ખામેનેઈનું મોત અને યુદ્ધ : ઈરાનમાં આ સમયની તૈયારી ક્યારથી થઈ રહી હતી?

    • લેેખક, લિસ ડૂસેટ
    • પદ, ચીફ આંતરરાષ્ટ્રીય સંવાદદાતા, બીબીસી
  • વાંચવાનો સમય: 4 મિનિટ

આ ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન માટે એક નિર્ણાયક ક્ષણ છે.

શનિવાર સવારે, જ્યારે એ સ્પષ્ટ થઈ ગયું કે પ્રથમ રાઉન્ડના હુમલામાં સુપ્રીમ લીડરના આવાસને નિશાન બનાવાયું છે, ત્યારથી જ તેમની સ્થિતિ અંગે જાતભાતના સમાચાર ચાલી રહ્યા હતા.

સેટેલાઇટ તસવીરોમાં તેમના પરિસરને થયેલું નુકસાન દેખાઈ રહ્યું હતું.

ઈરાનની પ્રથમ પ્રતિક્રિયા હતી કે તેમને કોઈ સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે. બાદમાં સમાચાર આવ્યા કે 86 વર્ષીય ધર્મગુરુ સરકારી ટીવી પર બોલવાના છે, પરંતુ એવું કંઈ ન થયું.

સાંજ થતાં થતાં, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક ટીવી સંબોધનમાં જાહેરાત કરી કે 'ઘણા સંકેત છે' કે સુપ્રીમ લીડર 'હવે નથી રહ્યા.'

ઇઝરાયલી અને અમેરિકન મીડિયામાં આવેલા ઘણા રિપોર્ટોમાં, અનામ અધિકારીઓના હવાલાથી એવું કહેવાયું કે તેમના મૃત્યુના પૂરતા પુરાવા મોજૂદ છે.

બીજી બાજુ, ઈરાની અધિકારી સતત આ વાત નકારતા રહ્યા.

પરંતુ બાદમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર તેમના મૃત્યુની જાહેરાત કરી.

તેના અમુક કલાક બાદ ઈરાનની સરકારી ટીવીના એક પ્રેઝેન્ટરે રડતાં રડતાં ખામેનેઈના મૃત્યુની જાહેરાત કરી અને કહ્યું કે તેઓ 'શહીદીનો મીઠો, પવિત્ર ઘૂંટડો પી ગયા.'

'દરેક સ્થિતિ માટે તૈયાર રહેવાના નિર્દેશ હતા'

ઈરાનમાં 40 દિવસના શોકની જાહેરાત કરાઈ અને યુદ્ધના બીજા દિવસે સવાર પડતાં જ, તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા સરકાર-સમર્થિત કાર્યક્રમ દેખાવા લાગ્યા.

પરંતુ આ દરમિયાન, આખી રાત ઘણાં શહેરોમાંથી ઉજવણીના વીડિયો પણ સામે આવ્યા અને ઘણા દેશોમાં વસતા ઈરાની સમુદાયમાં પણ તેમના કટ્ટરપંથી શાસનના અંત અંગે રાજીપો અને આશા જોવા મળ્યાં.

આ ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાનના ઊથલપાથલભર્યા ઇતિહાસના અત્યંત મહત્ત્વપૂર્ણ ક્ષણ છે, પરંતુ તેના સૌથી તાકતવર ધર્મગુરુ અને કમાન્ડર તેની તૈયાર પહેલાંથી જ કરી રહ્યા હતા.

ગત વર્ષે જૂનમાં થયેલા 12 દિવસના યુદ્ધ દરમિયાન બધાનું ધ્યાન સંપૂર્ણપણે તેના પર જ કેન્દ્રિત હતું. પ્રથમ રાઉન્ડના હુમલા વખતે પ્રથમ રાત્રિ દરમિયાન જ ઇઝરાયલ નવ પરમાણુ વૈજ્ઞાનિક અને ઘણા સુરક્ષા પ્રમુખોની હત્યા કરવામાં સફળ રહ્યું હતું.

અને આગામી અમુક દિવસોમાં, હજુ ઘણા વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને ઓછામાં ઓછા 30 ટોચના કમાન્ડરોને મારી નખાયા.

એવું પણ સ્પષ્ટ કરી દેવાયું હતું કે આયતુલ્લાહ પણ તેમના નિશાના પર હોઈ શકે છે.

ત્યારે યુદ્ધ દરમિયાનનો સમયે પોતાના ખાસ બંકરમાં પસાર કરનારા ખામેનેઈ અંગે સમાચાર આવ્યા કે તેઓ સુરક્ષા અધિકારીઓની એવી યાદી તૈયાર કરી રહ્યા હતા, જે તરત તેમની જગ્યા લઈ શકે જેથી ટોચના સ્તરે કોઈ ખાલીપો ન સર્જાય.

તેમજ ગત વર્ષની લડાઈથી પણ પહેલાં, એવો રિપોર્ટ આવ્યો હતો કે સુપ્રીમ લીડરની નિયુક્તિ કરતી લગભગ 88 વરિષ્ઠ ધર્મગુરુઓની સંસ્થા ઍસેમ્બ્લી ઑફ ઍક્સપર્ટ્સને ખામેનેઈએ દરેક સ્થિતિ માટે તૈયાર રહેવાના નિર્દેશ આપ્યા હતા.

ન્યૂયૉર્ક ટાઇમ્સે લખ્યું હતું કે પોતાની હત્યાની સ્થિતિમાં તેમણે 'ત્રણ વરિષ્ઠ ધર્મગુરુઓ'ને સંભવિત ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા.

ઘણાં વર્ષોથી એ વાત અંગે અનુમાન કરાઈ રહ્યા છે કે તેમને જગ્યા કોણ લઈ શકે છે, જેમાં તેમના દીકરા મોજતબાનું નામ પણ સામેલ છે.

નેતૃત્વમાં બદલાવથી શું વ્યવસ્થા પણ બદલાશે?

પ્રથમ દિવસે હવાઈ બૉમ્બમારો અને નિશાન તાકીને કરાયેલા હુમલામાં એકલા સુપ્રીમ લીડર નહોતા મરાયા. જે લોકો હજુ પણ પોતાના પદ પર છે, અથવા જેમણે મજબૂરીમાં ઊંચાં પદોની જવાબદારી લેવી પડી છે, તેઓ વિશ્વને સંદેશો આપવા માગશે કે હજુ પણ નિયંત્રણ સંપૂર્ણપણે તેમના હાથમાં છે અને ઉત્તરાધિકારની પ્રક્રિયા કોઈ પણ જાતના અવરોધ વગર ચાલશે.

પરંતુ આયતુલ્લાહનાં 36 વર્ષ લાંબા શાસનનો અંત તેમના સમર્થકો, ખાસ કરીને તેમના નિકટના સહાયકો અને તેમના સહયોગીઓ માટે મોટો ફટકો હશે, જે લોકો એલીટ ઇસ્લામિક રિવોલ્યૂસનરી ગાર્ડ્સ કોર (આઇઆરજીસી)માં હતા અને તેમનું કામ આયતુલ્લાહ અને ઇસ્લામિક ક્રાંતિને દેશ અને દેશની બહાર એમ બંને બાજુ બચાવવાનું હતું.

પરંતુ બીબીસીએ એવા વીડિયોની પુષ્ટિ કરી છે જેમાં તહેરાન અને કરજના માર્ગો પર લોકો તેમના મૃત્યુના સમાચારની ઉજવણી કરતા દેખાઈ રહ્યા છે.

પશ્ચિમ, ખાસ કરીને અમેરિકા અંગે ઊંડી શંકા ધરાવતા અને ઇઝરાયલના કટ્ટર વિરોધી ખામેનેઈએ કડકાઈપૂર્વક શાસન કર્યું. સુધારાની માગો અને વિરોધપ્રદર્શનોનાં વારંવાર ઊઠતાં મોજાને તેઓ દબાવતા રહ્યા.

ઇઝરાયલ અને અમેરિકા સાથે સીધી સૈન્ય અથડામણ અને પોતાના જ લોકોની બદલાવની વધતી જતી માગોને કારણે પાછલાં કેટલાંક વર્ષ તેમના માટે સૌથી વધુ પડકારજનક રહ્યાં.

આ મહિનાની શરૂઆતમાં જ્યારે હું તહેરાનમાં હતો, ત્યારે ઈરાન એક બદલાયેલા દેશ તરીકે મહેસૂસ થઈ રહ્યું હતું. જેમાં હજારો ઈરાનીઓના મૃત્યુ થયાં છે એવા દેશના ઇતિહાસમાં સુરક્ષા દળોએ કરેલા સૌથી બર્બર દમન અંગેનો તેમનો દર્દ અને ગુસ્સો હજુ તાજાં હતાં.

ખામેનેઈના નેતૃત્વના અચાનક અંત સાથે જ હવે સવાલ તેમના ઉત્તરાધિકારી પર ઊઠશે અને એ અંગે પણ કે શું નેતૃત્વમાં થયેલો બદલાવ 47 વર્ષ જૂના ઇસ્લામિક રિપબ્લિકની દિશામાં કોઈ બદલાવ લાવશે.

આનો જવાબ ભલે ગમે તે હો, તેમનો સૌથી મોટું લક્ષ્ય એક જ રહેશે - એવી વ્યવસ્થા જાળવી રાખવી જે ધર્મગુરુઓ અને તેમની તાકતવર સુરક્ષા સંસ્થાઓને સત્તામાં જાળવી રાખે.

એક એવું યુદ્ધ, જેના ખતમ થવાના અણસાર હાલ નથી દેખાઈ રહ્યા, અને જે અનિશ્ચિત અને ખતરનાક રીતે આગળ વધી રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન