અમદાવાદમાં મૃતદેહોની રાખમાંથી સોનું શોધનારા શ્રમજીવીઓ

    • લેેખક, કલ્પિત ભચેચ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 2 મિનિટ

અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીમાં એક અનોખો શ્રમયજ્ઞ ચાલી રહ્યો છે.

શહેરના જુદાંજુદાં સ્મશાનગૃહોમાં મૃતકોને અગ્નિદાહ અપાયા બાદ પડેલી રાખ એકત્રિત કરી લાવવામાં આવે છે અને તેમાંથી સોનું, ચાંદી જેવી મૂલ્યવાન ધાતુ શોધવમાં આવે છે.

આ જ કામ કરીને અહીં કેટલાક શ્રમિકો પેટિયું રળે છે.

મૃતદેહની રાખમાંથી સોનાની કે ચાંદીના રજકણ મળી આવે તેવી આશા સાથે આ શ્રમિકો એને નદીના પાણીમાં ધોઈને ગાળે છે.

આ રસપ્રદ 'શ્રમયજ્ઞ'માં કાર્યરત શ્રમિક ભરત ધુધોયા કહે છે, "પહેલાં અમે સોનાચાંદીની બજારમાંથી કચરો લઈ આવતા અને તેને ધોઈ, સાફ કરી તેમાંથી સોનું-ચાંદીના રજકણો શોધતા."

"જોકે, લૉકડાઉનમાં બજારો લાંબો સમય બંધ રહેતાં અમે બેરોજગાર થઈ ગયા હતા. બાદ બજારો તો ખૂલી પરંતુ અમને હવે વેપારીઓ કચરો લેવા દેતા નથી."

"એટલે અમે સ્મશાનમાંથી અગ્નિદાહ કરાયેલા મૃતદેહોની રાખ લઈ આવીએ છીએ."

તેઓ ઉમેરે છે, "હિંદુરિવાજ મુજબ કેટલીક જ્ઞાતિઓમાં અગ્નિદાહ પહેલાં મ્રુતકના મોઢામાં સોનું મૂકવામાં આવે છે. ઉપરાંત મૃતકના હાથમાં રહેલી વીંટી અને પહેરેલા દાગીનાઓ સાથે પણ અગ્નિદાહ કરાતો હોય છે. "

"કેટલાક મૃતદેહની રાખમાંથી ઑર્થોપેડિક ઇમ્પ્લાન્ટ કરાયેલા નિકલ-પૅટિનિયમ જેવી ધાતુના સળિયા ઉપરાંત દાંતની સારવાર સમયે પુરાવેલું સોનું-ચાંદી જેવી કિંમતી ચીજવસ્તુઓ જો નસીબ હોય તો અમને મળી જાય છે"

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો