You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગૅસ છોડતી વખતે મોઢાંમાંથી દુર્ગંધ કેમ આવે છે, તમારાં આંતરડાં કઈ વાતનો સંકેત આપે છે?
આપણે સ્વસ્થ રહેવું હોય તો, સૌથી પહેલાં આપણું પાચનતંત્ર સ્વસ્થ હોવું જોઈએ.
અમે ગૅસ્ટ્રો-ઍન્ટેરોલૉજિસ્ટ બાસુમણિ સાથે બાળકો અને પુખ્ત વયના લોકોમાં પેટની સમસ્યાઓ વિશે વાત કરી. તેમની સાથેના સવાલ-જવાબ વાંચો.
સવાલઃ પેટમાં દુ:ખાવો થાય ત્યારે ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ?
જવાબઃ માનવીના પેટને પેન્ડોરા બૉક્સ સાથે સરખાવવામાં આવે છે. આપણે નથી જાણતા કે પેટમાં શું છે. રાતે વધારે પડતું ખાવું, સરખી રીતે પચ્યું ન હોય એવું બહારનું ભોજન, તથા અપચાના કારણે પેટમાં દુ:ખાવો થઈ શકે છે. ભૂખ ન લાગવી એ પણ સામાન્ય છે. રાહત માટે સોડા, લીંબુપાણી, છાશ, જીરું અને આદુનું સેવન કરવામાં કંઈ ખોટું નથી. પરંતુ પેટના દુ:ખાવા માટે 100થી વધારે કારણો હોઈ શકે છે.
સવાલઃ ડૉક્ટરને ક્યારે મળવું જોઈએ?
જવાબઃ અહીં જણાવ્યા પ્રમાણેની સ્થિતિ હોય તો ડૉક્ટરને મળવું જોઈએઃ
- જ્યારે દુ:ખાવાથી ઊંઘમાં ખલેલ પડે.
- કોઈ વિશેષ ભોજન લીધા વગર અચાનક પેટમાં દુ:ખાવો થાય
- ચાર પાંચ કલાક સુધી દુ:ખાવો રહે
- ચારથી પાંચ અઠવાડિયા સુધી આવો દુ:ખાવો રહે
- રોજે રોજ દુ:ખાવો વધતો જાય
- પીઠ સુધી દુ:ખાવો ફેલાઈ જાય
- વધારે પડતો થાક અને ચક્કર આવવા
- હિમોગ્લોબિનનું લેવલ ઘટી જાય
- શરીરમાં આયર્નની ઉણપ હોય
- સ્કૅન દરમિયાન પેટ કે લીવર સંબંધિત કોઈ સમસ્યા જોવા મળે, તો તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
સવાલઃ શું જમ્યા પછી તરત ધૂમ્રપાન કરવાથી તબિયતને લગતી સમસ્યા પેદા થાય છે?
જવાબઃ તમાકુ શરીરના દરેક અંગને અસર કરે છે. તે પગથી લઈને માથા સુધી દરેક ચીજ પર અસર કરે છે. તમાકુથી પેટ ખરાબ થાય છે, જેનાથી ભૂખ ઘટી જાય છે. જોકે, આંતરડાની માંસપેશીઓ શિથિલ થઈ જાય, તો અન્નનળીમાં ઍસિડ રિફ્લક્સની સમસ્યા વધી જાય છે. તેથી જમ્યા પછી ધૂમ્રપાન કરવું એ સારી વાત નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સવાલઃ સવારે ઉઠ્યા પછી લાળ ગળી શકાય?
જવાબઃ લાળમાં જીવાણુવિરોધી ગુણ હોય છે. તેમાં દર્દ નિવારક ગુણો પણ હોય છે. કોઈ બાળકને ઈજા થાય તો ઈજા થઈ હોય ત્યાં લાળ લગાવવાથી થોડી હદ સુધી ફાયદો થઈ શકે. તેનાથી દુ:ખાવો ઘટે છે અને તેમાં ઍન્ટિબાયૉટિક ગુણો પણ હોય છે.
લાળમાં સારા બૅક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય છે. તે હાનિકારક બૅક્ટેરિયાના વિકાસને રોકે છે. તેને પ્રતિસ્પર્ધાત્મક અવરોધ કહેવામાં આવે છે.
મોઢામાં બૅક્ટેરિયાની એક વિશાળ દુનિયા હોય છે. પરંતુ રાતે સુતી વખતે લાળનું ઉત્પાદન ઘટી જાય છે. સૂકું મોઢું એ હાનિકારક બૅક્ટેરિયા પેદા થવાનું કારણ બને છે. સવારે ઊઠીએ ત્યારે આપણા મોઢામાં હાજર બૅક્ટેરિયા સારા નથી હોતા. જોકે, તેને ગળી જવામાં કોઈ મોટી સમસ્યા નથી. પેટમાં પૂરતા પ્રમાણમાં ઍસિડ હોય, તો તે નષ્ટ થઈ જાય છે.
સવાલઃ શું પેટનાં અલ્સર અને મોઢાંનાં અલ્સર વચ્ચે કોઈ સંબંધ છે?
જવાબઃ આ વાત અડધી સાચી છે. આંતરડું એ માત્ર પેટનો એક હિસ્સો નથી. તેની લંબાઈ આઠ મીટર હોય છે. નાના આંતરડાના છેડા પર થયેલા એક નાનકડો ઘાવ પણ મોઢાંમાં હાજર બૅક્ટેરિયાથી અસર પામી શકે છે.
મોઢાંમાં ચાંદાં પડવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. કેટલાક ઑટોઇમ્યુન રોગ પણ હોઈ શકે છે. જેમ કે સિસ્ટમિક લ્યૂપસ ઍરિથેમેટોસસ અને લાઇકેન પ્લાન્સ જેવી સ્થિતિ, તેને પેટ સાથે કોઈ સંબંધ નથી હોતો. આવા મામલામાં પેટની સમસ્યાએ શ્વાસની દુર્ગંધનું કારણ બની શકે છે.
સવાલઃ પોતાનાં આંતરડાંને સ્વચ્છ રાખવા માટે મારે શું કરવું જોઈએ?
જવાબઃ આંતરડાંની તંદુરસ્તી આપણી ખાનપાનની આદતો અને જીવનશૈલી પર નિર્ભર કરે છે. જો તે યોગ્ય હશે, તો આંતરડાં જાતે જ પોતાની સંભાળ રાખશે.
રાતના સમયે આંતરડાં સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે. સૂતી વખતે તે પોતાને સ્વચ્છ કરે છે. જો આપણે ત્રણ કલાક સુધી કંઈ ન ખાઈએ તો નાના આંતરડામાં કઈં નથી હોતું. તેને જેજુનમ કહેવામાં આવે છે, એટલે કે આંતરડાં ખાલી હોવાં.
સવાલઃ આંતરડાંને તંદુરસ્ત રાખવાં માટે શું કરવું જોઈએ?
જવાબઃ આંતરડાંને તંદુરસ્ત રાખવાં આટલું કરી શકાય.
- સારી ઊંઘ લો, તણાવમુક્ત રહો.
- પ્રોસેસ્ડ ફૂડ પ્રૉડક્ટનું સેવન ન કરો.
- સંતુલિત આહાર લો, તમને પૂરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામીન ડી, આયર્ન અને ફાઇબર મળે તે સુનિશ્ચિત કરો.
- બિસ્કિટ, બર્ગર, પિત્ઝામાં શાકભાજીનું પ્રમાણ ઓછું હોય છે. ફાઇબરની કમી આંતરડાંની તંદુરસ્તી માટે નુકસાનકારક હોય છે.
તમે જો આ પદાર્થોનું વધારે પડતું સેવન કરતા હોવઃ
- ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ
- ખાવાનું ખાતી વખતે ઊલટી જેવું લાગવું
- આંતરડાંમાં સોજો
- આંતરડાંનું કૅન્સર
- પાર્કિન્સન્સ બીમારી
- ડિપ્રેશન
- સ્કીન ઍલર્જી
- સાંધામાં દુ:ખાવો થવાની સમસ્યા વધી શકે છે.
સવાલઃ પેટમાં દુર્ગંધ (ગૅસ) કેમ આવે છે? શું તે આંતરડાંની સમસ્યાના સંકેત છે?
જવાબઃ ફાઇબરના પાચન દરમિયાન ગૅસ પેદા થાય છે. હાઇડ્રોજન અને કાર્બન ડાયૉક્સાઇડ મુક્ત થાય છે. દબાણના કારણે મિથેન અને સલ્ફાઇડ મુક્ત થાય છે, જેનાથી દુર્ગંધ આવે છે.
કેટલાક બૅક્ટેરિયા આપણી ખાનપાનની આદતોના કારણે ઉછરે છે. કેટલાક ખાદ્ય પદાર્થો નિશ્ચિત રીતે મોઢાંની દુર્ગંધનું કારણ બને છે. આ ઉપરાંત, પેટની તંદુરસ્તી, ઊંઘ, તણાવ અને બૅક્ટેરિયા - આ બધાં પણ મોઢાંની દુર્ગંધનું કારણ બની શકે છે. સવારે ઊઠીએ ત્યારે ગૅસ થવો એ સામાન્ય બાબત છે.
જો તમે દિવસમાં 20 કે 30 વાર કરતાં વધુ વખત મોટા અવાજ સાથે ગૅસ પાસ કરો છો, તો તમારે વિચારવું જોઈએ કે આંતરડાંના બૅક્ટેરિયામાં કેમ ફેરફાર આવ્યો છે. તમને ખબર હોવી જોઈએ કે શું તે ભોજનના કારણ છે કે પછી બીજાં કોઈ કારણોથી. તમારે તેનો ઉકેલ શોધવો જોઈએ.
સવાલઃ શું વાસી દહીં-ભાત આરોગ્ય માટે સારાં છે?
જવાબઃ ચોક્કસ. હું દહીં-ભાતને 10માંથી 10 ગુણ આપીશ. તે એક પૌષ્ટિક ભોજન છે. તેમાં પ્રોબાયૉટિક્સ હોય છે. જોકે, તેને વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો પચાવવામાં મુશ્કેલી પડી શકે છે. તેમાં કૅલેરી અને શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. આમ છતાં તેને મર્યાદિત પ્રમાણમાં જ ખાવાં જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન