને નિષ્ફળતાઓના કેન્દ્રમાં એક ખૂટતી કડી હતી. એ ખેલાડી જે એક ઇનિંગમાં નિયંત્રણ અને બીજી ઇનિંગમાં સ્થિરતા પ્રદાન કરી શકે - અક્ષર પટેલ
છેવટે, તે ફક્ત એક ખેલાડીને પડતો મૂકવાનો મામલો નહોતો.
આ એક એવો મામલો હતો જેમાં મૅનેજમેન્ટ પોતાની ઓળખ અંગે મૂંઝવણમાં હતું: શું તે 'મૅચ-અપ-આધારિત ટી20 ટીમ' છે કે 'કન્ડિશન-રીડિંગ ક્રિકેટ ટીમ'?
જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી આવા નિર્ણયો ટીમને સતાવતા રહેશે.
કારણ કે મોટેરામાં તે દુઃખદ રાત્રે દર્શાવી દીધું કે જો બૅલેન્સ ખોટું હોય, તો નુકસાન મામૂલી નથી થતું, પરંતુ ટીમ ઈન્ડિયાના વિજયના માર્ગમાં મોટું સાબિત થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન