You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મોદીના મિત્ર' અને ઇઝરાયલના વડા પ્રધાન પોતાના દેશમાં જ કેમ મુશ્કેલીમાં?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- વાંચવાનો સમય: 4 મિનિટ
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગુજરાતમાં આવીને અમદાવાદમાં 8 કિલોમિટર લાંબો રોડ શો કરનારા ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુ હાલ મુશ્કેલીમાં છે.
હાલમાં જ ઇઝરાયલમાં થયેલી ચૂંટણીમાં નેતન્યાહુના લિકુડ પક્ષને 120 સભ્યોવાળી કનેસેટ(ઇઝરાયલની સંસદ)માં માત્ર 32 બેઠકો મળી છે એવું ત્યાંના સ્થાનિક મીડિયાનું કહેવું છે.
તેમના મુખ્ય વિપક્ષ, બ્લૂ ઍન્ડ વાઇટ પાર્ટીને પણ આટલી જ બેઠકો મળતી દેખાઈ રહી છે. એવામાં કોઈ પણ વિજયનો દાવો કરી શકે એવી સ્થિતિમાં નથી.
હાલ આ બંને પક્ષના નેતાઓ સંભવિત પરિણામો આવે ત્યાં સુધી સહયોગી પક્ષોના નેતાઓ સાથે વાટાઘાટો કરવામાં લાગી ગયા છે.
નેતન્યાહુના નેતૃત્વવાળા દક્ષિણપંથી બ્લૉકને 56 બેઠકો મળતી દેખાઈ રહી છે.
જ્યારે તમામ વિપક્ષોને મળીને કુલ 55 બેઠકો મળતી દેખાય છે. સંસદમાં બહુમતી માટે 61 બેઠકો જરૂરી છે.
આ સ્થિતિમાં એક રાષ્ટ્રીય એકતાની સરકાર બનવાની સંભાવના સૌથી વધારે પ્રબળ દેખાઈ રહી છે.
નેતન્યાહુ અને ગુજરાત
હાલ ઇઝરાયલમાં ફરીથી વડા પ્રધાન બનાવા માટે સંઘર્ષની દિશામાં દેખાઈ રહેલા નેતન્યાહુના ભારતના વડા પ્રધાન સાથે ખૂબ સારા સંબંધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2018માં નેતન્યાહુ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે બંને નેતાઓ એકબીજાના કેટલા નજીક છે તે દેખાઈ આવતું હતું.
નેતન્યાહુએ મોદી સાથે અમદાવાદમાં 8 કિલોમિટર જેટલો લાંબો રોડ શો પણ કર્યો હતો.
જે બાદ બંને નેતાઓ સાબરમતી આશ્રમ ગયા હતા જ્યાં નેતન્યાહુ અને તેમનાં પત્નીએ પતંગ પણ ઉડાડ્યો હતો.
નેતન્યાહુ ગુજરાતની મુલાકાતે ઉતરાયણના દિવસો બાદ આવ્યા હતા.
ગુજરાત અને ઇઝરાયલ ખેતી ક્ષેત્રે એકબીજાને સહયોગ કરી રહ્યાં છે. ઇઝરાયલ ભારતને હૉર્ટિકલ્ચર ક્ષેત્રે ખાસ સહયોગ આપી રહ્યું છે.
આ સમયે મોદીએ નેતન્યાહુને સંબંધતા કહ્યું હતું કે તેઓ જ્યારે ઇઝરાયલ ગયો હતો ત્યારે જ તેમણે ઇઝરાયલ સાથે સંબંધો મજબૂત કરવાનું નક્કી કરી લીધું હતું.
તેમણે કહ્યું, "હું ત્યારથી જ રાહ જોઈ રહ્યો હતો કે 'મારા મિત્ર' નેતન્યાહુ ભારત આવે. આજે હું ખુશ છું કે તેઓ ગુજરાત પણ આવ્યા."
નેતન્યાહુએ તેમની મુલાકાત વખતે ગુજરાતને ડિસેલિનેશન(દરિયાનું પાણી મીઠું બનાવવું) કરતું વાહન પણ આપ્યું હતું. જે સુઈગામની સરહદે આવેલા બીએસએફ કૅમ્પને આપવામાં આવ્યું હતું.
મોદી અને નેતન્યાહુની મિત્રતા
નેતન્યાહુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત કેમિસ્ટ્રીને લઈને ખૂબ જ ચર્ચા થતી રહે છે.
મોદી ઇઝરાયલનો પ્રવાસ કરનારા પ્રથમ વડા પ્રધાન છે, આ પહેલાં ભારતના એક પણ વડા પ્રધાને ઇઝરાયલનો પ્રવાસ કર્યો ન હતો.
નેતન્યાહુએ તેમની મહેમાનગતિ એવી રીતે કરી હતી કે જેવી મહેમાનગતિ ઇઝરાયલમાં માત્ર અમેરિકાના રાષ્ટ્રપતિ અને પોપ માટે જોવા મળે છે.
વાસ્તવમાં એ સ્વાગત અમેરિકાના રાષ્ટ્રપતિ અને પોપથી પણ આગળ વધીને હતું. નેતન્યાહુ મોદીનો પડછાયો બનીને ત્રણ દિવસ સાથે રહ્યા હતા.
બંને નેતાઓની એક તસવીર પણ વાઇરલ થઈ હતી, જેમાં બંને દરિયાના પાણીમાં ઊભા છે. આ તસવીર બાદ ઇઝરાયલમાં બંનેના બ્રોમાંસની ખૂબ ચર્ચા થઈ હતી.
હવે નેતન્યાહુના ભવિષ્ય શું?
હવે જો ઇઝરાયલમાં રાષ્ટ્રીય એકતાની સરકાર બને તો તેની અસર નેતન્યાહુના રાજકીય ભવિષ્ય પર કેવી પડશે તેની ચર્ચા થઈ રહી છે.
આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે બંને મોટા પક્ષના નેતાઓ બે-બે વર્ષો સુધી વડા પ્રધાનનું પદ પોતાની પાસે રાખે છે.
ઇઝરાયલમાં આ પહેલાં આવો સફળ પ્રયોગ થઈ ચૂક્યો છે. જોકે, નેતન્યાહુ માટે આવી સ્થિતિમાં પોતાના પક્ષના સાંસદોને પોતાની સાથે રાખવાનો સૌથી મોટો પડકાર હશે.
નેતન્યાહુ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેટલાક ગંભીર આરોપો છે અને બ્લુ ઍન્ડ વાઇટ પાર્ટીના નેતા બેની ગેન્ટ્ઝ કહી ચૂક્યા છે કે નેતન્યાહુના નેતૃત્વમાં સરકારમાં સામેલ નહીં થાય.
જો તેઓ પોતાના નિવેદન પર કાયમ રહે અને રાષ્ટ્રીય એકતાની સરકાર સિવાય કોઈ અન્ય વિકલ્પ સામે ના આવે તો લિકુડ પાર્ટી પર પોતાના નેતા બદલવાનું દબાણ પડી શકે છે.
સ્પષ્ટ પરિણામ ના આવે તો શું?
સ્પષ્ટ વિજેતાની ગેરહાજરીમાં તમામની નજર રાષ્ટ્રપતિ રુબેન રિવલિન પર છે.
તેમણે કહ્યું કે તેઓ દેશને ત્રીજી વખત ચૂંટણી પ્રક્રિયામાં જતો અટકાવવા માટે કોઈ પણ હદ સુધી જશે અને નવી સરકારના ગઠન માટે તમામ પ્રયાસો કરશે.
9 એપ્રિલમાં ઇઝરાયલમાં જ્યારે પ્રથમ ચૂંટણી થઈ ત્યારે કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં દેશમાં ફરીથી ચૂંટણી કરાવવામાં આવી હતી.
રાષ્ટ્રપતિના મીડિયા સલાહકાર, જોનાથન કમ્મિંગ્સને કહ્યું છે કે તેઓ ચૂંટણીપંચ સાથે સતત સંપર્કમાં છે અને ચૂંટણીનું પરિણામ આવતાની સાથે જ તમામ દળના નેતાઓ સાથે વાત કરશે.
રાષ્ટ્રપતિના સલાહકારે કહ્યું છે કે રિવલિનનો પૂરો પ્રયાસ રહેશે કે લોકોના મતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેશે, પરંતુ વધુ એક ચૂંટણીને રોકવા માટે તમામ પ્રયાસો કરશે.
ભારત અને ઇઝરાયલના સંબંધોનું શું થશે?
જો નેતન્યાહુ વડા પ્રધાન ન બની શકે તો ભારત સાથેના ઇઝરાયલના સંબંધોમાં કેવો ફેરફાર આવશે.
આ મામલે જેરુસલેમમાં રહેતા અને ભારત-ઇઝરાયલ સંબંધોના જાણકાર હરેન્દ્ર મિશ્રનું કહેવું છે કે મોદી અને નેતન્યાહુ વચ્ચે સારા સંબંધો છે પરંતુ બંને દેશના સંબંધો એકબીજાની જરૂરિયાતો પર પણ ટકેલા છે.
તેઓ કહે છે, "ભારતમાં કૉંગ્રેસના નેતૃત્વવાળી સરકાર હતી ત્યારે પણ ઇઝરાયલ તરફથી તમામ પ્રકારના સહયોગ મળી રહ્યા હતા."
"એ સમયે પણ ભારત ઇઝરાયલ પાસેથી સૌથી વધારે હથિયાર ખરીદનારો દેશ હતો."
"પરંતુ એ વાત પણ સાચી છે કે જ્યારે જ્યારે દિલ્હીમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર બને છે ત્યારે ભારત અને ઇઝરાયલના સંબંધો સમાચારોમાં આવે છે."
"બંને દેશો વચ્ચે સંબંધો ઇન્સ્ટિટ્યૂશનલ છે અને સરકાર બદલવાથી બંને વચ્ચે એટલો બધો ફરક પડતો નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો