You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ કોણ છે?
- લેેખક, બીબીસી ન્યૂઝ પર્શિયન
- વાંચવાનો સમય: 6 મિનિટ
અમેરિકા-ઇઝરાયલના હવાઈ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈનાં મૃત્યુ પછી, તેમના દીકરા મોજતબાને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.
88 સભ્યોની ધાર્મિક સંસ્થા ઍસૅમ્બલી ઑફ ઍક્સપર્ટ્સની ઉપર દેશના નવા સર્વોચ્ચ નેતા ચૂંટવાની જવાબદારી હતી. તેમણે મોજતબાના નામ ઉપર મંજૂરીની મહોર મારી હતી. આ વાતની જાહેરાત ઈરાનના સરકારી મીડિયાએ કરી છે.
સરકારી ટીવી ચૅનલ ઉપર ઍન્કરે આ ધાર્મિક સંસ્થાનું નિવેદન વાંચી સંભળાવ્યું હતું. જેમાં જણાવ્યા પ્રમાણે:
"યુદ્ધની ગંભીર પરિસ્થિતિ અને આપણી સંસ્થા વિરુદ્ધ દુશ્મનોની સીધી ધમકી છતાં, અને ઍસેમ્બલી ઑફ ઍક્સપર્ટસના સચીવાલની કચેરીઓ ઉપર બૉમ્બમારાથી અનેક કર્મચારીઓ અને સુરક્ષા ટીમના સભ્યોના 'શહીદ' થવા છતાં, ઇસ્લામી વ્યવસ્થાના નેતૃત્વની પસંદગી તથા તેની જાહેરાતની પ્રક્રિયા માટે એક પળ માટે પણ અટકી ન હતી."
એ પછી ઍન્કરે નારો લગાવ્યો હતો, "અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, ખામેનેઈ જ રાહબર."
ઈરાનના નવા નેતાના નામની જાહેરાત થઈ, એ પહેલાં જ ઇઝરાયલે જાહેરાત કરી છે કે તે ઈરાનના આગામી નવા સર્વોચ્ચ નેતાને પણ હઠાવી દેશે. જેના કારણે મોજતબાના જીવન ઉપર જોખમ તોળાતું રહેશે.
મૃત્યુની આશંકાથી માર્ગદર્શક સુધી
ઇઝરાયલ-અમેરિકાના હવાઇહુમલામાં ઈરાનના અનેક રાજનેતા અને સૈન્ય અધિકારીઓની સાથે દેશના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈનું પણ મૃત્યુ થયું હતું.
ત્યારે પણ ઘણા લોકોને આશંકા હતી સર્વોચ્ચ નેતાની સાથે તેમના દીકરા મોજતબાનું પણ અવસાન થયું છે કે શું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘણા દિવસો સુધી આ વિશે કોઈ સમાચાર નહોતા. પરંતુ ગત મંગળવારે ( તા. 3 માર્ચ) ઈરાની સ્ટેટ મીડિયાએ અહેવાલ આપ્યો કે મોજતબા ખામેનેઈ જીવિત છે અને "દેશની મહત્ત્વપૂર્ણ બાબતોમાં સલાહ-સૂચનો આપી રહ્યા છે અને સમીક્ષા કરી રહ્યા છે.
તેમના પિતાથી વિપરીત, મોજતબા મોટાભાગે જાહેરમાં આવતા નથી અને લૉ-પ્રોફાઇલ રહે છે. તેમણે ક્યારેય કોઈ સરકારી પદ સંભાળ્યું નથી. તેમણે જાહેરમાં ભાષણો કે ઇન્ટરવ્યૂ પણ આપ્યાં નથી અને મર્યાદિત સંખ્યામાં તેમના ફોટા અને વીડિયો જાહેરમાં ઉપલબ્ધ છે.
સમાચાર સંસ્થા એપી (ઍસોસિયેટેડ પ્રેસ)ના જણાવ્યા અનુસાર, 2000ના દાયકાના અંતમાં વિકિલીક્સ દ્વારા પ્રકાશિત કરાયેલાં યુએસ ડિપ્લોમેટિક કૅબલ્સમાં તેમને "પડદા પાછળની શક્તિ" તરીકે ગણાવવામાં આવ્યા હતા, જેમની શાસનમાં "સક્ષમ અને બળવાન નેતા" તરીકે વ્યાપક ગણના થઈ હતી.
પરંતુ મોજતબા ખામેનેઈની પસંદગી આગામી સમયમાં વિવાદાસ્પદ સાબિત થઈ શકે છે.
ઇસ્લામિક રિપબ્લિકની સ્થાપના 1979માં ઈરાનમાંથી રાજાશાહીને ઉથલાવીને કરવામાં આવી હતી, અને તેની વિચારધારા એ સિદ્ધાંત પર આધારિત છે કે, સર્વોચ્ચ નેતાની પસંદગી તેમના ધાર્મિક સ્થાન અને સાબિતી પ્રાપ્ત નેતૃત્વ દ્વારા થવી જોઈએ, વારસાગત ઉત્તરાધિકાર દ્વારા નહીં.
અલી ખામેનેઈએ ઇસ્લામિક રિપબ્લિકના ભાવિ નેતૃત્વ વિશે ફક્ત થોડી અને ઉપરછલ્લા શબ્દોમાં જ વાત કરી હતી.
ઍસૅમ્બલી ઑફ ઍક્સપર્ટ્સના એક સભ્યએ જણાવ્યું હતું કે આયતુલ્લાહ અલી ખામેનેઈએ બે વર્ષ પહેલાં મોબતબાને ભાવિ નેતૃત્વ માટે ઉમેદવાર બનાવવાના વિચારનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો, પરંતુ તેમણે ક્યારેય સાર્વજનિક રીતે આવી અટકળો વિશે ટિપ્પણી કરી ન હતી.
મોજતબા ખામેનેઈ છે કોણ?
8 સપ્ટેમ્બર 1969ના રોજ ઈરાનના ઉત્તરપૂર્વીય શહેર મશહદમાં જન્મેલા મોજતબા ખામેનેઈ અલી ખામેનેઈનાં છ બાળકોમાં બીજા નંબરના પુત્ર છે. તેમણે તેમનું માધ્યમિક શિક્ષણ તેહરાનની ધાર્મિક અલવી સ્કૂલમાં લીધું હતું.
ઈરાની મીડિયા અનુસાર, 17 વર્ષની ઉંમરે, મોજતબાએ ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન ઘણા ટૂંકા ગાળા માટે લશ્કરમાં પણ સેવા આપી હતી.
આઠ વર્ષના લોહિયાળ સંઘર્ષમાં ઈરાકને ટેકો આપનારા અમેરિકા અને પશ્ચિમી દેશો પ્રત્યે શાસનને વધુ શંકાસ્પદ બનાવી દીધું હતું.
મોજતબા તેમનો ધાર્મિક અભ્યાસ ચાલુ રાખવા 1999માં શિયા ધર્મનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર ગણાતા. પવિત્ર શહેર 'કુમ' ગયા હતા, નોંધનીય છે કે તેમણે તે સમય સુધી ધાર્મિકવસ્ત્રો ધારણ કર્યા નહોતાં.
મોજતબાએ 30 વર્ષની ઉંમરે સેમિનરીમાં (ધાર્મિક શાળા) જવાનું કેમ નક્કી કર્યું, તે સ્પષ્ટ નથી, કારણ કે સામાન્ય રીતે નાની ઉંમરે આવું કરવામાં આવતું હોય છે
મોજતબા સરેરાશ કક્ષાના મૌલવી રહ્યા છે, જે સર્વોચ્ચ નેતા તરીકે તેમના ઉદયમાં અવરોધ ઊભો કરી શકે છે.
છેલ્લા કેટલાક દિવસોથી ઈરાનમાં સત્તા કેન્દ્રોની નજીકના કેટલાંક મીડિયા આઉટલેટ્સ અને અધિકારીઓએ મોજતબા ખામેનેઈને "આયતુલ્લાહ" તરીકે સંબોધવાનું શરૂ કરી દીધું હતું.
આ એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક પદવી હોવાથી, આગામી દિવસો દરમિયાન ઈરાનામાં મોજતબાનું કદ વધશે, એવી ચર્ચા થવા લાગી હતી.
કેટલાક નિરીક્ષકોને આ ફેરફાર તેમની ધાર્મિક પ્રતિષ્ઠા વધારવા અને તેમને દેશના સર્વોચ્ચ નેતૃત્વ માટે એક વિશ્વસનીય ઉમેદવાર તરીકે રજૂ કરવાનો પ્રયાસ હતો.
કારણ કે, સેમિનરી સિસ્ટમમાં, "આયતુલ્લાહ"નો દરજ્જો ધરાવવા અને ઉચ્ચ સ્તરના વર્ગોમાં ભણાવવું એ વ્યક્તિના વિદ્વતાપૂર્ણ સ્તર અને જ્ઞાનના સંકેત માનવામાં આવે છે અને ભવિષ્યના નેતાની પસંદગી માટે આવશ્યકતાઓ અને પૂર્વશરતોમાંની એક માનવામાં આવે છે.
આ પહેલાં પણ આનો એક દાખલો રહ્યો છે. 1989માં બીજા સર્વોચ્ચ નેતા બનેલા અલી ખામેનેઈને પણ ઝડપથી "આયતુલ્લાહ" તરીકે બઢતી આપવામાં આવી હતી.
રાજકીય દખલગીરીના આરોપો
2005ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન મોજતબાનું નામ સૌપ્રથમ વખત ચર્ચામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકપ્રિય કટ્ટરપંથી નેતા મહમૂદ અહમદીનેજાદનો વિજય થયો હતો.
સુધારાવાદી ઉમેદવાર મહેદી કરૌબીએ ખામેનેઈને લખેલા એક ખુલ્લા પત્રમાં, મોજતબા પર ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર અને બસીજનાં તત્ત્વો દ્વારા મતદાનમાં દખલ કરવાનો આરોપ મૂક્યો હતો, જેમણે અહમદીનેજાદને જીતવામાં મદદ કરવા માટે ધાર્મિક જૂથો સાથે નાણાકીય વ્યહવાર કર્યો હતો.
ચાર વર્ષ પછી ફરીથી, મોજતબાએ આવા જ આરોપોનો સામનો કર્યો હતો અને અહમદીનેજાદની ફરીથી ચૂંટણીથી દેશભરમાં મોટા પાયે વિરોધપ્રદર્શનો શરૂ થયાં. એ ચળવળ 'ગ્રીન મૂવમેન્ટ' તરીકે ઓળખાઈ હતી.
મોજતબા તેમના પિતાના સ્થાને ઈરાનના સર્વોચ્ચ નેતા બની શકે છે એ વાતની ત્યારે પણ ચર્ચા ચાલી હતી. એ સમયે આ વિચારની વિરુદ્ધ નારેબાજી પણ થઈ હતી.
તત્કાલીન નાયબ ગૃહ મંત્રી મુસ્તફા તાજઝાદેહે આ પરિણામને "ચૂંટણીલક્ષી બળવો" ગણાવ્યો હતો. તેમને સાત વર્ષ માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, જે પગલાંને મુસ્તફાએ "મોજતબા ખામેનેઈની મનોઇચ્છા" ગણાવી હતી
2009ની ચૂંટણી પછી બે સુધારાવાદી ઉમેદવારો, મીર-હુસેન મૌસાવી અને મેહદી કરૌબીને નજરકેદ કરવામાં આવ્યા હતા.
ઈરાની સૂત્રોએ બીબીસી ન્યૂઝ પર્શિયનને જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2012માં મોજતબાએ મૌસાવીને મળીને તેમનો વિરોધ ન કરવા વિનંતી કરી હતી.
કેટલાક લોકોનું માનવું છે કે જો મોજતબા તેમના પિતાની કટ્ટર નીતિઓ ચાલુ રાખશે. કેટલાક એવું પણ માને છે કે જે વ્યક્તિએ અમેરિકા-ઇઝરાયલી હુમલામાં પોતાનાં પિતા, માતા અને પત્ની ગુમાવ્યાં છે, તે પશ્ચિમી દબાણ સામે ઝૂકે તેવી શક્યતા ઓછી છે.
પરંતુ તેમને ઇસ્લામિક રિપબ્લિકના અસ્તિત્વને ટકાવી રાખવાના અને જનતાને ખાતરી આપવી પડશે કે, તેઓ દેશને રાજકીય અને આર્થિક વિનાશમાંથી બહાર કાઢવા માટે યોગ્ય વ્યક્તિ છે.
તેમના નેતૃત્વનો ઇતિહાસ મોટાભાગે પરીક્ષણ વિનાનો છે અને હવે ઇસ્લામિક રિપબ્લિક વંશપરંપરાગત વ્યવસ્થામાં ફેરવાઈ રહ્યું છે તેવી ધારણા જાહેર અસંતોષને વધુ ઊંડો બનાવી શકે છે.
(બીબીસી પર્શિયન એ બીબીસી ન્યૂઝની ફારસી ભાષાની સેવા છે. વિશ્વભરમાં 2.4 કરોડ લોકો તેનો ઉપયોગ કરે છે, જેમાંથી મોટા ભાગના લોકો ઈરાનમાં રહે છે. જોકે ઈરાને બીબીસી ફારસીને બ્લૉક કરેલી છે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન