You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોપાલ ઈટાલિયા : ગૃહમંત્રી પર જૂતું ફેંકવાથી ગુજરાત આપના અધ્યક્ષ બનવા સુધીની સફર
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 7 મિનિટ
આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની દિલ્હી ખાતેના નેશનલ કમિશન ફૉર વિમૅન (NCW)ની ઑફિસેથી 13 ઑક્ટોબરના રોજ દિલ્હી પોલીસે અટકાયત કરીને સાંજે મુક્ત કરી દીધા હતા.
NCW દ્વારા ગોપાલ ઈટાલિયાને તાજેતરમાં વાઇરલ થયેલ એક વીડિયો અંગે નોટિસ ફટકારાઈ હતી.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સામે આવેલ એક વીડિયોમાં કથિતપણે ગોપાલ ઈટાલિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે 'વાંધાજનક ભાષા'નો પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો.
આ વાતનું સ્વસંજ્ઞાન લઈ NCW દ્વારા ગોપાલ ઈટાલિયાને નોટિસ ફટકારાઈ હતી. જેમાં વીડિયોની ભાષા 'જાતિ અંગે પૂર્વગ્રહવાળી, સ્ત્રીઓ પ્રત્યે ઘૃણા ધરાવતી, વાંધાજનક' હોવાની વાત કરાઈ હતી. આ મામલાની સુનાવણી ગુરુવારે રાખવામાં આવી હતી.
ગુરુવારે ઈટાલિયાએ ટ્વીટ કરીને પોતાને 'ધરપકડ'ની ધમકી અપાઈ રહી હોવાની વાત કરી હતી.
ગોપાલ ઈટાલિયાને દિલ્હી પોલીસે અટકમાં લીધા બાદ સાંજે મુક્ત કર્યા હતા. ઈટાલિયાએ આ અટકાયતને તેમની સામે ભારતીય જનતા પક્ષની રાજકીય કિન્નાખોરી અને ભાજપનું પાટિદાર વિરોધી વલણ જણાવ્યું હતું.
આ સમગ્ર મામલે દિલ્હી આપના કાર્યકર્તાઓએ NCWની ઑફિસે વિરોધપ્રદર્શન પણ કર્યું હતું.
હવે આ વિવાદના કારણે ગોપાલ ઈટાલિયા ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થકી રાજ્યના રાજકારણમાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો હતો અને ઘણી બેઠકો જીતી છે. આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીઓ અગાઉ પ્રદેશ પ્રમુખનું પદ ગોપાલ ઈટાલિયાને આપ્યું હતું.
ગોપાલ ઈટાલિયા સોશિયલ મીડિયા પર કેટલાક રાજકીય મુદ્દાઓ અને જનજાગૃતિ અભિયાનો ચલાલવા માટે જાણીતા છે.
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં 23 ફેબ્રુઆરીના રોજ પરિણામ આવ્યાં હતાં, જેમાં ભાજપ ભલે આગળ હતો પરંતુ આમ આદમી પાર્ટીને પણ જનતાનું સમર્થન મળ્યું હતું.
આ સાથે જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના ગઢ ગણાતા સુરતમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો. અહીંથી ભાજપને વિધાનસભા ચૂંટણીમાં પણ જીત મળી હતી.
આમ આદમી પાર્ટીના વિજય માટે એવું માનવામાં આવે છે કે તેણે ભાજપ અને કૉંગ્રેસ બંનેના મતમાં ગાબડું પાડ્યું હતું.
સ્થાનિક પત્રકાર ધર્મેશ અમીને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "સુરતના લોકોને ત્રીજો વિકલ્પ મળી ગયો છે."
"સુરતમાં આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસના મોટા વોટ શૅરને તોડ્યો છે. એવું નથી કે આનાથી માત્ર કૉંગ્રેસને નુકસાન થયું છે પરંતુ ભાજપને પણ નુકસાન થયું છે."
ઉલ્લેખનીય છે કે એક સમયે ખેડૂતનેતા અને કર્મશીલ કનુભાઈ કલસરિયા જેવું નેતૃત્ત્વ મળ્યું હોવા છતાં આમ આદમી પાર્ટી હજી ગુજરાતમાં જગ્યા બનાવી શકી ન હતી અને ગુજરાતની રાજનીતિ ભાજપ-કૉંગ્રેસ વચ્ચે જ ચાલતી આવી છે.કૉંગ્રેસના વડપણ હેઠળની યુપીએ સરકારના લોકપાલના રાજકીય આંદોલનમાંથી 'આમ આદમી પાર્ટી' ઊભી થઈ હતી. એ સમયે તેમાં સિવિલ સોસાયટીના ઘણા નેતાઓ સક્રિય હતા. એ આંદોલન બાદ પાર્ટીએ દિલ્હીમાં કૉંગ્રેસને હરાવી દીધી હતી.'આપ' પાર્ટીની નજર હવે યુવા નેતા ગોપાલ ઈટાલિયાને કમાન સોંપ્યા બાદ ગુજરાતમાં ત્રીજો વિકલ્પ બનવા તરફ છે.
કોણ છે ગોપાલ ઈટાલિયા?
ગોપાલ ઈટાલિયા મૂળ ભાવનગરના વતની છે. તેમણે કૉલેજનું શિક્ષણ અમદાવાદમાંથી લીધું છે અને પૉલિટિકલ સાયન્સમાં ડિગ્રી લીધી છે.
હાલ હવે તેઓ સુરતમાં રહે છે અને રાજનીતિમાં સક્રિય છે. સુરતમાં ઘણા યુવાનો અને રહીશો તેમને એક ઍક્ટિવિસ્ટ તરીકે ઓળખે છે. સુરતના વરાછા-કતારગામ વિસ્તારના યુવાઓમાં તેમનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે.
સોશિયલ મીડિયામાં પણ ગોપાલ ઈટાલિયાના ઘણા ફૉલોઅર્સ છે. અનેક વાર તેઓ સમયે સમયે સત્તાપક્ષ ભાજપની નીતિઓ અને કૉંગ્રેસ પક્ષ સંબંધિત બાબતો પર શાબ્દિક પ્રહાર કરતાં પણ જોવા મળ્યા છે.
ગુજરાતમાં એલઆરડી પરીક્ષા વિવાદ વખતે તેમણે પ્રદર્શનકર્તા યુવાઓને સમર્થન આપ્યું હતું.
રાજકારણમાં ઝંપલાવ્યું તે પૂર્વે તેઓ એક સરકારી કર્મચારી હતા અને ત્યાર બાદ એક સામાજિક કાર્યકર્તા તરીકે સક્રિય રહ્યા હતા.
નોકરીની સાથે ડિગ્રી મેળવી
બીબીસી સાથેની વાતચીતમાં ગોપાલ ઈટાલિયા તેમની સફર વિશે જણાવ્યું હતું કે, "રાજનીતિ અને જાહેર બાબતોમાં ઝંપલાવ્યું તે પહેલાંના જીવનની વાત કરું તો, 12મા ધોરણના શિક્ષણ પછી હું વધુ ભણી નહોતો શક્યો. કારણ કે મારા પર ઘણી જવાબદારી હતી. એટલે મેં ઘણા પ્રકારની નોકરી કરી. વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓ કરી."
"પછી હું લોકરક્ષક દળમાં જોડાયો અને ત્યાં મને મહત્ત્વાકાંક્ષા જાગી કે હવે હું હજી સારા પદ પર કામ કરું. પણ એના માટે શિક્ષણ ઓછું પડ્યું. એટલે નોકરીની સાથે સાથે મેં ડિગ્રી મેળવી. આ દરમિયાન હું શાસનવ્યવસ્થા સંબંધિત વિષયોથી પરિચિત થતો ગયો હતો એટલે જ મેં ડિગ્રી પણ પૉલિટિકલ સાયન્સની લીધી."
"એ પછી અમદાવાદ કલેક્ટર ઑફિસમાં ક્લાર્ક તરીકે નોકરી મળી. પછી મારી બદલી ધંધૂકા થઈ. અને તે મારી છેલ્લી નોકરી હતી."
જ્યારે ગોપાલ ઈટાલિયાએ ગુજરાત સરકારના મંત્રી પર ચંપલ ફેંક્યું...
ગોપાલ ઈટાલિયાએ વર્ષ 2017માં નીતિન પટેલને રાજ્યમાં પ્રૉહિબિશનના કાયદાના નબળા અમલીકરણ માટે એક ફોન કૉલ કર્યો હતો. આ ફોન કૉલનો ઓડિયો વાઇરલ થયો હતો. જોકે આના કારણે ગોપાલ ઈટાલિયા સામે કાર્યવાહી પણ થઈ હતી.
આ વિવાદને પગલે ગોપાલ ઈટાલિયા એકાએક સોશિયલ મીડિયાથી લઈને જાહેર બાબતોમાં એક ચર્ચિત નામ બની ગયા હતા.
તેમણે ગુજરાત વિધાનસભાની બહાર ગુજરાતના તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચંપલ પણ ફેંક્યું હતું. રાજ્યમાં ભ્રષ્ટાચારની સ્થિતિ મામલે વિરોધ દર્શાવવા આવું કર્યું હોવાનું તેમણે કહ્યું હતું. આ ઘટના પછી તેઓ ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા હતા અને તેમની સામે કેસ થયો હતો.
'રાજકારણ ગંદું છે એવી માન્યતા બની ગઈ છે'
તેમની સફર અને રાજનીતિની વિચારધારા વિશે વધુમાં ગોપાલ ઈટાલિયા જણાવ્યું હતું કે,"ખરેખર શાસન વ્યવસ્થા પ્રત્યે લોકોમાં એક માન્યતા બની ગઈ છે કે રાજકારણ ગંદુ અને વિવાદિત હોય છે. પણ મારું માનવું છે કે જો સારા લોકો તેમાં આવશે જ નહીં તો પછી ખરાબ માણસો તેનો ગેરફાયદો ઉઠાવતા જ રહેશે."
"એટલે હું લોકોને જાગૃત કરી તેમને શાસન વ્યવસ્થાનો વધુથી વધુ ભાગ બનાવવા માટે કોશિશ કરતો રહ્યો. હવે પાર્ટીએ મને એક મોટી જવાબદારી આપી છે, તો તેને નિભાવીશ."
ગોપાલ ઈટાલિયા રાજ્યમાં વિવિધ સ્થળોએ અને સોશિયલ મીડિયા થકી 'કાયદા કથા' નામે કાર્યક્રમો કરીને પણ ચર્ચામાં આવ્યા. જેમાં તેમણે વિવિધ કાયદાઓ અને બંધારણ વિશે લોકોને માહિતગાર પણ કરવાની કોશિશ કરી.
ગોપાલ ઈટાલિયા સામે કેટલાક કેસ પણ ચાલી રહ્યા છે. આ અંગે તેમણે કહ્યું હતું કે આ પ્રકારના કેસ રાજનીતિથી પ્રેરિત હોય છે.
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન અને ઊના દલિત આંદોલન બાદ જે કેટલાક યુવા ચહેરાઓ આક્રમક રીતે સરકારની સામે આવ્યા તેમાં હાર્દિક પટેલ, હાલ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને છેલ્લે રાજકારણમાં આવનાર ગોપાલ ઈટાલિયા હતા.
એક સમયે પાટીદાર અનામત આંદોલનનો જુવાળ હતો ત્યારે હાર્દિક પટેલનું જબરદસ્ત ફેન-ફૉલોઈંગ હતું. હાર્દિકના એક અવાજ પર હજારો પાટીદાર યુવાનો શેરીઓમાં ઊતરી આવતા હતા. આ રીતે જ ગોપાલ ઈટાલિયાનું પણ સોશિયલ મીડિયા પર ફેન-ફૉલોઈંગ છે.
ગોપાલ ઈટાલિયાએ યુવાનોમાં લોકપ્રિયતા મેળવી છે પરંતુ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા એ પછી તેઓ જે રીતે ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે તે તેમના અગાઉનાં નિવેદનો અને વર્તનથી અલગ છે એવો આરોપ પણ અનેક યુવાનો સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે.
ગુજરાતમાં નવો રાજકીય વિકલ્પ?
પોતાની રાજનીતિ અને વિચારો વિશે જણાવતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, "સરકારમાં બેઠેલા લોકો જે કામ કરવા જોઈએ તે કરે નહીં અને તેમની પ્રાથમિકતાઓ બીજી હોય તો સમસ્યા સર્જાય છે. રાજનીતિમાં ઉમદા કાર્ય માટે જોડાઓ તો તેનાથી વ્યવસ્થા સુધરે છે."
"વળી સારા ઉમદા હેતુ સાથે જોડાવ તો બધા લોકો આપોઆપ તમારી સાથે જોડાવા લાગે છે. કેમ કે રાજકીય પક્ષો અને નેતા આવશે અને જશે પણ શાસનવ્યવસ્થા અને જનતા હંમેશાં રહેવાની જ છે."
જોકે કેટલાક નિરીક્ષકોનું કહેવું છે કે ગોપાલ ઈટાલિયા માત્ર સૌરાષ્ટ્રનો સમુદાય ધરાવતા ક્ષેત્રોમાં જ સક્રિય રહે છે.
આ મામલે જવાબ આપતાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે,"વ્યક્તિ જ્યાં રહેતો હોય ત્યાંની સમસ્યાને વાચા આપવી અને તેના માટે કામ કરે એ સ્વાભાવિક છે. આજુબાજુની સમસ્યાઓને અવગણી ન શકાય."
"વળી આજે હું બનાસકાઠાંમાં છું. સુરતથી દૂર છું. એટલે હું ગુજરાતમાં તમામ સ્થળોએ તમામ લોકો સાથે સંપર્ક સાધી તેમને જાગૃત કરવાની કોશિશ કરું છું. શાસનવ્યવસ્થામાં રહેલી સમસ્યાઓ દૂર કરીને પ્રજાને નવો રાજકીય વિકલ્પ આપવા હું હંમેશાં કાર્યરત છું. એટલે એ સ્પષ્ટ છે કે હું કોઈ એક જ સમુદાય માટે કામ નથી કરતો."
કેજરીવાલે ગુજરાતની કમાન ગોપાલ ઈટાલિયાને કેમ સોંપી?
ઉપરાંત રાજકીય વિષ્લેષકોનું કહેવું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ત્રીજા વિકલ્પ તરીકે સામે આવવા માટે હજુ ઘણી મહેનત કરવી પડશે. તેમનું એવું પણ માનવું છે કે ગોપાલ ઈટાલિયા ગુજરાતમાં કેજરીવાલ માટે મહત્ત્વના પુરવાર થઈ શકે છે.
રાજકીય આલમમાં ચર્ચાઓ પણ હતી કે ગોપાલ ઈટાલિયાની લોકપ્રિયતામાં થતો વધારો અને તેમની રાજનીતિની સ્ટાઇલને કારણે કેજરીવાલે તેમને પાર્ટીની કમાન સોંપી હતી.
ગોપાલ ઈટાલિયા યુવા નેતા છે અને લોકપ્રિય પણ છે. એટલે પાર્ટીએ ગુજરાતમાં જમીન તૈયાર કરવા માટે આ વખતે યુવા નેતાની પસંદગી કરી હતી.
'રાજકારણી કરતાં ઍક્ટિવિસ્ટ વધુ'
બીબીસીએ ગોપાલ ઈટાલિયા સાથે જ એક સમયે કામ કરી ચૂકેલા સુરતના ઍક્ટિવિસ્ટ અજય જાંગીડ સાથે પણ વાતચીત કરી હતી.
ગોપાલ ઈટાલિયા વિશે વાત કરતાં તેઓ કહે છે,"ગોપાલ ઈટાલિયા સાથે આરટીઆઈના એક સેમિનારમાં મુલાકાત થઈ હતી. પછી ઘણી વખત મુલાકાતો થઈ અને સાથે કેટલુંક કામકાજ કરવાનું થયું."
"તે અભ્યાસુ છે અને વાંચન પણ સારું કરે છે. તેમને અધિકારોનું સારું નૉલેજ છે. અમે એક વાર શિયાળાની ઠંડીમાં એક કાર્યક્રમ કર્યો હતો તેમાં 4000 લોકો સાંભળવા આવ્યા હતા. એટલી ઠંડીમાં પણ લોકોએ એમનું ભાષણ સાંભળ્યું હતું. કેમ કે તેઓ શિક્ષિત છે અને સારા વક્તા પણ છે. યુવાઓમાં લોકપ્રિયતા ધરાવે છે. પરંતુ હજુ મને તેઓ એક રાજકારણી કરતાં ઍક્ટિવિસ્ટ વધુ લાગે છે."
જાંગીડ કહે છે કે "તેમણે ભૂતકાળમાં કરેલી કેટલીક બાબતો તેમના રાજકીય વિરોધીઓને ફાયદો અપાવી શકે છે. જેમ કે ચંપલ ફેંકવાનો વિવાદ અને ધાર્મિક મામલે આપેલા કેટલાક નિવેદનો. આ બધુ રાજકારણમાં તેમની છબિ બને તે પહેલાં જ તેને નુકસાન કરવામાં અથવા તો કારકિર્દીમાં અવરોધ બનવામાં ભૂમિકા ભજવી શકે છે."
અજય જાંગીડે વધુમાં જણાવ્યું હતું કે, "સુરતમાં વરાછા-કતારગામ વિસ્તારોમાં યુવાઓ ગોપાલ (ઈટાલિયા)ને પસંદ કરે છે. તેઓ તેને સોશિયલ મીડિયામાં ફૉલો પણ કરે છે."
પરંતુ શું ફૅન-ફૉલોઇંગ ધરાવનાર અને ઍક્ટિવિસ્ટ તરીકેની છબિ ગોપાલ ઈટાલિયા અને આમ આદમી પાર્ટીને મત અપાવી શકશે?
આ વિશે જવાબ આપતાં અજય જાંગીડે કહ્યું હતં કે, "ગુજરાતમાં સત્તાપક્ષ ભાજપ અને તેનું સંગઠન મજબૂત છે. એટલે સૌપ્રથમ તો ગોપાલ ઈટાલિયા માટે આ સૌથી મોટો પડકાર છે. વળી સુરત શહેરમાં તે કદાચ ચૂંટણીઓમાં અસર કરી શકે. પરંતુ ગ્રામ્ય સ્તરે હજુ પણ તેમણે ઘણું કામ કરવું પડશે."
ગોપાલ ઈટાલિયાનો દાવો હતો કે તેઓ રાજનીતિમાં એક ઉમદા લક્ષ્ય સાથે આવ્યા છે અને રાજ્યમાં સંગઠનને મજબૂત કરવા તેઓ હવે કમર કસી રહ્યા છે. તેઓ રાજકીય શાસનપ્રણાલી મામલે યુવાઓ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવા માગે છે.
દેશના રાજકારણ આમ આદમી પાર્ટીને તેના ઉદયની સાથે જ 'ભાજપની બી ટીમ' ગણાવવામાં આવતી રહી છે.
ગુજરાતના રાજકારણમાં વિપક્ષ કૉંગ્રેસ સતત નબળી પડતી દેખાય છે અને આમ આદમી પાર્ટીની નજર ચોક્કસપણે જનતાની નજરમાં ત્રીજો વિકલ્પ બનવા તરફ છે ત્યારે આગામી ચૂંટણી વધારે રસપ્રદ બનવાની છે તેમાં કોઈ બેમત નથી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો