You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દૃષ્ટિકોણ : શા માટે ત્રણ લાખ ખેડૂતોની આત્મહત્યા છતાંય દેશ જાગતો નથી?
- લેેખક, યોગેન્દ્ર યાદવ
- પદ, અધ્યક્ષ, સ્વરાજ ઇંડિયા
- વાંચવાનો સમય: 3 મિનિટ
હાલ સંસદમાં બે કાનૂન પડતર છે. આ બંને પ્રાઇવેટ મેમ્બર બિલ છે. તેને અમે રજૂ કર્યા હતા. અમે ઇચ્છીએ છીએ કે લોકસભા ચૂંટણી પહેલાં તેને મંજૂરી મળી જાય.
પ્રથમ બિલ કહે છે કે ખેડૂતોને પોતાના પાકની ન્યૂનતમ કિંમત કાનૂની ગૅરંટી રૂપે મળે. વર્તમાન વ્યવસ્થામાં આ બાબત સરકારની દયા પર નિર્ભર કરે છે કે ખેડૂતોને કેટલી કિંમત આપવી.
ચૂંટણી પહેલા જાહેરાત કરી દેવાય છે, પણ તેમને આ કિંમત મળે ન મળે એ સુનિશ્ચિત નથી થઈ શકતું.
બીજું બિલ કરજમાં ડૂબેલાં હોય એવા ખેડૂતોને એક વાર તેમાંથી મુક્ત કરાવવામાં આવે, જેથી તેઓ એક નવી શરૂઆત કરી શકે.
અમે ઇચ્છીએ છીએ કે સરકાર આ બન્ને કાનૂન સંસદમાં પાસ કરાવે.
આ દેશમાં તમામ પ્રકારની સરકારો આવી હતી. સારી, ખરાબ. જોકે, વર્તમાન સરકાર જેટલી જૂઠ્ઠી સરકાર નથી આવી.
નરેન્દ્ર મોદી સરકાર સ્પષ્ટ જૂઠ્ઠું બોલે છે. તે નારો ઇચ્છે છે કે ખેડૂતોની આવક બમણી કરી દેશે.
સરકારનો કાર્યકાળ પૂરો થવા આવ્યો છે અને અત્યાર સુધી તેમને એટલી પણ ખબર નથી કે ખેડૂતોની આવક વધી છે કે ઘટી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારની એક ઉપલબ્ધિ છે કે પાક વીમા યોજનામાં સરકારનો ખર્ચ સાડા ચાર ગણો વધી ગયો છે, પરંતુ તેની અંતર્ગત આવનારા ખેડૂતોની સંખ્યા વધી નથી.
પાક વીમા યોજના હેઠળ ખેડૂતો દ્વારા થયેલા દાવાની સંખ્યા આ સરકારના કાર્યકાળમાં ઘટી ગઈ છે. સરકાર કહે છે એમએસપી (ટેકાના ભાવ)માં દોઢગણી વૃદ્ધિ કરી છે, એ વાત તદ્દન જૂઠ્ઠી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ખરાબ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર?
ખેડૂતોની આજે જે હાલત છે તેના માટે કોઈ એક સરકારને જવાબદાર ઠેરવવી યોગ્ય નથી.
છેલ્લા 70 વર્ષોમાં કોંગ્રેસે સૌથી વધુ સત્તાનું સુખ ભોગવ્યું છે, પરંતુ દેશના ભોળા ખેડૂતોને બીમાર બનાવીને હૉસ્પિટલમાં દાખલ કરાવી દીધા.
વળી મોદી સરકારે આ બીમાર ખેડૂતોને હૉસ્પિટલમાંથી સીધા આઇસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ)માં પહોંચાડી દીધા. ખેડૂતોને આ આઈસીયુમાંથી બહાર કાઢવા એક મોટો પડકાર છે.
ખેડૂતોની સમસ્યાનો ઉકેલ ઉપર ઉલ્લેખવામાં આવેલા માત્ર બે કાનૂન નથી, પણ તેનાથી તેમને રાહત જરૂર મળી શકે છે.
આ બે બિલ જો પસાર થઈ જાય તો જે ખેડૂતોનું નાક પાણીમાં ડૂબેલું છે, તેમાંથી બહાર આવી જશે. આથી વાસ્તવિકતા એ છે કે આ બે કાનૂન બની જાય તો પણ તેઓ પાણીમાંથી એકદમ બહાર આવી નહીં શકશે.
સ્થાયી ઇલાજ અર્થવ્યવસ્થાને બદલવાથી થશે. દેશમાં જે સિંચાઈની વ્યવસ્થા છે તેને બદલવાની જરૂર છે. ખેતીની પદ્ધતિઓને બદલવાની જરૂર છે.
ખેડૂતો સામેના પડકારો
ભારતીય ખેતી ત્રણ પ્રકારના સંકટનો સમાનો કરી રહી છે.
પ્રથમ - ખેતી નુકસાનનો વ્યવસાય બની ગઈ છે. વિશ્વનો કોઈ પણ વ્યવસાય નુકસાનમાં નથી જતો, પણ ખેતી દર વર્ષે નુકસાન જ કરાવતી થઈ છે.
બીજું - ઇકૉલૉજીકલ સંકટ. પાણી જમીનથી ઘણે ઊંડું જતું રહ્યું છે. માટી ઉપજાઉ નથી રહી અને જળવાયુ પરિવર્તન ખેડૂતો પર સીધું દબાણ સર્જી રહ્યું છે.
ત્રીજું - ખેડૂતોના અસ્તિત્વનું સંકટ. ખેડૂત હવે ખેતી કરવા માંગતા નથી. હું દેશના ગામે ગામ ગયો છું અને મને એક પણ ખેડૂત એવો ન મળ્યો જે પોતાની દીકરાને ખેડૂત બનાવવા માંગતો હોય.
ખેડૂતો પલાયન કરી રહ્યા છે. આત્મહત્યા કરી રહ્યા છે. પાછલા વીસ વર્ષોમાં ત્રણ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
આ ભારતમાં જ શક્ય થઈ શકે કે ખેડૂત આત્મહત્યા કરી રહ્યા હોય અને કોઈને ફરક ન પડે. કોઈ બીજો દેશ હોત તો ત્યાંની સરકાર હચમચી ઊઠી હોત.
ખેડૂતો રોષમાં કેમ છે?
તેઓ પહેલાથી જ દુખમાં જ હતા. પંરતુ છેલ્લા બે વર્ષના દુકાળના લીધે તેઓ અંદરથી ભાંગી ગયા છે. ત્યાર પછી જ્યારે પાક સારો થયો તો તેની કિંમત ઘટી ગઈ.
તેમને વાજબી કિંમતો નહીં મળી. ત્યારે તેમને ગુસ્સો આવ્યો કે તેમની સાથે આ શું થઈ રહ્યું છે. આ જ કારણે ખેડૂત આંદોલન કરતા થયા છે.
દેશભરના ખેડૂત સંગઠનો એક સાથે આવ્યા તે મોટી ઘટના છે. ઐતિહાસિક છે. આંદોલનમા આ પ્રકારના સંગઠનો સાથે છે. લાલ ઝંડો, પીળો, લીલો અને દરેક પ્રકારના ઝંડા સાથે છે.
પ્રથમ વખત દેશભરના ખેડૂત સાથે આવી રહ્યા છે. પ્રથમ વખત મધ્યમ વર્ગ તેમને પોતાનું સમર્થન આપી રહ્યો છે. ડૉક્ટર, વકીલ, સામાન્ય લોકો પણ તેમને ટેકો આપી રહ્યા છે.
ખેડૂતોના અવાજમાં આજે જે મજબૂતી છે તેનાથી આશા જાગી છે કે કંઈક નક્કર પરિણામ જરૂરથી આવશે.
(બીબીસી સંવાદદાતા શકીલ અખ્તર સાથેની વાતચીત પર આધારિત. આ લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના પોતાના વિચાર છે. તેમાં સામેલ તથ્યો અને વિચાર બીબીસીના નથી અને બીબીસી તેની કોઈ જવાબદારી નથી લેતું.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો