You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
થૉમસ કપ : ભારતે થૉમસ કપમાં 73 વર્ષનો ઇતિહાસ બદલ્યો, બૅડમિન્ટન ચૅમ્પિયન ટીમને પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
બૅડમિન્ટન ચૅમ્પિયનશિપ થૉમસ કપમાં ઇતિહાસ રચનારી ભારતની બૅડમિન્ટન ટીમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે.
વડા પ્રધાન મોદીએ લખ્યું છે કે "ભારતીય બૅડમિન્ટન ટીમે ઇતિહાસ રચ્યો છે. આખો દેશ થૉમસ કપમાં ભારતની જીતથી ખુશ છે. વિજયી ટીમને અભિનંદન અને ભવિષ્યના પ્રયાસો માટે શુબેચ્છાઓ. આ વિજયથી કેટલાક નવા ખેલાડીઓને પ્રેરણા મળશે."
થૉમસ કપના 73 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતે જીત મેળવી છે.
અત્યાર સુધી માત્ર છ દેશોએ જ થૉમસ કપ જીત્યો છે.
ફાઇનલમાં કોઈ મૅચ હાર્યા વિના ભારતીય બૅડમિન્ટન ખેલાડીઓએ કપ મેળવ્યો છે. ભારતે ફાઇનલમાં ઇન્ડોનેશિયાને હરાવ્યું છે. ભારતે પ્રથમ વખત થૉમસ કપ જીત્યો છે.
ભારત પ્રથમ વખત થૉમસ કપના ફાઇનલમાં પહોંચ્યું હતું. અને ભારતનો સામનો ઇન્ડોનેશિયા સામે હતો જે 14 વખતની ચૅમ્પિયન ટીમ છે.
ચીને આ ટુર્નામેન્ટ દસ વખત અને મલેશિયાએ પાંચ વખત જીતી છે. ડેનમાર્ક અને જાપાન પછી હવે ભારત પણ આ કપના વિજાતઓમાં સામેલ થઈ ગયું છે.
થૉમસ કપના ફાઇનલમાં ભારતને બમણી જીત મેળવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લક્ષ્ય સેનની જીત બાદ અત્યારે મેન્સ ડબલ્સની મૅચમાં સાત્વિકસાઇરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ ઇંડોનેશિયાના મોહમ્મદ અહસન અને કેવિન સંજયા સુકામુલિજોને હરાવ્યા છે.
ભારતના લક્ષ્ય સેને પહેલી મૅચમાં ઍન્થની ગિન્ટિંગને 8-21. 21-17, 21-16થી હરાવ્યા હતા.
અન્ય મૅચમાં ભારતના સાત્વિક અને ચિરાગે ઇન્ડોનેશિયના અહસન અને સુકામુલજોને 18-21, 23-21, 21-19થી હરાવ્યા હતા.
કિદામ્બી શ્રીકાંતે ત્રીજી મૅચમાં ઇન્ડોનેશિયાના જોનાટન ક્રિસ્ટીને 21-15, 23-21થી હરાવીને 3-0થી થૉમસ કપ જીત્યો હતો.
થૉમસ કપના 70 વર્ષના ઇતિહાસમાં ભારત ક્યારેય ફાઇનલમાં પહોંચ્યું ન હતું. ભારત આ વર્ષ ફાઇનલમાં પહોંચ્યું અને કપ જીત્યું છે.
પાકિસ્તાનમાં બે શીખો પર ગોળીબાર, ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું
પાકિસ્તાનના પેશાવર ખાતે સરબંદ વિસ્તારમાં શીખ સમુદાયના બે લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
આ બંને લોકો સરબંદના બાટા તાલ બજારમાં મસાલાની દુકાન ચલાવતા હતા. અજ્ઞાત હુમલાખોરોએ 42 વર્ષના સરજીતસિંહ અને 38 વર્ષના રણજીતસિંહ પર ગોળીબાર કર્યો અને બંનેનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું.
આ મામલામાં અજ્ઞાત હુમલાખોરોની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફે શીખ સમુદાયના લોકોની હત્યા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "ખૈબર પખ્તુનખ્વાહના પેશાવરમાં અમારા શીખ નાગરિકોની હત્યાની આકરી ટીકા કરું છું. પાકિસ્તાન પર તેના બધા જ નાગરિકોનો અધિકાર છે. તથ્યોની ઉચ્ચ સ્તરની તપાસનો આદેશ અપાયો છે. કાતિલોની ધરપકડ કરવામાં આવશે અને તેમને સજા કરાશે. શોકસંતપ્ત પરિવારને મારી સંવેદનાઓ."
પાકિસ્તાનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાણા સનઉલ્લાહે પેશાવરમાં બે પાકિસ્તાની શીખોનાં મૃત્યુની ઘટનાને વખોડી કાઢી છે.
તેમણે ખૈબર પખ્તુન્વાના ચીફ સૅક્રેટરી અને પોલીસ અધીક્ષકને આ ઘટનાની તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.
તેમણે કહ્યું હતું કે ખૈબર પખ્તુન્વા લઘુમતી સમુદાયને સાચવવામાં નિષ્ફળ સાબિત થયું છે.
આ ક્ષેત્રમાં અગાઉ પણ શીખ સમુદાયના લોકોની હત્યાના બનાવ સામે આવ્યા છે.
રાણા સનઉલ્લાહે કહ્યું, "ક્ષેત્રની સરકાર અને પોલીસે લઘુમતી સમુદાયના પાકિસ્તાની નાગરિકોની સુરક્ષાની તકેદારી રાખવી જોઈએ. રણજીતસિંહ અને કંવલસિંહના હત્યારાઓને વડા પ્રધાનના આદેશ અનુસાર જલદીથી પકડવામાં આવશે."
આ સાથે તેમણે મૃતકોના પરિવારને સાંત્વના આપી હતી અને તેમને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર તેમના હત્યારાને ઝડપથી પકડીને તેમને ન્યાય અપાવશે.
ગૌતમ અદાણી રાજ્યસભા જશે એવા સમાચારો પર અદાણી સમૂહે શું કહ્યું?
અદાણી સમૂહે એ મીડિયા રિપોર્ટનું ખંડન કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગૌતમ અદાણી કે તેમનાં પત્ની ડૉ. પ્રીતિ અદાણીને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે.
રાજ્યસભાની 57 બેઠક માટે 10 જૂને ચૂંટણી થવાની છે.
અદાણી સમૂહે એક નિવેદન જાહેર કરીને રાજ્યસભાની સીટ મળવાના દાવાને ખોટો ગણાવ્યો છે.
નિવેદનમાં કહેવાયું, "અમને મળેલા સમાચારમાં એવો દાવા કરાઈ રહ્યો છે કે ગૌતમ અદાણી કે ડૉ. પ્રીતિ અદાણીને રાજ્યસભાની સીટ મળી શકે છે. આ સમાચાર સંપૂર્ણ ખોટા છે. આવા સમાચાર જ્યારે રાજ્યસભાની સીટો ખાલી હોય છે ત્યારે હંમેશાં આવે છે."
"એ દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકો પોતાનાં હિત માટે અમારાં નામનો આવા અટકળવાળા સમાચારોમાં ઉપયોગ કરે છે. ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી અને અદાણી પરિવારના કોઈ સભ્યને રાજકારણમાં કારકિર્દી બનાવવા કે કોઈ રાજકીય પાર્ટીમાં સામેલ થવાની રુચિ નથી."
માણિક સાહા ત્રિપુરાના નવા મુખ્ય મંત્રી બન્યા
ડૉક્ટર માણિક સાહાએ ત્રિપુરાના નવા મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.
ત્રિપુરામાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે અને એ પહેલાં ભાજપે રાજ્યના નેતૃત્વમાં ફેરફાર કર્યો છે.
બિપ્લવ દેવે જ ધારાસભ્યદળની બેઠકમાં સાહાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. વર્ષ 2018માં જ્યારે બિપ્લવ દેવને પાર્ટીએ મુખ્ય મંત્રી બનાવ્યા ત્યારે ડૉક્ટર સાહાને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવાયા હતા.
આ વર્ષે એપ્રિલમાં થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં જીતીને સાહા સંસદમાં પહોંચ્યા હતા. વ્યવસાયે દંત ચિકિત્સક ડૉક્ટર સાહાને એક સજ્જનના રૂપમાં જોવામાં આવે છે.
ભાજપે વિધાનસભા ચૂંટણી પહેલાં ઉત્તરાખંડમાં મુખ્ય મંત્રી તીરથસિંહ રાવતને હટાવીને પુસ્કરસિંહ ધામીને મુખ્ય મંત્રીની કમાન સોંપી હતી.
ભાજપને આ પ્રયોગ થકી ઉત્તરાખંડમાં થયેલી ચૂંટણીમાં જીત મળી હતી અને પાર્ટીને બીજી વાર સત્તા મળી હતી.
માનવામાં આવે છે કે ભાજપ આવો જ પ્રયોગ પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં પણ કરી રહ્યો છે.
જો દાઉદ ભાજપમાં સામેલ થઈ જાય તો તેને પણ તેઓ મંત્રી બનાવી દેશે- ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એક સભામાં ભાજપ પર નિશાન તાક્યું હતું.
ઠાકરેએ કહ્યું હતું કે જો દાઉદ ઇબ્રાહીમ પણ ભાજપમાં સામેલ થઈ જાય તો તેને પણ ભાજપ મંત્રી બનાવી દેશે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "હવે તેઓ (ભાજપ) દાઉદ અને તેના સહયોગીઓનો પીછો કરી રહ્યા છે. જો તે ભાજપમાં સામેલ થઈ જાય તો તેને પણ મંત્રી બનાવી દેશે. તેને જણાવશે કે કેવી રીતે તેઓ યોગ્યતાની મૂર્તિ છે."
મુંબઈના બાંદ્રા-કુર્લા પરિસરમાં ભેગા થયેલા શિવસૈનિકોને સંબોધન કરતાં ઠાકરેએ હિન્દુત્વ, કાશ્મીર પંડિત સમેત ઘણા મુદ્દાઓ પર પોતાની વાત મૂકી હતી.
ઠાકરેનો આરોપ છે કે ભાજપ દેશને હિન્દુત્વના નામે ગુમરાહ કરી રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીર પંડિત રાહુલ ભટ્ટની હત્યા મામલે તેમણે કહ્યું કે "રાહુલ ભટ્ટની એક સરકારી કાર્યાલયમાં હત્યા કરી દેવાઈ. ચરમપંથી આવ્યા અને તેને મારી નાખ્યો. શું તમે ત્યાં જઈને હનુમાનચાલીસા વાંચશો?"
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો