રજનીકાન્તે જણાવી 'આધ્યાત્મિક રાજકારણ'ની વ્યાખ્યા

    • લેેખક, પ્રમિલા ક્રિષ્નન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અભિનેતા રજનીકાન્તે બીબીસી સાથે ખાસ વાત કરતા જણાવ્યું કે તેઓ 'આધ્યાત્મિક રાજકારણ' કરવા માટે રાજનીતિમાં આવ્યા છે.

તેઓ રાજકારણમાં સદગુણ, સત્યતા અને પારદર્શકતા લાવી ઉચ્ચ પ્રકારનું 'આધ્યાત્મિક રાજકારણ' કરવા માંગે છે.

રજનીકાન્તે 2017ના છેલ્લા દિવસે રાજકારણમાં પ્રવેશવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે રાજકારણનું તેમનું મોડેલ 'આધ્યાત્મિક' હશે.

તમને આ પણ વાંચવું ગમશે

'આધ્યાત્મિક રાજકારણ'નો અર્થ

રજનીકાન્તે સમજાવ્યું છે કે 'આધ્યાત્મિક રાજકારણ'નો અર્થ શું થાય છે.

તેમની રાજકીય મહત્વાકાંક્ષા જાહેર કર્યા બાદ, રજનીકાન્ત ચેન્નઈમાં વ્યક્તિગત રીતે કેટલાક પત્રકારોને રૂબરૂ મળ્યા.

આ મુલાકાતમાં બીબીસી સંવાદદાતાએ તેમને પૂછ્યું, 'આ 'આધ્યાત્મિક રાજકારણ'નો અર્થ શું છે?'

જેના જવાબમાં રજનીકાન્તે કહ્યું, ''તામિલનાડુમાં હાલના રાજકીય પક્ષો સત્યનિષ્ઠા અને પારદર્શકતા વગર કામ કરી રહ્યા છે.''

સચ્ચાઇ અને પારદર્શિતા

રજનીકાન્તે આગળ જણાવ્યું, "હું એવા રાજકીય પક્ષનું નેતૃત્વ કરવા માંગુ છું જે સચ્ચાઇ અને પારદર્શકતા સાથે કામ કરે."

તેમણે પત્રકારોને કહ્યું કે ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરતા પહેલા તેમણે 'સંયુકત કર્ણાટક' નામના એક કન્નડ મેગેઝિનમાં થોડો સમય માટે કામ કર્યું હતું.

રજનીકાન્તે કહ્યું કે ભારતમાં સ્વતંત્રતાની ચળવળથી લઈને તમામ મહત્ત્વપૂર્ણ રાજકીય પરિવર્તનની શરૂઆત તામિલનાડુથી જ થઈ છે.

એટલે તેમની એ પ્રબળ ઇચ્છા છે કે તેઓ એક એવા પક્ષનું ગઠન કરે જે દેશમાં રાજકીય ક્રાંતિ લાવી શકે.

તેમણે એમ પણ કહ્યું, "પસંદનો પક્ષ રચવા માટેનો આ એકદમ યોગ્ય સમય છે."

રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાન્તે નવો રાજકીય પક્ષ રચીને રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી કરવા અંગે થોડા દિવસ પહેલા જ જાહેરાત કરી છે.

હજારો ચાહકો સમક્ષ તેમણે જાહેરાત કરી હતી કે તેમનો પક્ષ આગામી તામિલનાડુ વિધાનસભાની તમામ બેઠકો પરથી ચૂંટણી લડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો